- National
- ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?
પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા વિવાદો પછી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનું ઉદાહરણ આપતા, વિરોધ પક્ષોએ પંજાબમાં ભગવંત માન સરકાર સામે મોરચો ખોલ્યો છે. પંજાબના 2 મંત્રીઓ સામે રાજકીય વાતાવરણ ગરમાયું છે.
કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ સાથે BJPએ પણ પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સ અને આરોગ્ય મંત્રી બલબીર સિંહના રાજીનામાની માંગણીઓ તીવ્ર બનાવી છે. રાજીનામાની માંગણી તેજ એટલા માટે થઈ છે કારણ કે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી વિપક્ષ પક્ષોને પંજાબ સરકારને ઘેરવા માટે એક મહત્વપૂર્ણ રાજકીય અને નૈતિક આધાર મળ્યો છે.
વિધાનસભા ચૂંટણીને લઈને પંજાબમાં રાજકારણ પહેલાથી જ ગરમાયું છે. હવે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી વિરોધ પક્ષોને પ્રશ્ન કરવાની તક મળી છે કે, જો કેન્દ્ર સરકાર પોતાના મંત્રીને હટાવી શકે છે, તો પંજાબ સરકાર કેમ નહીં? આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું હરજોત સિંહ બૈન્સ પણ પોતાના પદ પરથી રાજીનામું આપશે, કારણ કે દિલ્હીના જંતરમંતર પરની જેમ જ પંજાબમાં પણ અવાજો ઉઠી રહ્યા છે?
પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનું સ્વાગત કર્યું, તેને યુવાનોના સંઘર્ષની જીત ગણાવી. તેમણે એવી પણ ભારપૂર્વક માંગ કરી કે જેમ રાષ્ટ્રીય સ્તરે પેપર લીક માટે જવાબદારી નક્કી કરવામાં આવી છે, તેમ CM ભગવંત માન અને શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈન્સે પણ પંજાબમાં પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ.
રાજા વારિંગે આરોપ લગાવ્યો કે, આમ આદમી પાર્ટી સરકારના કાર્યકાળ દરમિયાન, પંજાબમાં ફાર્મસી ભરતી પરીક્ષા, ધોરણ 12 અંગ્રેજી પરીક્ષા અને ગ્રુપ B પરીક્ષા સહિત અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થયા હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, નાયબ તહસીલદાર ભરતી પરીક્ષા, કૃષિ અધિકારી ભરતી પરીક્ષા અને બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ દ્વારા આયોજિત ફાર્માસિસ્ટ ભરતી પરીક્ષામાં પેપર લીક થયા છે.
તેમણે કહ્યું કે, જ્યારે પણ યુવાનોએ આની સામે અવાજ ઉઠાવ્યો, ત્યારે ભગવંત માન સરકારે તેમની ચિંતાઓ સાંભળવાને બદલે પોલીસ બળનો ઉપયોગ કરીને તેમના પર લાઠીચાર્જ કર્યો. જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી શકે છે, તો પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સ અને આરોગ્ય મંત્રી પણ આવું કેમ ન કરી શકે?
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે એ પણ યાદ કરાવ્યું કે, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ એક વખત દાવો કર્યો હતો કે જો પંજાબમાં પરીક્ષાના પેપર લીક થાય છે, તો જવાબદાર મંત્રીને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવશે. તેમણે નિર્દેશ કર્યો કે, પંજાબ ગ્રુપ B પરીક્ષાના પ્રશ્નપત્રો લીક થયાને 6 મહિના થઈ ગયા છે. અગાઉ, ધોરણ 12 અંગ્રેજી અને ફાર્માસિસ્ટ ભરતી પરીક્ષા સહિત 4 પેપર લીક થયા હતા, પરંતુ કોઈ તપાસ કરવામાં આવી ન હતી, કે કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી ન હતી. રાજા વારિંગે કહ્યું કે, જો શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે, તો તેઓ પંજાબના રસ્તાઓ પર ઉતરશે અને દિલ્હીની જેમ વિરોધ કરશે.
BJPના નેતા અને દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ પંજાબમાં કથિત પેપર લીક અંગે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા. તેમણે પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સના રાજીનામાની માંગ કરી છે. મનજિંદર સિંહ સિરસાએ અરવિંદ કેજરીવાલ પર બેવડું ધોરણ અપનાવવાનો આરોપ લગાવ્યો, પૂછ્યું કે દિલ્હીમાં વિરોધ કરી રહેલા નેતાઓ પંજાબના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કેમ ચૂપ છે.
સિરસાએ પંજાબના શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ માંગ કરી અને માંગ કરી કે પંજાબ સરકાર રાજ્યમાં કથિત પેપર લીક માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરે. સાથે જ તેમણે CJPના સ્થાપક અભિજીત દિપકેને તેમના એક વચનની પણ યાદ અપાવી કે, જો પંજાબમાં પેપર લીક થશે તો તેઓ ત્યાં પણ પોતાનો અવાજ ઉઠાવશે. આ લોકો માટે તેમના વચન પર ખરા ઉતરવાનો અને ત્યાંના યુવાનો માટે લડવા માટે પંજાબ જવાનો સમય આવી ગયો છે.
