- Opinion
- ‘બાપુજી’ વલ્લભભાઈ સવાણી: એક વ્યક્તિ જે આખા સમાજ માટે પિતા રૂપ બન્યા
‘બાપુજી’ વલ્લભભાઈ સવાણી: એક વ્યક્તિ જે આખા સમાજ માટે પિતા રૂપ બન્યા
(ઉત્કર્ષ પટેલ)
જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું જીવન માત્ર પોતાને માટે નહીં પરંતુ આખા સમાજ માટે જીવવા લાગે ત્યારે તે નામ એક વ્યક્તિથી આગળ વધીને એક સંસ્થારૂપ બની જાય છે. એવા જ એક પ્રેરણાસ્રોત છે વલ્લભભાઇ સવાણી જેમને સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ પ્રેમથી “બાપુજી” તરીકે ઓળખે છે.
ડાયમંડ અને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં સફળતા મેળવીને તેમણે જે સંપત્તિ ઉભી કરી તે માત્ર પોતાના પરિવાર માટે નહીં પરંતુ સમાજના ભવિષ્ય માટે વાપરી અને અહીંથી શરૂ થાય છે એક અનોખી માનવસેવાની ગાથા.

વલ્લભભાઈ સવાણીએ એક વાર કહ્યું હતું કે પોતે ઊંચું શિક્ષણ મેળવી શક્યા નહોતા પરંતુ આ અભાવને તેમણે પોતાની કમજોરી નહીં પરંતુ સમાજ માટેની પ્રેરણાશક્તિ બનાવી દીધી. એવા સમયે જ્યારે સુરતમાં કેટલીક શાળાઓની મોનોપોલી હતી, એડમિશન મેળવવું અઘરૂં હતું ત્યારે તેમણે વરાછામાં વર્ષ 1987માં માત્ર 287 વિદ્યાર્થીઓ સાથે પી.પી. સવાણી સ્કૂલની શરૂઆત કરી.
આજે એ નાનું બીજ એક વટવૃક્ષ બની ગયું છે. પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ હેઠળ 9 સ્કૂલ્સ ચાલે છે. વર્ષ 2017માં શરૂ કરાયેલી એક યુનિવર્સિટી ચાલે છે જેમાં 14 જેટલા ડિપાર્ટમેન્ટ્સ છે. આ બધી સંસ્થાઓમાં અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓ ભણી ગયા છે. હાલમાં પણ 10થી 15 હજાર વિદ્યાર્થીઓ ભણે છે. આ આંકડા માત્ર સંખ્યા નથી આ હજારો પરિવારોના બદલાતા ભવિષ્યની ગાથા છે.

બાપુજીનું વિઝન માત્ર શાળા કે યુનિવર્સિટી પૂરતું મર્યાદિત નથી રહ્યું. અહીં વિદ્યાર્થીઓને જીવન માટે તૈયાર કરવામાં આવે છે. ભણી ગયા પછી તેમને નોકરી મળે તે માટે જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમનું કેન્દ્ર 2003માં શરૂ કર્યું જ્યાંથી અનેક વિદ્યાર્થીઓ તાલીમ લઇને એસપી, કલેક્ટર, મામલતદાર કે અધિકારી બની રહ્યા છે.
બાપુજીએ સમજ્યું કે શિક્ષણ જેટલું જ આરોગ્ય પણ જરૂરી છે. તેમણે હોસ્પિટલ પણ શરૂ કરી જેમાં આજ દિન સુધી લગભગ 20 લાખથી વધુ દર્દીઓએ લાભ લીધો હોવાનો અંદાજ છે. આ આંકડો બતાવે છે કે આ સેવાઓ કેટલી પોટાપાયે અને અસરકારક છે.

એક પિતારૂપ વ્યક્તિત્વ તરીકે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર આપ્યા પછી લગ્ન કરાવવાનું કામ બાકી રહે છે. બાપુજીએ તેની પણ શરૂઆત સમૂહલગ્નોથી કરી. તે પણ માતાપિતા વગરની દીકરીઓના લગ્ન કરાવવાથી. તેમની પ્રેરણાથી તેમના દીકરા મહેશ સવાણીએ 5000થી વધુ દીકરીઓના લગ્ન કરાવ્યા છે.
વલ્લભભાઇની છાપ કેટલાક લોકો માટે બાહુબલીની છે જે સિસ્ટમની અંદરથી કામ ન થાય તો બહાર જઇને પણ કરે. પરંતુ આટલા બધા સમાજસેવાના કામોને જોતા એટલું તો સ્પષ્ટ છે કે તેમણે સિસ્ટમની બહાર જઇને પણ જે કામો કર્યા છે તેનો લાભ અંતે સમાજ સુધી પહોંચાડ્યો છે. માત્ર પોતાનું ઘર નથી ભર્યું.

વલ્લભભાઇ કહે છે કે સપના ઉગે નહીં તો વાવેલા નહીં પરંતુ દાટેલા કહેવાય. તેમણે વાવેલા સપનાઓને તો વટવૃક્ષમાં ફેરવ્યા જ છે પરંતુ તેની સાથે લાખો લોકોના સપનાઓથી એક સુંદર બગીચો બનાવ્યો છે જેમાં ખિલતા પુષ્પો અનંત સમય સુધી સુગંધ પ્રસરાવતા રહેશે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

