- Politics
- કર્ણાટક MLC ચૂંટણીમાં કોંગ્રેસની મોટી જીત, ભાજપ-JD(S)માં 'ક્રોસ-વોટિંગ'ને કારણે વિપક્ષને લાગ્યો ઝટકો...
કર્ણાટક MLC ચૂંટણીમાં કોંગ્રેસની મોટી જીત, ભાજપ-JD(S)માં 'ક્રોસ-વોટિંગ'ને કારણે વિપક્ષને લાગ્યો ઝટકો
કર્ણાટકમાં મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારની આગેવાની હેઠળની નવી કોંગ્રેસ સરકારની રચના પછીના પ્રથમ મોટા ચૂંટણી મુકાબલામાં કોંગ્રેસ પાર્ટીએ શાનદાર પ્રદર્શન કરતા વિધાનસભા પરિષદ (MLC)ની 7માંથી પાંચ બેઠકો જીતી. તો, ભારતીય જનતા પાર્ટી (BJP)એ બે બેઠકો મેળવી, જ્યારે જનતા દળ (સેક્યુલર) પોતાનું ખાતું પણ ન ખોલી શકી.
સમાચાર એજન્સી PTI અનુસાર, ચૂંટણી પરિણામોમાંથી સૌથી મોટો રાજકીય સંદેશ ક્રોસ-વોટિંગનો હતો. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસને કુલ 151 મત મળ્યા, જ્યારે તેમની પાસે માત્ર 140 મતો જ હતા; એટલે કે ભાજપ અને JD(S)ના આશરે 11 ધારાસભ્યોએ કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું. પ્રાથમિક માહિતી અનુસાર ભાજપના ત્રણ ધારાસભ્યો અને JD(S)ના 8 ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું, જ્યારે ભાજપના એક ધારાસભ્યનો મત અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના વિજયી ઉમેદવારોમાં થિપ્પનપ્પા કામકાનુર, પી.વી. મોહન, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બી.કે. હરિપ્રસાદ, બી.એસ. શિવન્ના અને વિનય કાર્તિક પ્રકાશનો સમાવેશ થાય છે. બીજી તરફ, ભાજપના લિંગરાજ પાટિલ અને રઘુ આર. વિજયી બન્યા. JD(S)ના એકમાત્ર ઉમેદવાર ગોવિંદરાજુ માત્ર 14 મત મેળવી શક્યા અને ચૂંટણી હારી ગયા.
કોંગ્રેસ માટે આ જીતને મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને પ્રદેશ અધ્યક્ષ બી.કે. હરિપ્રસાદના નેતૃત્વ માટે મોટી સફળતા તરીકે ગણાવવામાં આવી રહી છે. પાર્ટી ન માત્ર પોતાના ધારાસભ્યોને એક રાખવામાં સફળ રહી, પરંતુ વિપક્ષી પક્ષોના ધારાસભ્યોનો ટેકો મેળવવામાં પણ સફળ રહી. તેનાથી વિપરીત, આ પરિણામને ભાજપ માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે. પાર્ટીમાં જૂથવાદ અને નેતૃત્વના અસંતોષની ચર્ચા પહેલાથી જ હતી, જેને ક્રોસ-વોટિંગે ઉજાગર કરી દીધી. ભાજપના વરિષ્ઠ નેતા આર. અશોકે સ્વીકાર્યું કે પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું છે અને જવાબદારોને ઓળખવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ પણ કહ્યું કે, તપાસ બાદ પાર્ટી યોગ્ય નિર્ણય લેશે.
મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આ પરિણામને સરકારની જન કલ્યાણકારી યોજનાઓ અને ધારાસભ્યોના વિશ્વાસનો પુરાવો ગણાવ્યો. તેમણે કહ્યું કે વિવિધ પક્ષોના ધારાસભ્યોએ કોંગ્રેસને ટેકો આપ્યો; જોકે, તેમણે એમ પણ કહ્યું કે ગુપ્ત મતદાનને કારણે, તેમને એ માહિતી નથી કે કોણે કોને મત આપ્યો.
નોંધનીય છે કે 224 સભ્યોની વિધાનસભામાં (હાલમાં 222ની અસરકારક સંખ્યા સાથે)માં કોંગ્રેસ પાસે 135 બેઠકો છે. આ જીત બાદ, વિધાન પરિષદમાં કોંગ્રેસનો આંકડો વધીને 39 થશે, જ્યારે ભાજપનો આંકડો ઘટીને 28 અને JD(S)નો આંકડો 6 થઇ જશે. આ જીત કોંગ્રેસ માટે મનોબળ વધારનાર તરીકે જોવામાં આવે છે, જ્યારે વિપક્ષ માટે તે આત્મનિરીક્ષણનો વિષય બની ગઇ છે.
જનતા દળ (સેક્યુલર)ના નેતા અને કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ શુક્રવારે જણાવ્યું હતું કે, ‘કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવારની હાર માટે જવાબદાર 'ક્રોસ-વોટિંગ'થી તેમને ન તો આશ્ચર્ય થયું છે કે ન તો ઝટકો લાગ્યો છે. અહીં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ પહેલાથી જ એવા ધારાસભ્યોથી વાકેફ હતા જે પાર્ટી લાઇન વિરુદ્ધ મતદાન કરી શકે છે. મારી પાસે સંપૂર્ણ માહિતી છે કે 'ક્રોસ-વોટિંગ'માં કોણે કરી. મને પહેલેથી જ અંદાજ હતો કે કોણ અને તે ક્યાંથી ક્રોસ-વોટિંગ થશે. એટલે, મને આશ્ચર્ય ન થયું.’

