- World
- 'અમેરિકા અને ઇરાનના નેતાઓ હવે વાતચીત અંગે વધુ ગંભીર', દુનિયાને ગૂડ ન્યૂઝ મળી શકે છે
'અમેરિકા અને ઇરાનના નેતાઓ હવે વાતચીત અંગે વધુ ગંભીર', દુનિયાને ગૂડ ન્યૂઝ મળી શકે છે
અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે બંને દેશોના વલણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. 'કાઉન્સિલ ફોર આરબ-બ્રિટિશ અંડરસ્ટેન્ડિંગ'ના ડાયરેક્ટર ક્રિસ ડોયલે 'અલ જઝીરા' સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, વોશિંગ્ટન અને તેહરાન તરફથી આવી રહેલા સંદેશાઓમાં ફેરફાર એ પ્રગતિનો સંકેત છે.
ક્રિસ ડોયલના વિશ્લેષણ અનુસાર, આ વિવાદ હવે એક મહત્ત્વના તબક્કે પહોંચ્યો છે. થોડા અઠવાડિયા પહેલા સુધી બંને દેશોના નેતાઓ પોતપોતાની જનતાને એવો સંદેશ આપી રહ્યા હતા કે 'આપણે જ જીતીશું અને સામે પક્ષે બિનશરતી શરણાગતિ સ્વીકારવી પડશે.' જોકે આ નિવેદનો હજુ પણ ચાલુ છે, પરંતુ હવે તેનો તેવર પહેલા જેટલો આક્રમક રહ્યો નથી. બંને પક્ષો હવે વાટાઘાટો પ્રત્યે વધુ ગંભીર જણાવાઈ રહ્યા છે.
લાંબા સમયથી ચાલી રહેલા આ તણાવને કારણે બંને પક્ષો હવે થાક અનુભવી રહ્યા છે. તેઓ જાણે છે કે આ સ્થિતિ કાયમ માટે ચાલુ રાખી શકાય તેમ નથી. તેમણે 'અમારી જીત અને સામેવાળાની હાર' વાળી માનસિકતામાંથી બહાર આવવું પડશે. ભવિષ્યમાં જો કોઈ કરાર થશે, તો તે એવો હોવો જોઈએ જે બંને નેતાઓ પોતપોતાના દેશની જનતા સમક્ષ યોગ્ય ઠેરવી શકે. તેઓ પોતાના નાગરિકોને કહી શકવા જોઈએ કે 'આપણને આ યુદ્ધમાંથી કંઈક મળ્યું છે અને આ યુદ્ધ સંપૂર્ણ આપત્તિ સાબિત નથી થયું.'

એપ્રિલ મહિનામાં થયેલા સીઝફાયર (યુદ્ધવિરામ) છતાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હજુ સુધી ખુલી શક્યું નથી. પર્સિયન ગલ્ફ અને ઓમાનની ખાડીમાં દરિયાઈ જહાજોની અવરજવર હજુ પણ જોખમમાં છે. ડોયલના જણાવ્યા અનુસાર, હવે કાં તો કોઈ સત્તાવાર સમજૂતી (ડીલ) થશે અથવા તો ફરીથી યુદ્ધ ફાટી નીકળશે.
ઇરાનના એક આંતરિક સ્ત્રોતે 'અલ જઝીરા'ને જણાવ્યું છે કે, પાકિસ્તાની મધ્યસ્થ જનરેલ આસિમ મુનીરને કતાર તરફથી મળી રહેલો ટેકો ‘અત્યંત મહત્ત્વપૂર્ણ અને પાયાનો’ છે.
યુનિવર્સિટી ઓફ તેહરાનના એસોસિએટ પ્રોફેસર ફોઆદ ઇઝાદીએ આ મધ્યસ્થી પાછળનું મુખ્ય કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે કતાર અને પાકિસ્તાન બંને એવા દેશો છે જેમના અમેરિકા અને ઇરાન બંને સાથે ખુબ જ સારા સંબંધો છે. આ સ્થિતિ તેમને એક પ્રભાવશાળી અને સ્વીકાર્ય મધ્યસ્થ (Intermediaries) બનાવે છે. આ બંને દેશો કોઈપણ ભોગે કરાર કરાવવા માટે દબાણ કરી રહ્યા છે, કારણ કે જો સમજૂતી નહીં થાય તો તેનો એક જ વિકલ્પ બચશે - 'વધુ ભયાનક યુદ્ધ', અને દુનિયામાં કોઈ આ યુદ્ધ ઈચ્છતું નથી.
ઇઝાદીએ નોંધ્યું કે જ્યારે વિશ્વના આ ભાગમાં (મિડલ ઇસ્ટ) યુદ્ધ થાય છે, ત્યારે આ પડોશી દેશો સૌથી વધુ પ્રભાવિત થાય છે. જો આ મધ્યસ્થતાના પ્રયાસોમાં અન્ય દેશો પણ જોડાય તો વધુ સારું રહેશે, પરંતુ હાલમાં જે પ્રયાસો થઈ રહ્યા છે તે પણ ખુબ જ ‘નોંધપાત્ર’ છે.

