- Opinion
- દિલીપભાઈ દેશમુખ: યુવાઓ માટેનું પ્રેરણાનું ઝરણું
દિલીપભાઈ દેશમુખ: યુવાઓ માટેનું પ્રેરણાનું ઝરણું
(ઉત્કર્ષ પટેલ)
આજના યુવાનોના જીવનમાં પ્રેરણાની તરસ હોય છે. કોઈક એવી વ્યક્તિ જોઈએ જે કહે કે, “સેવા કરવાથી જ જીવન સાર્થક બને.” આવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે દિલીપભાઈ દેશમુખ. તેમનું જીવન યુવાનો માટે એક ખુલ્લું પુસ્તક છે જેમાંથી શીખવાનું ઘણું છે અને અનુસરવાનું વધુ.
દિલીપભાઈની યાત્રા સામાન્ય સ્વયંસેવક તરીકે શરૂ થઈ હતી. આરએસએસના પ્રચારક તરીકે તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું. ઘર, કુટુંબ અને વ્યક્તિગત સુખને પાછળ મૂકીને તેઓ સતત સમાજની સેવામાં જોડાયા. આ યાત્રા કોઈ સરળ માર્ગ નહોતો. તેમાં ત્યાગ, સંઘર્ષ અને અવિરત પ્રતિબદ્ધતા હતી. પરંતુ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નહીં. તેમના આ પગલાએ અનેક યુવાનોને પ્રભાવિત કર્યા અને તેઓ પણ સેવાના માર્ગે આગળ વધ્યા અને આજે વિવિધ ક્ષેત્રોમાં સફળ નેતૃત્વ પણ કરી રહ્યા છે.

2001ના કચ્છના વિનાશકારી ભૂકંપ વખતે દિલીપભાઈનું યોગદાન ક્યારેય ભૂલી શકાય એમ નથી. જ્યારે ભૂકંપગ્રસ્ત વિસ્તાર માત્ર દુઃખ અને અંધારાથી ભરાઈ ગયો હતો ત્યારે તેઓ સીધા ક્ષેત્રમાં પહોંચી ગયા હતા. લોકોની મદદ કરવી, ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા, રાહત સામગ્રી વહેંચવી અને લોકોમાં આશાનું કિરણ જગાડવું આ બધું તેમણે અવિરતપણે કર્યું. તેમના આ કાર્યે કચ્છના લોકોના હૃદયમાં તેમના માટે કાયમી સ્થાન મેળવી લીધું. આ ઘટનાએ એક વાત સ્પષ્ટ કરી કે સંકટના સમયે સેવા જ સાચો માર્ગ છે.

દિલીપભાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિકટવર્તી પણ રહ્યા. આ સંબંધ માત્ર વ્યક્તિગત નથી પરંતુ વિચાર અને કર્મનો સંબંધ છે. બંને વચ્ચે સેવા અને રાષ્ટ્રનિર્માણની સમાન ભાવના રહી. દિલીપભાઈની સૌથી મોટી ખાસિયત છે યુવાનોને સેવાના માર્ગે લઈ જવાની. તેઓ ઘણા યુવાનોના હાથ પકડીને તેમને સેવાની દિશામાં માર્ગદર્શન આપે છે. માત્ર પ્રવચન આપીને નહીં પરંતુ પોતાના જીવનથી ઉદાહરણ પૂરું પાડીને. યુવાનો જ્યારે તેમની પાસે આવે છે ત્યારે તેઓ તેમને સમજાવે છે કે “સેવા એ કોઈ કામ નથી તે જીવનનો અભિન્ન ભાગ છે.”

એક સમયે એમના જીવનમાં પણ કપરો સમય આવ્યો. વર્ષ 2020ના ૧૦ જુલાઈએ અમદાવાદના 0ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)માં તેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું. અંગદાનમાંથી મળેલા લીવરથી તેમની તબિયત સુધરી અને તેઓ નવું જીવન પામ્યા. આ સર્જરી પછી તેઓ અંગદાન જાગૃતિના પૂર્ણ સમયના સક્રિય સેવક બની ગયા. “અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ” દ્વારા તેઓ સમગ્ર ગુજરાતમાં જાગૃતિ ફેલાવે છે અને યુવાનોને સમજાવે છે કે મૃત્યુ પછી પણ શરીરના અવયવો બીજાને જીવન આપી શકે છે. તેમના આ અનુભવે યુવાનોને શીખવ્યું કે સંઘર્ષને પણ સેવામાં ફેરવી શકાય છે.

આજે વર્ષ 2026માં પણ દિલીપભાઈનું જીવન અવિરત સેવામય છે. કોઈ વિરામ નથી, કોઈ અપેક્ષા નથી માત્ર સેવા અને સેવા. આજે જ્યારે યુવાનો મોબાઈલ, ધન સંપદા અને વ્યક્તિગત મહત્વકાંક્ષાઓમાં ખોવાઈ જાય છે ત્યારે તેમનું જીવન એક જ્યોતિપુંજ બની રહે છે. તેઓ કહે છે કે “સેવા કરવાથી જ માણસ સાચા અર્થમાં જીવે છે.”

દિલીપભાઈ દેશમુખ જેવા વ્યક્તિત્વ આપણને સ્મરણ કરાવે છે કે જીવનનો સાચો અર્થ સેવામાં છે. યુવાનો માટે તેઓ પ્રેરણાનું ઝરણું છે. કોઈ પણ તેમના જીવનને નજીકથી જોશે તો જાણશે કે આજે પણ આ દેશમાં સેવાભાવી લોકો છે જેમનાથી આપણે ઘણું શીખી શકીએ. દિલીપભાઈનું જીવન એક જ વાત કહે છે... સેવા કરો, સેવા કરતા રહો અને જીવનને સાર્થક બનાવો.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

