- Gujarat
- સુરત-રાજકોટ કોંગ્રેસના 65 ઉમેદવારોને લઇ જવાયા અજ્ઞાતવાસમાં, બુધવારે સાંજે પાછા લવાશે
સુરત-રાજકોટ કોંગ્રેસના 65 ઉમેદવારોને લઇ જવાયા અજ્ઞાતવાસમાં, બુધવારે સાંજે પાછા લવાશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફોર્મ ભરાઈ ચૂક્યા છે, ફોર્મની ચકાસણી પણ થઈ ચૂકી છે. અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત 15 એપ્રિલ છે. ત્યારે આ અગાઉ ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને સુરત અને રાજકોટમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત અને રાજકોટ મહાનગરપાલિકાના જંગમાં ભાજપ કોઈ પ્રકારનું ગાબડું ન ખેલ ન પાડી દે તે માટે કોંગ્રેસે હાઈકમાન્ડના આદેશથી 'મિશન અજ્ઞાત' હાથ ધર્યું છે. આ વ્યૂહરચના હેઠળ પક્ષના અંદાજે 65 જેટલા મજબૂત ઉમેદવારોને એકાએક સુરક્ષિત અને ગુપ્ત સ્થળોએ ખસેડીને એક પ્રકારે 'નજરકેદ' કરી દેવામાં આવ્યા છે, જેથી મતદાન પૂર્વે ઉમેદવારોની વફાદારી અકબંધ રાખી શકાય.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરતમાં પણ મનપાની ચૂંટણી અગાઉ કોંગ્રેસે 40 જેટલા મજબૂત ઉમેદવારોને 11 જેટલા ગુપ્ત સ્થળો પર ખસેડી દીધા છે. હાઈકમાન્ડના આદેશથી લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ વિરોધી પક્ષો દ્વારા કરવામાં આવતા સંભવિત સંપર્કને રોકવાનો અને પક્ષમાં કોઈ પણ પ્રકારનો ખેલ અટકાવવાનો છે. શહેરથી દૂર આવેલા આ ‘સેફ હાઉસ’ની જાણકારી માત્ર ગણ્યાગાંઠ્યા પ્રદેશ નેતાઓને જ છે.
જ્યારે રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઇને પણ માહોલ ગરમ છે. ફોર્મ ચકાસણી કાર્યવાહી પૂર્ણ થતા જ કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ખેંચવા સમય સુધી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાતી વિગત મુજબ જેટલા જૂના અને પીઢ કોંગ્રેસી આગેવાનોની ટિકિટ આપી છે, તેને બાદ કરતા બાકીના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે જેમને બુધવારે સાંજે પરત રાજકોટ લાવવામાં આવશે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘ગઈકાલે રાત્રે ભાજપના મોટા માથાઓ દ્વારા અમારા ઉમેદવારને દબાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેથી, તાત્કાલિક અમે અમારી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભાજપને દાદાગીરી ન કરવા જણાવ્યું હતું. ભાજપ હાર ભાળી ગઈ છે માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ છે માટે ખાસ અમે નિર્ણય લીધો છે. રાજકોટમાં 72 ઉમેદવાર છે. અમારા કોંગ્રેસ પક્ષના જેમાં તમામ 72 ઉમેદવારને અજ્ઞાત સ્થળ પર નથી મોકલવામાં આવ્યા. પરબટુ વોર્ડવાઈઝ અમારા સક્ષમ ઉમેદવાર અને આગેવાનોને અમે જવાબદારી આપી છે. અમારા સક્ષમ ઉમેદવારો અને આગેવાનો અમારા બાકીના ઉમેદવારોનું ધ્યાન રાખશે. કોઈ જગ્યાએ ચાર ઉમેદવાર અજ્ઞાત સ્થળ પર ગયા છે તો કોઈ જગ્યાએ બે ઉમેદવાર વિસ્તારમાં પ્રચારમાં છે અને બે અજ્ઞાત સ્થળે છે. આ વર્ષે કોંગ્રેસ પક્ષના એક પણ ઉમેદવારને ભાજપ દબાવી ડરાવી ફોર્મ પરત નહીં ખેંચાવી શકે તે માટે અમે પૂરી તૈયારી કરી છે.’
આ રણનીતિના ભાગરૂપે ઉમેદવારોની કિલ્લેબંધી કરવામાં આવી છે. અજ્ઞાત સ્થળે રખાયેલા ઉમેદવારોના મોબાઈલ ફોન પણ જમા કરાવી દેવાયા છે અને તેમને પરિવાર કે અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્ક ન કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ સ્થળો પર કોઈ નેતા કે કાર્યકરને પણ મુલાકાત લેવાની મનાઈ છે, જેથી કરીને બહારની દુનિયાથી ઉમેદવારોનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ જાય.
પાર્ટીએ માત્ર ઉમેદવારો જ નહીં, પરંતુ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને રહેઠાણ પર પણ ‘બાજ નજર’ ગોઠવી છે. ભાજપના કોઈ નેતા ઉમેદવારના પરિવાર સાથે સંપર્ક ન કરે તે માટે દરેક ઉમેદવારના ઘર પાસે બે વિશ્વાસુ કાર્યકરો તૈનાત કરવામાં આવ્યા છે. વધુમાં, અજ્ઞાત સ્થળે દરેક ઉમેદવારની દેખરેખ માટે બે ગુપ્ત ‘શેડો’ કાર્યકરોને પણ મૂકવામાં આવ્યા છે, જેઓ ઉમેદવારની હિલચાલનો સીધો રિપોર્ટ હાઈકમાન્ડને કરશે.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી વખતે નિલેશ કુંભાણી જે રીતે ગાયબ થયા હતા અને પરિણામે ફોર્મ રદ થવાથી કોંગ્રેસના ગઢમાં જે ગાબડું પડ્યું હતું, તેના કારણે પક્ષમાં ભારે ‘કુંભાણી ફોબિયા’ જોવા મળી રહ્યો છે. હારના ડર અને દગાથી બચવા માટે કોંગ્રેસે અપનાવેલી આ ‘અજ્ઞાત લોકેશન’ વાળી વ્યૂહરચના અત્યારે સુરત અને રાજકોટના રાજકારણમાં સૌથી મોટી કવાયત અને ચર્ચાનો વિષય બની છે.

