- Gujarat
- AMCના પદાધિકારીઓની વરણી, હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે...
AMCના પદાધિકારીઓની વરણી, હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે આજે યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખોલીને આગામી અઢી વર્ષની નવી ટર્મના હોદ્દેદારોના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે. અગાઉથી જ જે નામોની પ્રબળ સંભાવના સેવાઈ રહી હતી, તે મુજબ જ પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશભાઈ બારોટને અમદાવાદના નવા મેયર જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે અંજૂ શાહની પસંદગી કરવામાં આવી છે, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશભાઈ પટેલના નામ પર આખરી મહોર લગાવી છે. તો જશુ ઠાકોરને શાસક પક્ષના નેતા અને અતુલ મિશ્રાને દંડક બનાવાયા છે.
મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય હોદ્દેદારોની યાદી
મેયર: હિતેશભાઈ બારોટ
ડેપ્યુટી મેયર: અંજૂબેન શાહ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: કમલેશભાઈ પટેલ
પક્ષના નેતા: જશુભાઈ ઠાકોર
દંડક: અતુલ મિશ્રા
મ્યુનિસિપલ કોપોરશનમાં મેયર પદ માટે હિતેશ બારોટ ઉપરાંત ધરમશી દેસાઈ, જશુભાઈ ઠાકોર અને રાજુ ઠાકોરના નામ ચર્ચામાં હતું. ગત ટર્મમા મેયર શાહીબાગ વોર્ડમાંથી હતા. આ કારણથી આ વખતે ફરીથી મેયર પદે મધ્ય ઝોનના કોર્પોરેટરની પસંદગી થવાની શકયતા નહીવત્ હતી.
અમદાવાદ મનપાના મેયર હિતેશ બારોટની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેમણે 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. સાથે જ તેઓ RSSમાં 1987થી સક્રિય રહ્યા છે, તેઓ 1986માં ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ 1988માં થલતેજ ગ્રામ્ય મંડળના મહામંત્રી બન્યા હતા. તેમણે 1989થી 1997 સુધી દસ્ક્રોઈના 18 ગામ બક્ષીપંચની જવાબદારી સંભાળી હતી. 2001 થી 2005 રરમિયાન બોડકદેવના સરપંચ રહ્યા. 2010માં તેઓ APMC (અમદાવાદ)ના વાઈસ ચેરમેન બન્યા હતા. 2012માં હિતેશભાઈની નિમણૂક ADC બેંકના ડિરેક્ટર તરીકે થઈ હતી. 2014માં તેઓ APMCમાં ડિરેક્ટર બન્યા હતા. ત્યારબાદ 2014માં ગાંધીનગર લોકસભાના બક્ષીપંચના ઈન્ચાર્જ બન્યા 2013થી 2017 દરમિયાન પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ડિરેક્ટર રહ્યા હતા. સાથે જ 2017માં ગુજકોમાસોલના ડિરેક્ટર બન્યા હતા, 2018માં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર બન્યા બન્યા હતા. 2021માં થલતેજ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા 2021માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિયુક્તિ થઈ હતી.
અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલની વાત કરીએ તો તેમણે ખોખરા વોર્ડમાંથી ચૂંટણી લડી હતી. તેમણે B.SC કેમિસ્ટ્રી સુધીનો અભ્યાસ કર્યો છે. કમલેશ પટેલ 1992માં ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓ 1997માં અમરાઇવાડી વોર્ડના યુવા મોરચાના પ્રમુખ બન્યા હતા. 2017માં કમલેશ પટેલ અમદાવાદ શહેર ભાજપના મહામંત્રી બન્યા, ત્યારબાદ તેઓ 2021માં પહેલીવાર કોર્પોરેટર બન્યા હતા. હવે તેમની નિમણૂક અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કરવામાં આવી છે.

