- National
- શું હવે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવું ઉત્તર પ્રદેશમાં પણ થશે? કેમ થઈ રહ્યો છે બળવો?
શું હવે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવું ઉત્તર પ્રદેશમાં પણ થશે? કેમ થઈ રહ્યો છે બળવો?
ઉત્તર પ્રદેશના DyCM કેશવ પ્રસાદ મૌર્યએ કાનપુરમાં મીડિયા સાથે વાત કરતા દાવો કર્યો હતો કે 25થી 26 સમાજવાદી પાર્ટીના સાંસદો હાલમાં પક્ષ બદલવા અને પક્ષને તોડવા માટે પુરી રીતે તૈયારીમાં છે. TMC અને શિવસેનામાં થયેલા વિભાજનનો ઉલ્લેખ કરીને, BJPના નેતાઓ સમાજવાદી પાર્ટીમાં વિભાજનનો દાવો કરી રહ્યા છે. DyCM કેશવ પ્રસાદ મૌર્યએ સ્પષ્ટતા કરી હતી કે, BJP હાલ તેમના પક્ષમાં પોતે વિભાજન નથી કરી રહ્યું, પરંતુ આ નેતાઓ 2027ની UP વિધાનસભા ચૂંટણી સુધીમાં પોતાની મેળે જ તેને છોડી દેશે. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે, રામ મંદિર મુદ્દા પર પણ નિવેદનો આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં જ મમતા બેનર્જીની પાર્ટીને તોડવામાં આવી છે અને તેમાંથી સાંસદોએ બળવો કરીને NDAને સમર્થન આપી દીધું છે. જ્યારે આજે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડીને તેના 6 સાંસદોએ બળવો કર્યો છે. સૌથી મોટો સવાલ છે કે આ બળવો થઈ કેમ રહ્યો છે અને આ ક્યાં જઈને રોકાશે?
આ પહેલા, રાજ્ય સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભર દ્વારા કરવામાં આવેલા સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સનસનાટી મચી ગઈ હતી. રાજભરે લખ્યું હતું કે, સમાજવાદી પાર્ટીમાં મોટું વિભાજન થશે અને રામ ગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર સુપરત કર્યો છે. ખાણકામ અને ગોમતી રિવર ફ્રન્ટ કૌભાંડનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, સમગ્ર ઉત્તર પ્રદેશ આના મુખ્ય સૂત્રધારોને જાણે છે, શંકાની સોઈ પોતાના તરફ આવે તેમ હોવાથી સમાજવાદી પાર્ટી ચિંતિત છે, અને આખી સમાજવાદી પાર્ટી BJPમાં જોડાવા માટે તૈયાર છે. આ બાજુ, UPના મંત્રી મનોજ પાંડેએ પણ કહ્યું કે, સત્તામાં હોય ત્યારે લોકોને ભગાડી દે તેવી સમાજવાદી પાર્ટી સાથે કોઈ પણ રહેવા માંગતું નથી.
સમાજવાદી પાર્ટીના નેતાઓએ આ દાવાઓ પર તીવ્ર પ્રતિક્રિયા આપી. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય માતા પ્રસાદ પાંડેએ લખનઉમાં કહ્યું કે, ઓમ પ્રકાશ રાજભર ખુદ પોતે જ એક કૌભાંડી છે. તેમણે આરોપ લગાવ્યો કે, રાજ્યમાં સરમુખત્યારશાહી છે અને CMની ભાષા શૈલી અયોગ્ય છે. જ્યારે, સમાજવાદી પાર્ટીના નેતા રવિદાસ મેહરોત્રાએ રાજભરને બેવડા ચહેરાવાળા વ્યક્તિ ગણાવતા કહ્યું કે, તેઓ ફક્ત તેમના મંત્રી પદને જાળવી રાખવા માટે આવા નિવેદનો આપે છે. તેમણે દાવો કર્યો કે, સમાજવાદી પાર્ટીનો એક પણ નેતા BJPમાં જોડાશે નહીં અને 2027માં અખિલેશ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટીની સરકાર બનશે.
આ દરમિયાન, કાનપુરમાં રામ મંદિર દાનપેટીમાંથી ચોરી અંગે બોલતા, DyCM કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, આ મામલો તપાસ હેઠળ છે, તો પછી FIR કેમ દાખલ કરવી? તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, જેણે પણ દાનપેટીના પૈસાની જેણે પણ ઉચાપત કરી છે તેને ફક્ત કાનૂની સજા જ નહીં, પણ જીવનમાં ક્યારેય સુખ પણ નહીં મળે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તપાસ પૂર્ણ થયા પછી, બધા પૈસા પાછા મળી જશે અને હનુમાન દાદા બધું બરાબર કરી દેશે.

