- Sports
- હૈદરાબાદ સામેની મેચ દરમિયાન કોહલીએ એવું શું કર્યું જેની પાકિસ્તાનમાં થઈ રહી છે ચર્ચા?
હૈદરાબાદ સામેની મેચ દરમિયાન કોહલીએ એવું શું કર્યું જેની પાકિસ્તાનમાં થઈ રહી છે ચર્ચા?
IPL મેચ પછી ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ સાથે હાથ ન મળાવવા બદલ વિરાટ કોહલીને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ તરફથી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવારે રાત્રે હૈદરાબાદમાં રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને-સામને હતા. મેચ દરમિયાન, કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે ઘણા ઇશારા થયા; પરંતુ, જ્યારે મેચ પૂરી થઈ અને ટ્રેવિસ હેડે હાથ મળાવવા માટે હાથ લંબાવ્યો, ત્યારે કોહલી તેને સંપૂર્ણપણે અવગણતા આગળ વધી ગયો. આ દરમિયાન, કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદના પેટ કમિન્સ અને અભિષેક શર્મા સાથે હાથ મળાવ્યો, પરંતુ તેણે ટ્રેવિસ હેડ સાથે હાથ મળાવવાનું ટાળ્યું.
સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 256 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ રોયલ ચેલેન્જર્સ ફક્ત 200 રન જ બનાવી શકી હતી. વિરાટ કોહલીએ 11 બોલમાં 15 રન બનાવ્યા હતા. બંને ટીમો પહેલાથી જ ટૂર્નામેન્ટમાં ક્વાલિફાઇ થઈ ગઈ છે. આ પહેલી વાર નથી જ્યારે રમતના મેદાન પર હાથ મળાવવા અંગે વિવાદ ઉભો થયો હોય. ગયા વર્ષે એશિયા કપ દરમિયાન, ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મળાવવાનો ઇનકાર કરી દીધો હતો, જેના કારણે બંને ટીમો વચ્ચે તણાવ વધ્યો હતો. ભારતમાં સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ કોહલીના હાથ મળાવવાના ઇનકાર અંગે પોત પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાનમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
એક ટીવી કાર્યક્રમમાં બોલતા ભૂતપૂર્વ ભારતીય બોલર ઝહીર ખાને કહ્યું કે, મને સમજાતું નથી કે લોકો કોહલીની આટલી આકરી ટીકા કેમ કરી રહ્યા છે. તેમને બિલકુલ ખ્યાલ નથી કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મેદાન પર કેટલી 'સ્લેજિંગ' કરે છે. હું તમને તે પ્રવાસ દરમિયાન અમારી સાથે બનેલી બધી ઘટનાઓ કહી શકતો નથી. તેઓ ફક્ત મેદાન પર તમારી સામે જ રમતા નથી; તેઓ તમારી સાથે માનસિક રૂપે પણ રમે છે.
ઇન્ઝમામ નામના એક પાકિસ્તાની યુઝરે X પર લખ્યું કે, કોહલીએ ટ્રેવિસ હેડ સાથે હાથ ન મળાવ્યા. મેચ દરમિયાન તેમની વચ્ચે કંઈક થયું હશે, પરંતુ આવી બાબતો મેદાન સુધી મર્યાદિત રહેવી જોઈએ. રમતની ભાવના ખૂબ મહત્ત્વપૂર્ણ છે, અને મેચ બાદ સન્માન હંમેશાં સૌથી પહેલા આવવો જોઈએ. કોહલીની ટીકા કરતા એક યુઝરે લખ્યું કે, ભારત વિરુદ્ધ નકારાત્મક ટિપ્પણીઓ કરી હોવા છતા આ માણસ પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં જઈ શકે છે અને ખેલાડીઓ સાથે મજાક કરી શકે છે. પરંતુ ટ્રેવિસ હેડ સાથે હાથ નહીં મળાવી શકે.
