- Gujarat
- એવું શું થયું કે સુરતમાં જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો? જાણો શું છે તેમની મુખ્ય માંગ
એવું શું થયું કે સુરતમાં જૈન સમાજ રસ્તા પર ઉતરી આવ્યો? જાણો શું છે તેમની મુખ્ય માંગ
સમગ્ર દેશમાં અહિંસા, કરુણા અને શાંતિનો સંદેશ ફેલાવતા જૈન સંતો તેમજ સાધ્વીજીઓની સુરક્ષાને લઈને હાલ સમગ્ર જૈન સમાજમાં ભારે ચિંતા અને આક્રોશનો માહોલ છે. સુરતમાં આજે જૈન સમુદાય દ્વારા સાધુ-સાધ્વીજીઓના વિહાર વેળા દરમિયાન થતા અકસ્માતોના વિરોધમાં એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના રેવા ખાતે માર્ગ અકસ્માતમાં દિગંબર જૈન સાધ્વીજીઓ શ્રુતમતી માતાજી અને ઉત્સવ માતાજીના દુઃખદ અવસાન તેમજ ચોટીલા પાસે ઓમકાર શિખર વિજયજી મહારાજ સાહેબના નિધન બાદ જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં મધ્યપ્રદેશના રેવા અને ગુજરાતના ચોટીલા પાસે પગપાળા વિહાર કરી રહેલા જૈન સંતો અને સાધ્વીજીઓના માર્ગ અકસ્માતમાં થયેલા આકસ્મિક અને કથિત સુનિયોજિત મૃત્યુના વિરોધમાં સુરત મહાનગરના સમસ્ત જૈન સમુદાય દ્વારા એક વિશાળ અને ભવ્ય મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીના માધ્યમથી સુરતનો જૈન સમાજ દેશભરમાં વિહાર કરતા સાધુ-સંતોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર પાસે કડક અને વિશેષ કાયદો બનાવવાની તેમજ અકસ્માત સર્જનારા દોષિતોને ફાસ્ટ-ટ્રેક કોર્ટ દ્વારા સખત સજા અપાવવાની માંગ કરી રહ્યો છે.
પાર્લે પોઈન્ટથી નીકળેલી આ રેલીમાં દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી અને તેરાપંથી સહિતના સમગ્ર જૈન સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ મૌન રેલી મારફતે સમાજે અકસ્માતોની ઘટનાઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં જૈન અગ્રણીઓએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી હતી.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ રાજ્યોના હાઈવે પર વિહાર કરી રહેલા જૈન સંતો સાથે હિટ એન્ડ રનની અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરમાં બનેલી બે મોટી ઘટનાઓએ સમગ્ર જૈન શાસનને હચમચાવી દીધું છે, જેને કારણે સમાજ રસ્તા પર ઉતરવા મજબૂર બન્યો છે.
20 મે, 2026ના રોજ આચાર્ય ભગવંત શ્રી વિદ્યાસાગર જી મહારાજના પરમ શિષ્યા અને દિગંબર જૈન સમુદાયના અગ્રણી સાધ્વીજી શ્રુતમતી માતાજી તથા ઉપશમ માતાજી મધ્ય પ્રદેશના રેવા વિસ્તારમાં પગપાળા વિહાર કરી રહ્યા હતા, ત્યારે એક શંકાસ્પદ માર્ગ અકસ્માતમાં બંને સાધ્વીજીઓએ જીવ ગુમાવ્યા હતા. જૈન સમાજનો આરોપ છે કે આ માત્ર સામાન્ય અકસ્માત નથી, પરંતુ તેની પાછળ કોઈ ઊંડું ષડયંત્ર છે.
ત્યારબાદ ગઈકાલે 28 મેના રોજ ચોટીલા હાઈવે નજીક વિહાર કરી રહેલા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પૂજ્ય પંન્યાસ શ્રી ઓમકારશેખર વિજય જી મહારાજ પણ એક ભયાનક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા અને તેમણે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં દિગંબર અને શ્વેતાંબર સમાજના આટલા મોટા સંતોના જીવ જતા જૈન સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.
જૈન સમાજના અગ્રણી હિતેશકુમાર જૈને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ જેવા ક્ષેત્રોમાં ટાર્ગેટ કરીને ષડયંત્ર રૂપે જૈન સાધ્વીઓ, સાધુ ભગવંતોનો જીવ લેવામાં આવી રહ્યો છે, જે અત્યંત નિંદનીય છે. રેવા અકસ્માતના આરોપીઓ ભલે પકડાઈ ગયા હોય, પરંતુ તેની પાછળ રહેલા મુખ્ય ષડયંત્રકારીઓનો પર્દાફાશ થવો જરૂરી છે. ચોટીલામાં પંન્યાસ ઓમકારશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબની જે એક્સિડન્ટ રૂપે પણ હ*ત્યા થઈ છે, એ પણ ખૂબ નિંદનીય છે.
સમગ્ર જૈન સમાજ વતી સરકાર સમક્ષ મુખ્ય બે માંગ છે, જેમાં પહેલી ભારતભરમાં પગપાળા વિહાર કરતા તમામ સાધુ, સાધ્વી, સંતો અને મહંતોને સંપૂર્ણ સંરક્ષણ પૂરું પાડતો એક વિશેષ કેન્દ્રીય કાયદો બનાવવામાં આવે. ત્યારબાદ જૈન સમાજની બીજી માંગ છે કે સંતોના અકસ્માત અને હ*ત્યા પાછળ સંમિલિત તમામ દોષિતો સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને તેમને ફાંસી જેવી સખતમાં સખત સજા આપવામાં આવે.

