- Gujarat
- સુરેન્દ્રનગર સસ્પેડેડ નાયબ મામલતદાર પાસે 1.22 કરોડથી વધુની અપ્રમાણસર સંપત્તિ મળી
સુરેન્દ્રનગર સસ્પેડેડ નાયબ મામલતદાર પાસે 1.22 કરોડથી વધુની અપ્રમાણસર સંપત્તિ મળી
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન NA કૌભાંડમાં સંકળાયેલા અને વઢવાણમાં રહેતા અને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી ઉપર વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. ચંદ્રસિંહ મોરીની મિલકતની તપાસ ACB વિભાગ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ગેરકાયદેસર રીતે સત્તાનો દૂર ઉપયોગ કરીને ચંદ્રસિંહ મોરી દ્વારા ગેરકાયદેસરની આવક ઊભી કરવામાં આવી હતી અને તેની પાસેથી અપ્રમાણસર મિલકતો મળી આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન NA કૌભાંડમાં સંડોવાયેલા અને સસ્પેન્ડેડ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી સામે ACBએ વધુ એક ફરિયાદ દાખલ કરી છે. તેમની સામે રૂ. 1,22,27,658ની અપ્રમાણસર મિલકતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, વઢવાણમાં રહેતા ચંદ્રસિંહ મોરી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. આ કૌભાંડ બાદ તેમની મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી હતી.
ACB દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચંદ્રસિંહ મોરીએ ગેરકાયદેસર રીતે સત્તાનો દુરુપયોગ કરીને આવક ઊભી કરી હોવાનું સામે આવ્યું હતું. તેમની પાસે પોતાની કાયદેસરની આવક કરતા 56.89 ટકા વધુ એટલે કે કુલ રૂ.1,22,27,658ની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ મિલકતો તેમના પોતાના નામે તેમજ સગાં-સંબંધીઓના નામે વસાવવામાં આવી હતી. સ્થાવર અને જંગમ મિલકતોમાં મોટાપાયે રોકાણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ અંગે સુરેન્દ્રનગર ACB દ્વારા વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસ સુરેન્દ્રનગર ACBના PI એમ.ડી. પટેલને સોંપવામાં આવી છે. અગાઉ રચવામાં આવેલી SIT દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ કરનાર અધિકારીઓમાં પી.એ. કાવડિયા અને મદદનીશ નિયામક ACBના જે.ડી. મેવાડા અને તેમની ટીમનો સમાવેશ થાય છે.
ACBએ લોકોને પણ અપીલ કરી છે કે, જો ચંદ્રસિંહ મોરી દ્વારા કોઈ ગેરકાયદેસર લેવડદેવડના હિસાબો કરવામાં આવ્યા હોય તો તેના પુરાવા આપે, જેથી તેમની સામે વધુ કડક કાર્યવાહી કરી શકાય. ACBએ આ કેસ માત્ર લાંચનો નહીં, પરંતુ વર્ષોથી આચરેલા રીતસરના ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યો છે.
ACBની SITએ 1લી એપ્રિલ 2013થી 31 ડિસેમ્બર 2025 સુધીના 12 વર્ષના સમયગાળાનું 'ચેક પિરિયડ' તરીકે વિગતવાર વિશ્લેષણ કર્યું છે. આ ગાળામાં જ કરોડોની અપ્રમાણસર મિલકતો વસાવવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ રૂ.1,22,27,658ની એવી મિલકતો મળી છે જેનો કોઈ કાયદેસરનો સ્ત્રોત અધિકારી દર્શાવી શક્યા નથી.
આ કેસમાં માત્ર ACB જ નહીં, પરંતુ ED દિલ્હી દ્વારા પણ પત્ર વ્યવહાર કરીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધવા જાણ કરવામાં આવી હતી.
શું છે NA કૌભાંડ?
1500 કરોડના જમીન NA (બિનખેતી) કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યારબાદ આ કેસમાં ACB અને EDએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી EDની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે.
આ કૌભાંડ ચેન્જ ઓફ લેન્ડ યુઝ (CLU) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસમીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી.
સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે. જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો માર્ફત જમીન NA કરાવવામાં આવતી હતી. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, અગાઉ નોંધાયેલા ગુનાના આરોપી ચંદ્રસિંહ મોરી હાલમાં અમદાવાદ ગ્રામ્યની સેશન્સ કોર્ટની જ્યૂડિશિયલ કસ્ટડીમાં જેલમાં છે. હવે અપ્રમાણસર મિલકતનો નવો ગુનો દાખલ થતા તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. આ કેસની આગળની તપાસ મોરબી ACBના PI પી.એ. દેકાવડિયા ચલાવી રહ્યા છે જ્યારે સુપરવિઝન અધિકારી તરીકે રાજકોટ ACBના મદદનીશ નિયામક જે.ડી. મેવાડા છે.

