- Charcha Patra
- પૂણેના વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરના કોષોને આડઅસર વગર ખતમ કરી દેતી નવી નેનોમેડિસિન વિકસાવી
પૂણેના વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરના કોષોને આડઅસર વગર ખતમ કરી દેતી નવી નેનોમેડિસિન વિકસાવી
આપણા ભારતના પૂણેના વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. પુણે સ્થિત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Agharkar Research Institute - ARI)ના સંશોધકોએ એવી નવી નેનોમેડિસિન વિકસાવી છે, જે સીધા બ્રેસ્ટ કેન્સરના કોષોને ઓળખીને તેમના વિકાસ અને જીવન માટે જવાબદાર જીન્સને નિષ્ક્રિય કરી શકે છે.
આ સંશોધન ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નેનોબાયોસાયન્સ ગ્રૂપ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ અભ્યાસના પરિણામો આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ Advanced Healthcare Materials માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
11.jpg)
આ રીતે કાર્ય કરે છે નવી ટેક્નોલોજી?
વૈજ્ઞાનિકોએ "MUC1-Targeted Silica Nanocarrier" નામની અદ્યતન નેનોમેડિસિન તૈયાર કરી છે. બ્રેસ્ટ કેન્સરના કોષોની સપાટી પર MUC1 નામનું પ્રોટીન વધુ પ્રમાણમાં જોવા મળે છે. નવી દવા આ પ્રોટીનને ઓળખીને સીધી કેન્સર કોષો સુધી પહોંચે છે.
કેન્સર કોષોની અંદર પહોંચ્યા પછી આ નેનોમેડિસિન MCL-1 અને Survivin નામના બે મહત્વપૂર્ણ જીન્સને નિષ્ક્રિય કરે છે. આ બંને જીન્સ કેન્સર કોષોને જીવંત રાખવામાં અને ઝડપથી વધવામાં મદદરૂપ બને છે. જીન્સ બંધ થતાં કેન્સર કોષો ધીમે ધીમે નાશ પામવા લાગે છે.
આ મહત્વપૂર્ણ સંશોધનમાં વૈજ્ઞાનિકો નીલાદ્રી હલધર, રાજકુમાર સામંત, સુરજીત પાત્રા, દેવયાની સેંગર, સચિન જાધવ અને વિરેન્દ્ર ગજબિયે સહિતની ટીમે યોગદાન આપ્યું છે. સંશોધકોએ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરના આક્રમક પ્રકારો સામે અસરકારક સાબિત થઈ શકે છે અને ભવિષ્યમાં વધુ ચોક્કસ સારવાર માટે માર્ગ મોકળો કરી શકે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ નેનોમેડિસિનનું પરીક્ષણ હાલ પ્રી-ક્લિનિકલ તબક્કામાં સફળ રહ્યું છે. લેબોરેટરી પરીક્ષણો અને પ્રાણીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં હકારાત્મક પરિણામો મળ્યા છે. જોકે માનવ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ્સ હજુ બાકી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો આગામી વર્ષોમાં માનવ પરીક્ષણો સફળ રહેશે, તો બ્રેસ્ટ કેન્સરની સારવારમાં આ શોધ એક ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે.

હાલમાં ઉપયોગમાં લેવાતી કીમોથેરાપી ઘણી વખત સ્વસ્થ કોષોને પણ નુકસાન પહોંચાડે છે, જેના કારણે દર્દીઓને વાળ ખરવા, થાક, ઉલ્ટી અને અન્ય ગંભીર આડઅસરોનો સામનો કરવો પડે છે. નવી નેનોમેડિસિન માત્ર કેન્સરગ્રસ્ત કોષોને જ નિશાન બનાવે છે. પરિણામે ભવિષ્યમાં સારવાર વધુ અસરકારક, સુરક્ષિત અને ઓછી આડઅસરવાળી બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ શોધ ભારતના બાયોમેડિકલ અને કેન્સર સંશોધન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહી છે અને વૈશ્વિક સ્તરે પણ તેનું વિશેષ મહત્વ છે.
About The Author
Dr. Dinky Gajiwala, DNB (Medicine), DNB (Medical Oncology), is a dedicated Medical Oncologist and Consultant at Hope Cancer Clinic, Surat. She specializes in comprehensive cancer treatment and is passionate about empowering patients through education and awareness. With a strong presence on social media, Dr. Gajiwala actively spreads reliable information on breast cancer, chemotherapy, immunotherapy, and other critical aspects of oncology, making cancer care more accessible and understandable for all.

