- National
- અન્ના હઝારેએ જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ વિશે શું કહ્યું
અન્ના હઝારેએ જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ વિશે શું કહ્યું
'કોકરોચ જનતા પાર્ટી'ને લઈને ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે, વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ આ ઓનલાઈન પ્લેટફોર્મને પોતાનું સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સાર્વજનિક ચર્ચાઓમાં યુવાનો દ્વારા બતાવવામાં આવી રહેલા ઉત્સાહને ફગાવી દેવાને બદલે તેને પ્રોત્સાહિત કરવો જોઈએ.
રવિવારે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે હઝારેએ જણાવ્યું હતું કે, ભલે આ પાર્ટીનું નામ યોગ્ય ન હોય, પરંતુ આ આંદોલન પાછળનો વ્યાપક સંદેશ દેશના યુવાનોની હતાશા અને આક્રોશને દર્શાવે છે.
અન્ના હઝારેએ જણાવ્યું હતું કે ‘ભલે 'જુરલ ' (મરાઠીમાં કોકરોચને જુરલ કહેવાય છે) નામ યોગ્ય ન હોય, પરંતુ દેશના લોકો આ પાર્ટીની પાછળ ઊભા છે. મૂળભૂત રીતે, આપણે આ પાર્ટીને ‘જુરલ’ કેમ કહેવામાં આવી રહી છે તે પાછળનો હેતુ સમજવો જોઈએ. યુવા શક્તિ એ રાષ્ટ્રની શક્તિ છે. જ્યારે આ બંને વસ્તુઓ ભેગી થાય છે, ત્યારે સરકારે તેમની અવગણના કરવાને બદલે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ.’
ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલ આંદોલન શરૂ કરવા માટે જાણીતા વરિષ્ઠ કાર્યકર્તાએ એમ પણ ઉમેર્યું હતું કે, રાજકીય અને સામાજિક ચર્ચાઓમાં યુવાનોની વધતી જતી ભાગીદારી લોકશાહી માટે એક સકારાત્મક સંકેત છે.

શું છે ‘કોકરોચ જનતા પાર્ટી’?
'કોકરોચ જનતા પાર્ટી' એ તાજેતરમાં સોશિયલ મીડિયા પર મીમ્સ, કટાક્ષ અને રાજકીય ટિપ્પણીઓ દ્વારા વ્યાપક લોકપ્રિયતા મેળવી છે. આ પ્લેટફોર્મ મુખ્યત્વે બેરોજગારી, શિક્ષણ, પરીક્ષાના પેપર લીક અને શાસન વ્યવસ્થા (ગવર્નન્સ) જેવી સમસ્યાઓને નિશાન બનાવે છે.
ભારતમાં 21 મેના રોજ આ પાર્ટીનું મૂળ સોશિયલ મીડિયા એકાઉન્ટ (X - અગાઉનું ટ્વિટર) ટેક ડાઉન એટલે કે બંધ કરી દેવામાં આવ્યું હતું. જો કે, તેના ગણતરીના સમય બાદ જ ‘કોકરોચ ઇઝ બેક’ (Cockroach is Back) શીર્ષક અને ‘કોકરોચ ક્યારેય મરતા નથી’ (Cockroaches Don’t Die) ટેગલાઈન સાથે એક નવું એકાઉન્ટ ઓનલાઈન સપાટી પર આવ્યું હતું.
વિવાદની શરૂઆત ક્યાંથી થઈ? અદાલતની ટિપ્પણી અને વિરોધ
આ વ્યંગાત્મક અભિયાન (સેટાયર કેમ્પેઈન) વકીલોના ‘સિનિયર’ હોદ્દા અંગેની કોર્ટ સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ શરૂ થયું હતું. આ સુનાવણી દરમિયાન કેટલીક વ્યક્તિઓને કથિત રીતે ‘કોકરોચ’ અને ‘પરજીવી’ (પેરાસાઈટ્સ) તરીકે સંબોધવામાં આવતા સોશિયલ મીડિયા પર મોટો વિવાદ છેડાયો હતો. જો કે, બાદમાં મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે, અને તેમનો ઈશારો ‘નકલી અને બોગસ ડિગ્રીઓ’ ના આધારે કાનૂની વ્યવસાયમાં પ્રવેશતા લોકો તરફ હતો.

જે શરૂઆતમાં માત્ર એક ઈન્ટરનેટ કટાક્ષ અભિયાન તરીકે શરૂ થયું હતું, તે હવે ડિજિટલ વિરોધ પ્રદર્શનનું એક મોટું માધ્યમ બની ગયું છે. ખાસ કરીને બેરોજગારી, શૈક્ષણિક દબાણ અને સરકારી સંસ્થાઓની નિષ્ફળતાઓથી નિરાશ થયેલા યુવા યુઝર્સ આ પ્લેટફોર્મ પર પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.
અન્ના હઝારેના આ નિવેદનને હવે યુવા આગેવાની હેઠળના ડિજિટલ આંદોલનને મળેલા એક દુર્લભ સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે, ભલે આ વિરોધ બિનપરંપરાગત કે વ્યંગાત્મક પ્લેટફોર્મ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો હોય.