નોંધનીય છે કે શ્રીલંકામાં યોજાયેલા 2023 એશિયા કપ દરમિયાન, વરસાદે પાકિસ્તાન-ભારત મેચ શરૂ થાય તે પહેલાં જ વિક્ષેપ પાડ્યો હતો. તે સમયે, વિરાટ કોહલી પાકિસ્તાની ડ્રેસિંગ રૂમમાં ગયો હતો અને પાકિસ્તાની ક્રિકેટરો સાથે વાતચીત કરી હતી. આ ઘટના પર ટિપ્પણી કરતા ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ કહ્યું કે, હું કોહલીને તેના અંડર-19 દિવસથી ઓળખું છું. તે મેદાન પર તેની સીમાઓથી સારી રીતે વાકેફ છે; તેના વર્તનથી ખબર પડે છે કે મેચ દરમિયાન કંઈક એવું બન્યું હતું જેના કારણે તેને ખૂબ જ દુઃખ થયું હતું. તેમણે કહ્યું કે ટ્રેવિસ હેડ ભૂતકાળમાં પણ ભારત વિશે નકારાત્મક ટિપ્પણીઓ કરી ચૂક્યો છે.
અભિષેક કુમાર નામના એક યુઝરે દાવો કર્યો હતો કે, મેચ દરમિયાન, ટ્રેવિસ હેડ વારંવાર વિરાટ કોહલીને ઝડપી રમવા અને મોટા શૉટ મારવા માટે ઉશ્કેરતો હતો, સાથે-સાથે અયોગ્ય ઇશારા પણ કરતો હતો. તેના મતે, જ્યારે વિરાટ કોહલી આઉટ થયો, ત્યારે ટ્રેવિસ હેડે તેની સામે આવ્યો અને વિચિત્ર રીતે ઉજવણી કરી કો કોહલીને અપમાનજનક લાગ્યું.
2023માં, ટ્રેવિસ હેડે ભારત સામે વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારીને પોતાની ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફાઇનલમાં 241 રનના લક્ષ્યનો પીછો કરતૈ ઓસ્ટ્રેલિયાએ શરૂઆતમાં જ પોતાની પ્રથમ ત્રણ વિકેટ ગુમાવી દીધા બાદ, તેણે એક તરફ ઇનિંગ સંભાળી રાખી અને 120 બોલમાં 137 રનની આક્રમક ઇનિંગ રમી. મેચની શરૂઆતમાં તેણે ઝડપથી રન બનાવી રહેલા રોહિત શર્માનો મુશ્કેલ કેચ પકડ્યો હતો. ભારતની હારથી લાખો ભારતીય ચાહકો નિરાશ થયા હતા, અને ઘણા લોકોએ તેમની નિરાશા વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો.
હાથ ન મળાવવાનો વિવાદ કંઈ નવો નથી. ગયા વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાયેલી પ્રથમ એશિયા કપ મેચના ટોસ દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેમના પાકિસ્તાની સમકક્ષ સલમાન અલી આગા સાથે હાથ મળાવ્યો નહોતો. ભારતની જીત પછી પણ, ભારતીય ટીમના બેટ્સમેન પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મળાવ્યા વિના પેવેલિયન પાછા ફર્યા હતા. ડ્રેસિંગ રૂમમાં હાજર ભારતીય ખેલાડીઓ પણ મેચ પછી મેદાનમાં આવ્યા નહોતા. આ દરમિયાન, સૂર્યકુમાર યાદવ ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરતો જોવા મળ્યો હતો.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આને 'ક્રિકેટની ભાવના'નું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માંગ કરી હતી. જો આ માંગણી પૂર્ણ નહીં થાય તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયા કપનો બહિષ્કાર કરવાની ધમકી પણ આપી હતી. આ વર્ષે પણ, શ્રીલંકામાં રમાયેલી વર્લ્ડ કપ મેચ દરમિયાન ભારત અને પાકિસ્તાનની ટીમોએ હાથ મળાવ્યો નહોતો.

