- National
- 'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો
પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે નાગરિકોની વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોપરી છે અને કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈને પણ જેલમાં મોકલી નહીં શકાય. ન્યાયાધીશ સિદ્ધાર્થ અને ન્યાયાધીશ વિનય કુમાર દ્વિવેદીની ડિવિઝન બેન્ચે મન્સૂર અહેમદ ઉર્ફે લલ્લૂ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી કરતા શોધી કાઢ્યું હતું કે તેને ગેરકાયદેસર રીતે 8 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને 6 અઠવાડિયામાં પીડિતને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
અલ્હાબાદ હાઇકોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો હતો કે આ કેસમાં, ACP બારા વેદ વ્યાસ મિશ્રા અને સ્પેશિયલ એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 170, 126 અને 135નું ઘોર ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે કહ્યું કે વ્યક્તિને શાંતિ જાળવવા માટે ફક્ત વ્યક્તિગત બોન્ડ આપવાની તક આપવી જોઈતી હતી, પરંતુ તેના બદલે તેને સીધો જેલમાં ધકેલી દેવામાં આવ્યો. કોર્ટે આદેશ આપ્યો કે તપાસમાં દોષિતતા સાબિત થયા પછી ACPના પગારમાંથી વળતરની રકમ વસૂલ કરવામાં આવે. વેદ વ્યાસ મિશ્રા હાલમાં પ્રયાગરાજમાં પોસ્ટેડ છે.
'પોલીસ કમિશનરેટમાં પરિસ્થિતિ ચિંતાજનક'
હાઈકોર્ટે ટિપ્પણી કરી કે પ્રયાગરાજ પોલીસ કમિશનરેટમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. પોલીસ કમિશનરોને જે મેજિસ્ટ્રેટ શક્તિઓ આફવામાં આવી છે, તેનો 'ઘોર દુરુપયોગ' થઈ રહ્યો છે. કોર્ટે કહ્યું કે લોકોને શાંતિ ભંગના બહાને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવી રહ્યા છે, જ્યારે કાયદામાં તેની મંજૂરી નથી. કોર્ટે પોલીસ કમિશનરને 14 સપ્ટેમ્બર, 2026 સુધીમાં આ આદેશ અંગે પાલન અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો.
રેકોર્ડ્સ દ્વારા જાહેર કરાયેલા ચોંકાવનારા આંકડા
કોર્ટે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા રજૂ કરાયેલા રેકોર્ડની તપાસ કરી. એવું બહાર આવ્યું હતું કે:
2024માં 283 લોકો
2025માં 1321 લોકો
2026માં અત્યાર સુધીમાં 721 લોકો
કુલ 2325 વ્યક્તિઓને પ્રિવેન્ટિવ કલમો (BNSS 126, 135, 170) હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. કોર્ટ અનુસાર, તેમાંથી ઘણાને 1-20 દિવસ સુધીના સમયગાળા માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.
19 માર્ચની રાત્રે થઇ હતી ધરપકડ
રેકોર્ડ મુજબ, ખીરી પોલીસે 19 માર્ચ, 2026ની રાત્રે લગભગ 12:50 વાગ્યે મન્સૂર અહેમદને તેના ઘરેથી ઉપાડી લીધો હતો. પોલીસે તેને BNSSની કલમ 170, 126 અને 135 હેઠળ અટકાયતમાં લીધો હતો અને તેને ACP (સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ), બારાની સમક્ષ રજૂ કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટે શોધી કાઢ્યું હતું કે મેજિસ્ટ્રેટે યોગ્ય સુનાવણી કર્યા વિના એક છાપેલા આદેશ પર સહી કરી દીધી હતી, અને આરોપીને 8 દિવસ માટે સીધો જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. કોર્ટે વધુમાં કહ્યું હતું કે આદેશમાં ક્યાંય પણ એવું નોંધાયું નહોતું કે આરોપીએ વ્યક્તિગત બોન્ડ ભરવાનો ઇનકાર કર્યો હતો. મન્સૂર અહેમદને 27 માર્ચ, 2026ના રોજ મુક્ત કરવામાં આવ્યો હતો.

