- Sports
- શું ભારત-પાકિસ્તાન મેચ માટે ICCએ ફોર્મેટમાં ફેરફાર કર્યો? આટલી વખત ટક્કર થવાની સંભાવના
શું ભારત-પાકિસ્તાન મેચ માટે ICCએ ફોર્મેટમાં ફેરફાર કર્યો? આટલી વખત ટક્કર થવાની સંભાવના
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તાજેતરના નિર્ણયથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. જય શાહની અધ્યક્ષતામાં ICCએ આગામી મેન્સ વન-ડે વર્લ્ડ કપ 2027 માટે ફોર્મેટમાં ફેરફાર કર્યો છે. ICCની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં લેવાયેલા નિર્ણયથી ફોર્મેટમાં જે ફેરફારો થયા છે તે સવાલોના ઘેરામાં છે. પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે શું આ પગલું ભારત-પાકિસ્તાનની મેચોને વધુમાં વધું આયોજિત કરવા માટે લેવામાં આવ્યું છે. આ પ્રશ્ન શા માટે ઉભો થઈ રહ્યો છે ચાલો જાણીએ.
2027માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે વર્લ્ડ કપનું આયોજન કરશે. અગાઉના બે વન-ડે વર્લ્ડ કપમાં ફક્ત 10 ટીમો હતી અને રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાયા હતા. તે માત્ર એક જ લીગ સ્ટેજ હતી, ત્યારબાદ સીધી સેમીફાઇનલ અને ફાઇનલ. આ વખતે વર્લ્ડ કરમાં 14 ટીમો ભાગ લેશે, અને શરૂઆતમાં એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ટૂર્નામેન્ટ 2003 ફોર્મેટની જેમ 7-7 ટીમોના બે ગ્રુપ બનશે, ત્યારબાદ સુપર-6 રાઉન્ડ અને પછી સેમી-ફાઇનલ હશે.
જોકે, ICC એ અચાનક આમાં ફેરફાર કર્યો છે; હવે 14 ટીમોમાંથી ફક્ત 12 ટીમો મુખ્ય રાઉન્ડમાં જશે. આ ટીમોને 6-6 ટીમોના બે ગ્રુપમાં વહેંચવામાં આવશે, જેમાં દરેક ગ્રુપમાંથી ટોચની ત્રણ ટીમો આગામી તબક્કામાં એટલે કે સુપર-7 રાઉન્ડમાં જશે. સાતમી ટીમ બંને ગ્રુપમાંથી ચોથી શ્રેષ્ઠ ટીમ હશે. આ રાઉન્ડમાં બધી ટીમો એક-બીજાનો સામનો કરશે, અને ટોચની ચાર ટીમો સેમીફાઇનલમાં જશે. સુપર-7 રાઉન્ડ પ્રથમ વખત વર્લ્ડ કપમાં રજૂ કરવામાં આવી રહ્યો છે અને સુપર-6 ફોર્મેટથી એકદમ અલગ છે.
શું ભારત-પાકિસ્તાન મેચ બની કારણ?
હવે પ્રશ્ન ભારત-પાકિસ્તાન મેચનો છે. છેલ્લા બે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહત્તમ બે મેચ રમવાની શક્યતા હતી અને એ પણ ન થઇ શકી કારણ કે બંને ટૂર્નામેન્ટમાં લીગ સ્ટેજ દરમિયાન પાકિસ્તાન બહાર થઈ ગયું હતું. તે કોઈથી છુપાયેલું નથી કે ભારત-પાકિસ્તાન મેચ ICC અને બ્રોડકાસ્ટર માટે આવકનો સૌથી મોટો સ્ત્રોત છે. આને ધ્યાનમાં રાખીને, બંનેની એવી ઇચ્છા રહે છે કે ભારત-પાકિસ્તાનની વધુમાં વધુ મેચ રમાય.
નવા ફોર્મેટથી આવું થવાની શક્યતા વધી જાય છે. કેવી રીતે ચાલો સમજીએ. સુપર-12 તબક્કા દરમિયાન ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં રહેશે તે નિશ્ચિત છે, જે હવે એક અલિખિત નિયમ બની ગયો છે. ICC અપેક્ષા છે કે ભારત અને પાકિસ્તાન બંને આગામી રાઉન્ડમાં આગળ વધનારી સાત ટીમોમાં હશે, અને આ અપેક્ષા પાયાવિહોણી પણ નથી; જ્યારે ટીમ ઈન્ડિયાનું જવાનું લગભગ નક્કી છે, ત્યારે પાકિસ્તાન પણ કોઈક રીતે તેમાં પહોંચવા અપેક્ષા છે. છેવટે, વિશ્વની ટોચની 7 ટીમોમાં પાકિસ્તાન પણ સ્થાન મેળવી જ લે છે.
જો આમ થાય છે, તો ભારત અને પાકિસ્તાન સુપર-7 રાઉન્ડમાં ફરી ટકરાશે. જો બંને ટીમો સેમીફાઇનલમાં આગળ વધે છે, તો ત્યાં અથવા ફાઇનલમાં ત્રીજી ટક્કર થઈ શકે છે. ટૂંકમાં, ભારત અને પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં ત્રણ વખત એકબીજા સામે ટકરાઇ શકે છે જે ICC અને બ્રોડકાસ્ટર્સ બંને માટે ખૂબ જ નફાનો સોદો હશે. હવે ICC આ ફેરફાર માટે કોઇ પણ તર્ક આપી શકે છે, પરંતુ તેના ઇરાદા અંગે શંકાઓ યથાવત રહેશે.