શિરોમણી અકાલી દળ (SAD)એ પણ પંજાબ પેપર લીક મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે, જેનાથી પંજાબ સરકાર ઘેરાઈ ગઈ છે. અકાલી નેતાઓ કહે છે કે, આમ આદમી પાર્ટી, એક વિપક્ષી પક્ષ તરીકે, જ્યારે અન્ય રાજ્યોમાં અથવા કેન્દ્ર સરકારમાં પેપર લીક થાય છે ત્યારે તાત્કાલિક રાજીનામાની માંગ કરે છે, પરંતુ જ્યારે પરીક્ષા પ્રણાલી પોતાના રાજ્યમાં વારંવાર નિષ્ફળ જાય છે ત્યારે સંપૂર્ણપણે મૌન રહે છે.
અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે પરીક્ષા પ્રણાલીની નિષ્ફળતા અને યુવાનોના ભવિષ્ય પર જોખમ હોવાનો આરોપ લગાવતા શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સ અને આરોગ્ય મંત્રી બલબીર સિંહના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 4.5 વર્ષમાં પંજાબમાં 6 પરીક્ષા કૌભાંડો થયા છે, જેના કારણે 5 લાખ યુવાનોનું ભવિષ્ય લટકી ગયું છે. 'સુપર સીએમ' અરવિંદ કેજરીવાલ અને 'ગુરુ-દ્રોહી' CM ભગવંત માન, આની સંપૂર્ણ જવાબદારી તમારા પર છે! તમે પંજાબના યુવાનોની અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયા છો. તમારે નૈતિક જવાબદારી લેવી જોઈએ અને તમારા શિક્ષણ અને આરોગ્ય મંત્રી બંનેને બરતરફ કરવા જોઈએ.
પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી, પંજાબ સરકારની જવાબદારી પર પ્રશ્નો ઉભા થયા છે. કારણ કે આમ આદમી પાર્ટીએ પેપર લીક મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતું અભિયાન શરૂ કર્યું હતું. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ મોદી સરકારની ટીકા કરવા માટે CJPના મંચ પર દેખાયા હતા. હવે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી, વિપક્ષી પાર્ટીઓએ પંજાબમાં પેપર લીકનો મુદ્દો ઉઠાવીને આમ આદમી પાર્ટી પર રાજકીય દબાણ લાવવાનું શરૂ કર્યું છે.
BJPએ જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં સક્રિયપણે ભાગ લે છે, કેન્દ્ર સરકાર પર હુમલો કરે છે, દિલ્લીમાં વિદ્યાર્થીઓને વિરોધ કરવા માટે ઉશ્કેરે છે અને રાજકીય રીતે તેનો ઉપયોગ કરે છે. અને જ્યારે પંજાબમાં એક પછી એક પેપર લીકના કિસ્સા બહાર આવે છે, ત્યારે આ જ નેતા ચૂપ થઇ જાય છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે, કેન્દ્રીય પરીક્ષાઓની જેમ, પંજાબમાં પણ પેપર લીકના કિસ્સા બન્યા છે, જેનાથી લાખો વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા છે. પંજાબ સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે, આ કેસોમાં અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે.
વિપક્ષી નેતાઓનો આરોપ છે કે AAP નેતૃત્વ આક્રમક વલણ અપનાવે છે અને કેન્દ્ર સરકાર અથવા અન્ય રાજ્યોમાં શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શનોમાં ભાગ લે છે, પરંતુ પોતાના રાજ્ય, પંજાબમાં પરીક્ષા પ્રણાલીની નિષ્ફળતાઓ પર સંપૂર્ણપણે મૌન રહે છે. રાજા વારિંગે જણાવ્યું હતું કે, પંજાબના યુવાનોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે, અને સરકાર ફક્ત પરિસ્થિતિને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી, પંજાબમાં વિપક્ષના આક્રમક વલણથી રાજ્યની AAP સરકાર અને શિક્ષણ પ્રધાન હરજોત સિંહ બેન્સ પર નૈતિક દબાણમાં ઘણો વધારો થયો છે. એટલું જ નહીં, CJP પર પંજાબ જઈને વિદ્યાર્થીઓના અધિકારો માટે લડવાનું દબાણ પણ વધી રહ્યું છે. કોંગ્રેસ અને અકાલી દળે રસ્તા પર ઉતરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરી છે. CM ભગવંત સિંહ સરકારે હજુ સુધી આ નવી રાજકીય ઘટના પર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી નથી, પરંતુ આ મુદ્દો આગામી દિવસોમાં પંજાબમાં મોટી રાજકીય ઉથલપાથલ મચાવી શકે છે.

