- World
- ભારત માટે વ્યાપારનો રસ્તો ખોલો... PoKના પ્રદર્શનકારીઓની માંગ! અસીમ મુનીરને ફેંક્યો સીધો પડકાર
ભારત માટે વ્યાપારનો રસ્તો ખોલો... PoKના પ્રદર્શનકારીઓની માંગ! અસીમ મુનીરને ફેંક્યો સીધો પડકાર
પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં વિરોધની આગ સતત ચાલુ છે. વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે, પાકિસ્તાની સરકાર નિર્દોષ લોકો પર અત્યાચાર ગુજારવાનું અને નિઃશસ્ત્ર લોકો પર ગોળીબાર કરવાનું ચાલુ રાખે છે. જોકે, લોકો હજુ પણ અડગ રહ્યા છે. દાયકાઓથી ચાલી રહેલા જુલમથી લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો છે. પરિસ્થિતિ એવી છે કે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા JAACએ પાકિસ્તાની સેનાના વડા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને સીધો પડકાર ફેંક્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પાકિસ્તાન અહીંના લોકોને સેવાઓ પૂરી પાડી શકતું નથી, તો ભારત દ્વારા વેપારનો રસ્તો ખોલવો જ જોઇએ.
આ પહેલા, લોટ અને વીજળીના વધતા ભાવને કારણે શરૂ થયેલ PoKમાં સરકાર વિરોધી આંદોલન તાજેતરમાં અત્યંત હિંસક બન્યું હતું. પાકિસ્તાની પોલીસ અને સુરક્ષા દળોએ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં સોથી વધુ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વાતચીત કરવા અને સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે, શાહબાઝ સરકારે પોતાના જ લોકોની અવગણના કરી હતી. ત્યાર પછી, પ્રદર્શન કરનારા નેતાઓએ હવે પાકિસ્તાની સેનાની ભૂમિકા પર સીધો સવાલ ઉઠાવ્યો છે. તેમણે પ્રદેશ માટે આર્થિક અને રાજકીય સ્વાયત્તતાની માંગ કરી છે.
રાવલકોટમાં તાજેતરમાં એક જાહેર રેલીમાં, જમ્મુ અને કાશ્મીર સંયુક્ત આવામી કાર્યવાહી સમિતિ અને આવામી કાર્યવાહી સમિતિના નેતાઓએ પાકિસ્તાની સેના અને અસીમ મુનીર પર પ્રહારો કર્યા. રેલીમાં, જમ્મુ અને કાશ્મીરના અગ્રણી નેતા સરદાર અમાને પાકિસ્તાની સરકારને કડક ચેતવણી પણ આપી. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આર્થિક પહોંચ અને પુરવઠો સુનિશ્ચિત કરી શકતું નથી, તો ભારત સાથે વૈકલ્પિક વેપાર માર્ગો ખોલવા જોઈએ. સમર્થકોને સંબોધતા, અમાને ખુલ્લેઆમ જાહેર કર્યું, 'બધા વેપારના માર્ગો જલ્દી જ ખોલવા જોઈએ, પછી ભલે તે પાકિસ્તાન દ્વારા હોય કે ભારત દ્વારા.'
તેમની આ માંગ પાકિસ્તાન દ્વારા સર્જાયેલી આર્થિક મુશ્કેલીઓ અને તકોના અભાવ અંગે સ્થાનિકોમાં વધતા ગુસ્સાને પ્રતિબિંબિત કરે છે. દાયકાઓથી, પાકિસ્તાની સેના આ અફવા ફેલાવતી આવી છે કે, કાશ્મીરીઓને ભારતથી બચાવવા માટે તેની હાજરી જરૂરી છે. સરદાર અમાને સૈન્યની આ મુખ્ય દલીલને ફગાવી દેતા કહ્યું, 'જો આપણે ભારત સામે બચાવ કરવો હોય, તો તે અમારો પોતાનો મામલો છે, તમારો નથી.' તેમણે કહ્યું કે, સ્થાનિક રહેવાસીઓને પોતાનું રાજકીય ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર હોવો જોઈએ.
તેમણે પાકિસ્તાન પર પ્રદેશના કુદરતી સંસાધનોનું શોષણ કરવાનો આરોપ પણ મૂક્યો. તેમણે કહ્યું કે, પાકિસ્તાની સરકાર તેમના સંસાધનોને લૂંટી રહી છે, પરંતુ સ્થાનિક વિકાસમાં કોઈ રોકાણ કરવામાં આવી રહ્યું નથી. અમન કહે છે કે, પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ હવે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને આતંકવાદીઓ તરીકે રજૂ કરી રહી છે, અને સરકાર અને સેના તેમની નિષ્ફળતાઓ સામે ઉઠાવવામાં આવતા કોઈપણ અવાજને સુરક્ષા ખતરા તરીકે દર્શાવીને દબાવી દેવા માંગે છે.
POKમાં શરણાર્થીઓ માટે અનામત રાખવામાં આવેલી 12 વિધાનસભા બેઠકો પર પણ તણાવ વધી રહ્યો છે. JAACનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર આ બેઠકોનો ઉપયોગ પોતાના હિતોને આગળ વધારવા માટે કરે છે. વિધાનસભાની ચૂંટણી 27 જુલાઈએ યોજાવાની છે. આ અગાઉ, JAAC સમર્થકો એક સાથી કાર્યકર્તાની હત્યાના વિરોધમાં ભેગા થયા પછી રાવલકોટમાં વિરોધીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં અનેક લોકોના મોત થયા હતા. વિરોધીઓનો દલીલ છે કે, મુખ્ય પ્રવાહના પાકિસ્તાની રાજકીય પક્ષો 45 સભ્યોની વિધાનસભામાં 12 અનામત બેઠકોનો ઉપયોગ પ્રદેશમાં સરકારની રચનાને પ્રભાવિત કરવા માટે કરે છે, જેનાથી સ્થાનિક પ્રતિનિધિત્વ નબળું પડે છે. તેથી તેઓ માંગ કરી રહ્યા છે કે આ બેઠકોને અનામતમાંથી દૂર કરવામાં આવે.

