- National
- ગંગા નદી પર બની રહેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો
ગંગા નદી પર બની રહેલા પુલનો સ્લેબ તૂટી પડ્યો
બિહારના ભૂતપૂર્વ CM નીતિશ કુમારના ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા તાજપુર-બખ્તિયારપુર ગંગા પુલના નિર્માણ દરમિયાન શનિવારે એક મોટી દુર્ઘટના બની. સમસ્તીપુર જિલ્લાના મોહનપુર બ્લોકમાં રાજપુર-જૌનાપુર ગંગા ઘાટ નજીક પુલના થાંભલા નંબર 58 પાસે અચાનક સ્લેબ તૂટી પડ્યો. આ અકસ્માતમાં 6 કામદારો ઘાયલ થયા. આ ઘટનાથી બાંધકામ સ્થળે ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક રહેવાસીઓ અને સાથી કામદારોની મદદથી, તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે PMCH લઈ જવામાં આવ્યા હતા. એક ડૉક્ટરના જણાવ્યા અનુસાર, તમામ કામદારો હાલમાં ખતરાની બહાર છે. જોકે, એક કામદારના હાથમાં ફ્રેક્ચર થયું છે, જ્યારે અન્યને ગંભીર ઈજાઓ થઈ છે. અકસ્માતની માહિતી મળતાં, બાંધકામ એજન્સી અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું. સ્લેબ તૂટી પડવાના કારણ અંગે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. બાંધકામ કાર્ય દરમિયાન કોઈ ટેકનિકલ કે માનવીય બેદરકારી હોવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે.
તાજપુર-બખ્તિયારપુર ગંગા પુલ બિહારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંનો એક છે. તેના બાંધકામથી સમસ્તીપુર, પટના અને આસપાસના જિલ્લાઓ વચ્ચે પરિવહન સરળ બનશે તેવી અપેક્ષા છે. એવામાં, બાંધકામ દરમિયાન થયેલા આ અકસ્માતે પ્રોજેક્ટની સલામતી અને ગુણવત્તા પર પ્રશ્નો ઉભા કર્યા છે. બખ્તિયારપુર-તાજપુર ચાર-માર્ગીય પુલ અને એપ્રોચ રોડની કુલ લંબાઈ આશરે 51.26 કિલોમીટર છે. એમાં ગંગા નદી પરનો મુખ્ય પુલ આશરે 5.51 કિલોમીટર લાંબો છે, જ્યારે 45.75 કિલોમીટરનો એપ્રોચ રોડ બનાવવામાં આવી રહ્યો છે.
આ પ્રોજેક્ટ પટના જિલ્લામાં કરજણ (બખ્તિયારપુર) નજીક NH-31થી શરૂ થશે અને સમસ્તીપુર જિલ્લાના તાજપુર ખાતે NH-28 સાથે જોડાશે. આ પુલ સમસ્તીપુર, મુઝફ્ફરપુર અને બેગુસરાય આવતા અને જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ પૂરો પાડશે. એટલું જ નહીં, તે મહાત્મા ગાંધી સેતુ અને રાજેન્દ્ર સેતુ પર ટ્રાફિક જામમાં ખુબ મોટો ઘટાડો કરશે. સ્થાનિક લોકો કહે છે કે, આ પુલો પર વારંવાર ટ્રાફિક જામ થાય છે, પરંતુ એકવાર નવો પુલ ખુલ્લો થઈ જશે, તો ટ્રાફિક ઘણો સરળ બનશે અને લોકોનો સમય પણ બચશે.
બખ્તિયારપુર-તાજપુર પુલનું નિર્માણ કાર્ય 2011થી ચાલી રહ્યું છે. ભૂતપૂર્વ CM નીતિશ કુમારે તેનો શિલાન્યાસ કર્યો હતો અને તેને તેમનો ડ્રિમ પ્રોજેક્ટ ગણાવ્યો હતો. તેમણે બાંધકામ કાર્યનું ઘણી વખત નિરીક્ષણ કર્યું છે. ગંગા નદી પરનો પુલ જૂન 2016માં પૂર્ણ થવાનો હતો. હૈદરાબાદ સ્થિત નવયુગ એન્જિનિયરિંગ કંપનીને આ કાર્ય સોંપવામાં આવ્યું હતું. શરૂઆતમાં, કંપનીએ ઝડપથી કામ કર્યું, પરંતુ પછીથી તે ધીમું પડી ગયું. 2020માં કામ બંધ કરવામાં આવ્યું. 2022માં એક નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, અને બાંધકામ કાર્ય ફરી શરૂ થયું. બખ્તિયારપુર-તાજપુર વચ્ચેના ચાર-માર્ગીય રસ્તા પર ગંગા નદી પરના પુલ માટે પાયાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. પુલમાં લગભગ 272 થાંભલા બનાવવામાં આવ્યા છે. જ્યારે તાજપુરથી ચકલાલશાહી સુધીનો એપ્રોચ રોડનું કામ પણ પૂરું થઈ ગયું છે.

