- Politics
- કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે
કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે
NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી પ્રલહાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. પ્રધાનના રાજીનામાનો સ્વીકાર થયા પછી રાષ્ટ્રપતિ કાર્યાલ શનિવારે સાંજે એક નિવેદનમાં પ્રલહાદ જોશીને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવાની પુષ્ટિ થઇ ગઇ છે.
રાષ્ટ્રપતિ ભવન તરફથી એક સત્તાવાર માહિતી અનુસાર, ભારતના રાષ્ટ્રપતિએ, વડાપ્રધાનની સલાહ પર અને ભારતના બંધારણના અનુચ્છેદ 75 ના કલમ (2) હેઠળ, તાત્કાલિક અસરથી કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું છે. આ ઉપરાંત, વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યો છે કે કેબિનેટ મંત્રી પ્રલહાદ જોશીને તેમના હાલના વિભાગો ઉપરાંત શિક્ષણ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવે.
કોણ છે પ્રલહાદ જોશી?
પ્રલહાદ જોશીનો જન્મ 27 નવેમ્બર, 1962ના રોજ કર્ણાટકના વિજયપુરામાં થયો હતો. તેમના પિતા સ્વર્ગસ્થ વેંકટેશ જોશી ભારતીય રેલવે કર્મચારી હતા, જ્યારે તેમના માતા, માલતીબાઈ ગૃહિણી હતા. પ્રલહાદ જોશી કર્ણાટકના ધારવાડ મતવિસ્તારમાંથી લોકસભા સાંસદ છે. તેઓ પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. હાલમાં, તેઓ ગ્રાહક બાબત કેન્દ્રિય ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના મંત્રી છે. એટલે કે નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રી પાસે નવી અને નવીનીકરણીય ઉર્જા, ગ્રાહક બાબતો અને ખાદ્ય અને જાહેર વિતરણના વિભાગોની પણ જવાબદારી છે.
અગાઉ, તેઓ કોલસા, ખાણ અને સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી તરીકે જોશી સ્વચ્છ ઉર્જા ક્ષમતા વધારવા માટે કેન્દ્રના પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા છે. મંત્રાલય માટેના તેમના પ્રાથમિક ઉદ્દેશ્ય 2030 સુધીમાં 500 GWની નવીનીકરણીય અને બિન-અશ્મિભૂત ઇંધણ ઊર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો અને 2070 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો સમાવેશ થાય છે.
એક સામાન્ય પરિવારમાંથી આવતા પ્રલહાદ જોશીએ હુબલીની રેલવે સ્કૂલ અને ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાંથી તેમનું શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ તેમણે હુબલીની કે.એસ. આર્ટ્સ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સ (BA) ડિગ્રી મેળવી, જે કર્ણાટક યુનિવર્સિટી, ધારવાડ સાથે જોડાયેલી છે. અહેવાલો દર્શાવે છે કે તેમના કોલેજના દિવસોમાં તેમણે સામાજિક કાર્ય અને જાહેર હિતના કાર્યોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. બાદમાં તેઓ સામાજિક અને જાહેર જીવનમાં સક્રિય બન્યા.
હુબલીમાં એક નાનો ઔદ્યોગિક વ્યવસાય ચલાવ્યો અને બીજી તરફ તેઓ RSS સાથે પણ જોડાયેલા હતા. તેમણે 1992 અને 1994 દરમિયાન હુબલીના ઇદગાહ મેદાન ખાતે 'તિરંગા આંદોલન'નું નેતૃત્વ કર્યું અને કર્ણાટકમાં 'કાશ્મીર બચાવો આંદોલન'નું નેતૃત્વ કર્યું હતું. 1998માં, તેમને ભાજપના ધારવાડ જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. છ વર્ષ પછી, 2004માં, તેમણે ધારવાડ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી અને જીત મેળવી.
તેઓ સતત ચાર વખત (2009, 2014, 2019 અને 2024માં) આ જ બેઠક પરથી જીત્યા. આ દરમિયાન, તેઓ 2014 થી 2016 સુધી કર્ણાટક ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા અને 2019 થી 2024 સુધી સંસદીય બાબતો, કોલસા અને ખાણ વિભાગો સંભાળ્યા.
નવા શિક્ષણ મંત્રી તરીકે તેમની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે શિક્ષણ મંત્રાલય NEET-UG વિવાદ બાદ મોટા સુધારાઓ અમલમાં મૂકી રહ્યું છે. આ સુધારાઓમાં રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA)નું પુનર્ગઠન, પેપર લીક અટકાવવા માટે કડક પગલાં અને 2027થી NEET માટે કમ્પ્યુટર-આધારિત પરીક્ષા પ્રણાલી અપનાવવાનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે NEET પેપર લીક અને પરીક્ષા ગેરરીતિના વિવાદ વચ્ચે શનિવારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હતું. પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓને કારણે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી સાથે કેટલાક સમયથી દિલ્હીના જંતર-મંતર અને વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા.
વિરોધ પ્રદર્શનના 35મા દિવસે પોતાના રાજીનામાના નિવેદનમાં ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે તેમણે રાષ્ટ્ર વિરોધી તાકતોને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા રોકવા માટે પદ છોડવાનો નિર્ણય લીધો છે. ચાર દાયકાથી વધુ સમયથી મેં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શૈક્ષણિક સુધારાના હેતુ માટે મારી જાતને સમર્પિત કરી છે. મારું હંમેશાં માનલું છે કે એક મજબૂત, સમાવેશી અને દૂરંદેશી શિક્ષણ પ્રણાલી એક મજબૂત રાષ્ટ્રનો પાયો હોય છે.
રાજીનામાના થોડા કલાકો પછી, CJPના પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રંકાએ કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે કેન્દ્ર તરફથી તેમની માંગણીઓ પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી મળ્યા બાદ તેમણે સારી નીયતથી વિરોધ પ્રદર્શન ખતમ કરી દીધું છે.

