- Opinion
- દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું!
દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું!
(ઉત્કર્ષ પટેલ)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં જાહેર કર્યું કે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી નક્સલવાદ લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે. 31 માર્ચ 2026ની પૂર્વ નિર્ધારિત તારીખ પહેલાં જ આ વિષયને આટોપી લેવામાં આવ્યો છે. દેશ માટે આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી આ એક ઐતિહાસિક વિજય છે!
દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે વારંવાર કહ્યું હતું કે “નક્સલવાદનો અંત લાવવો જ છે.” ઉપરાંત તેમણે એ વચન પૂરું કરી બતાવ્યું. કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીઓની અવગણના થઈ, તેમની જમીન, પાણી અને વિકાસની અવગણના થઈ. નક્સલવાદે તેનો લાભ લઈને વિસ્તાર કર્યો. પરંતુ 2014 પછી ભાજપ સરકારે સુરક્ષા અને વિકાસનું સંયુક્ત મોડલ અપનાવ્યું. પરિણામ? નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 125માંથી માત્ર 6 પર આવી ગઈ છે. આજે આ વિસ્તારોમાં શાંતિનો વાયરો વાઈ રહ્યો છે.

આ કાર્યસિદ્ધિ માત્ર કહેવા પૂરતી નથી તે આદિવાસી ભાઈ બહેનોના જીવનની સુરક્ષાની સિદ્ધિ છે. જે વિસ્તારમાં એક સમયે બંદૂકો અને બોમ્બનો અવાજ ગુંજતો હતો ત્યાં આજે રસ્તા, શાળા, હોસ્પિટલ અને વિકાસના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. આદિવાસીઓને તેમના અધિકારો મળી રહ્યા છે અને તેઓ દેશના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. આ એક તેવી ક્રાંતિ છે જેનાથી દેશના સૌથી પછાત વિસ્તારો પણ આત્મનિર્ભર બની રહ્યા છે અને દેશ અંત્યોદયની અનુભૂતિ કરી રહ્યો છે.

દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે જે સુરક્ષા દળોની વ્યૂહરચના અને વિકાસ કાર્યક્રમોનું સંકલન કર્યું તેના પરિણામ આજે સ્પષ્ટ જોવા મળે છે. આ માત્ર એક રાજ્યની વાત નથી આ સમગ્ર ભારતની સુરક્ષાની વાત છે. PM મોદીની સરકારે દેશને વચન આપ્યું હતું કે કોઈ પણ આંતરિક ખતરો ભારતની પ્રગતિને રોકી શકશે નહીં અને આજે તે વચન પણ પૂરું થઈ રહ્યું છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

