- Gujarat
- અમદાવાદમાં McDonald'sની રેસ્ટોરાં રાતોરાત કેમ સીલ મારી દેવાઈ? જાણો શું છે આખો મામલો?
અમદાવાદમાં McDonald'sની રેસ્ટોરાં રાતોરાત કેમ સીલ મારી દેવાઈ? જાણો શું છે આખો મામલો?
અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા ગ્રાહકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે આવેલી McDonald's રેસ્ટોરન્ટ દ્વારા ઓનલાઈન વેજ બર્ગરનો ઓર્ડર આપનાર યુવકને નોનવેજ બર્ગર મોકલી આપવામાં આવ્યું હતું. આ ગંભીર બેદરકારી સામે યુવકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી, જેને કારણે, અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરીને રાતોરાત McDonald’s રેસ્ટોરન્ટને સીલ કરી દીધું છે.
શું છે આખો મામલો મામલો
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, 20 જુલાઈની રાતે નરોડાના હંસપુરા પાસે આવેલી McDonald’s રેસ્ટોરન્ટમાંથી એક યુવકે ઓનલાઈન માધ્યમથી વેજ સ્પાઈસી પનીર બર્ગર, ચીઝ બર્ગર અને કોકાકોલાનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર ડિલિવર થયા બાદ યુવકે જ્યારે પેકિંગ ખોલીને જોયું તો તેમાં વેજ બર્ગરના બદલે સ્પાઈસી ચિકન બર્ગર હતું.

ઓનલાઇન ઓર્ડર વેજ બર્ગરનો કર્યો હોવા છતા પણ નોનવેજ બર્ગર રેસ્ટોરન્ટ તરફથી મોકલવામાં આવતા યુવક તાત્કાલિક રેસ્ટોરાં પર ગયો હતો અને તેણે રજૂઆત કરી હતી. ઓનલાઇન પૈસા ચૂકવી દીધા બાદ રેસ્ટોરાં તરફથી નોનવેજ બર્ગર મોકલી આપવામાં આવતા યુવકે આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરતા ટીમ રેસ્ટોરાં પર પહોંચી હતી. રેસ્ટોરાંમાં તપાસ કરીને McDonald’s રેસ્ટોરાંને સીલ કરવામાં આવી હતી.
આ અગાઉ વડોદરામાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. કોંગ્રેસના અગ્રણી સ્વેજલ વ્યાસે ઝોમેટો દ્વારા નટુભાઈ સર્કલ પાસે આવેલી બાર્બિક્યૂ હોટેલમાંથી વેજ બિરિયાની ઓર્ડર કરી હતી. જ્યારે તેઓએ પાર્સલ ખોલ્યું તો વેજને બદલે નોનવેજ બિરિયાની નીકળી હતી. આ અંગે ડિલિવરી મેને હોટેલનો સંપર્ક કરવા જણાવતા તેમણે હોટેલમાં અનેકવાર ફોન કર્યા હતાં, પણ કોઈએ રીસિવ ન કર્યો. બાદમાં તેઓ ગુસ્સામાં હોટેલ પહોંચી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.

જામનગરમાં ખંભાળિયા હાઈવે પર આવેલી પ્રખ્યાત 'સાઈટ્રસ હોટેલ'માં એક શાકાહારી પરિવારે 26 જૂનની રાતે ઝોમેટો દ્વારા વેજ પાસ્તાનો ઓર્ડર કર્યો હતો, પરંતુ હોટેલ દ્વારા વેજની જગ્યાએ નોન-વેજ પાસ્તાનું પાર્સલ મોકલી અપ્યું હતું. પરિવાર જમવા બેઠો ત્યારે પાસ્તામાંથી નોનવેજના ટુકડા મળી આવ્યા હતા. ગ્રાહકે આ અંગે હોટેલ મેનેજમેન્ટનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ રાત્રે તેમજ બીજા દિવસે સવારે પણ હોટલ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રાહકે પુરાવા સાથે મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. પીડિત ગ્રાહકે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમે ક્યારેય માંસાહાર કર્યો નથી. આવી બેદરકારીથી પવિત્રતા અને ધાર્મિક ભાવનાઓ ઘવાઈ છે.
થોડા દિવસ પહેલા શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલી મુરલીધર રેસ્ટોરાંમાં ભાજીપાંવમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ એક ગ્રાહકે કર્યો હતો. ગ્રાહક દ્વારા બનાવવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. ગ્રાહક રેસ્ટોરાંમાં ભાજીપાંવ ખાઈ રહ્યો હતો ત્યારે તેમાં જીવાત જોવા મળી હતી. આ અંગે ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલકોને જાણ કરી હતી અને બાદમાં સ્થળ પર હોબાળો પણ થયો હતો. ગ્રાહકનો આક્ષેપ છે કે આ બાબતે દુકાનદાર દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહોતો અને ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ સક્રિય થઈ હતી અને રેસ્ટોરાંની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતાના નિયમોમાં ખામીઓ મળી આવતા રેસ્ટોરાં સામે કાર્યવાહી કરવામાં આવી હતી. AMC ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટને રૂ. 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

