- Gujarat
- ‘કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો ત્યારે 2 કરોડ આપ્યા..’, સી.જે. ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ
‘કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યો ત્યારે 2 કરોડ આપ્યા..’, સી.જે. ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ
મહેસાણા જિલ્લામાંથી છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક ભાજપના નેતાઓની કથિત ઓડિયો ક્લિપ સામે આવી રહી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્યસભા સાંસદ મયંક નાયક વિશે ટીપ્પણીઓની ઓડિયો વાયરલ થયા બાદ હવે ત્રીજી ઓડિયો ક્લિપ સામે આવી છે. હવે જિલ્લા ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની સ્ફોટક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય વર્તુળો ભારે ચકચાર મચી ગઈ છે. આ વાયરલ ઓડિયો ક્લિપ વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડાની હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ માનવામાં આવી રહ્યું છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ ક્લિપમાં ચૂંટણીલક્ષી રણનીતિ અને નાણાંકીય વ્યવહાર અંગેની અત્યંત ચોંકાવનારી વાતો સામે આવી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સી.જે. ચાવડાએ તત્કીલન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યકાળ દરમિયાન ભાજપમાં જોડાયા હતા. વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં ચૂંટણી દરમિયાન મતદારોને રીઝવવા માટે પૈસાની વહેંચણી કરવામાં આવી હોવાનો ખુલ્લો સ્વીકાર કરવામાં આવ્યો છે. કથિત ઓડિયો ક્લિપમાં સી.જે. ચાવડા એવું કહેતા સંભળાય છે કે, મતદાન માટે પૈસા આપીને આપણે મતો મેળવી લીધા છે.
આ ઉપરાંત, પક્ષ પલટા અને ટિકિટના ગણિત અંગે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, 'હું જ્યારે કોંગ્રેસમાંથી આવ્યો અને વિધાનસભાની ચૂંટણી લડ્યો, ત્યારે મને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.' ભાજપમાં અન્ય નેતાઓને મળતા ચૂંટણી ફંડ અંગે કટાક્ષ કરતા ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ કોંગ્રેસમાંથી આવ્યા હોવાના કારણે તેમને બે કરોડ રૂપિયા મળ્યા હતા, બાકી અન્ય કોઈને 50 લાખ રૂપિયાથી ઉપર એક પણ પૈસો આપવામાં આવતો નથી.
આ ઓડિયો ક્લિપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગેની વ્યૂહરચનાનો પણ ઉલ્લેખ છે, જેમાં તાલુકા પંચાયત સ્તરે સર્વે કરાવીને 50-50 હજાર રૂપિયા આપવાની વાત કરવામાં આવી છે. તેમજ જે ઉમેદવાર સાવ ગરીબ હોય, તેને ચૂંટણી લડવા માટે 50 હજાર રૂપિયાની સહાય આપવાની ચર્ચા પણ સંભળાઈ રહી છે. રાજકીય વિશ્લેષકોના અનુમાન મુજબ, આ ઓડિયો ક્લિપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયની હોઈ શકે છે. મહેસાણા ભાજપમાં એક બાદ એક આવી ઓડિયો ક્લિપો વાયરલ થવાના કારણે પક્ષની આંતરિક જૂથબંધી અને ચૂંટણી પ્રક્રિયામાં નાણાંના પ્રભાવને લઈને વિપક્ષને બેઠા-બેઠા મોટો મુદ્દો મળી ગયો છે, જ્યારે સામાન્ય જનતામાં પણ આ બાબતે તીવ્ર ચર્ચાઓ જાગી છે. ભાસ્કરના અહેવાલ મુજબ, આ બાબતે વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડા ને ઓડિયો ક્લિપ બાબતે પૂછવા સંપર્ક કરવામાં આવતા તેમણે બે થી ત્રણ વાર ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. જેથી સંપર્ક થઈ શક્યો નહોતો.
કોણ છે સી.જે.ચાવડા?
રાજકારણમાં પ્રવેશ્યા પહેલા સી.જે. ચાવડા ગુજરાત સરકારમાં મોટા અધિકારી હતા. સી.જે. ચાવડાની કાર્યશૈલી જોઈને શંકરસિંહ વાઘેલાએ તેમને રાજકારણમાં પ્રવેશવા અપીલ કરી હતી. ત્યારબાદ તેમણે 2002માં ગાંધીનગર સીટ પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને તે સમયના ભાજપના મંત્રીને મોટી સરસાઈથી હરાવ્યા હતા. 2007ની ચૂંટણી હારી ગયા હતા અને 2017ની વિધાનસભાની ચૂંટણી ફરીથી જીત્યા હતા. ડિસેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગાંધીનગર ઉત્તરની બેઠક ડૉ. સી.જે.ચાવડા સાડા 4500 મતે જીત્યા હતા. ત્યારબાદ કોંગ્રેસે 16 મહિના બાદ 2019 લોકસભાની ચૂંટણી જંગમાં ગાંધીનગર બેઠક ઉપર ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સામે સ્થાનિક ધારાસભ્ય ડૉ. સી.જે.ચાવડાને જ ઉતાર્યા હતા. જો કે આ પરિણામોમાં સી.જે. ચાવડાને હારનો સામનો કરવો પડ્યો હતો.
જ્યારે 2022 વિધાનસભા ચૂંટણીમાં સી.જે.ચાવડાએ પોતાની બેઠક બદલી મહેસાણા જિલ્લાની વિજાપુર બેઠક પસંદ કરી હતી. ત્યારબાદ 12 ફેબ્રુઆરી, 2024ના રોજ તેઓ ભાજપમાં જોડાયા અને વિજાપુરથી પેટાચૂંટણી લડી વિધાનસભા પહોંચ્યા હતા.
આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી એ ભાજપની નીતિ અંગે ટીકા કરતા કહ્યું કે, ‘કોંગ્રેસના અને અન્ય પક્ષના લોકોને યેનકેન પ્રકારે તોડવા માટે ધનબળ, બાહુબળ, જૂદા-જૂદા કેસો અને વિવિધ લોભ લાલચો આપવામાં આવી જેના અનેક ઉદાહરણો આપણી સામે છે ત્યારે જે રીતનો આ ઓડિયો સામે આવ્યો છે એ ઓડિયો વિશે તંત્ર જ કહી શકે પણ એટલું નિશ્ચિત છે કે અમે પેહલા થી જ કહેતા હતા.’
તેમણે કહ્યું કે, ‘ભાજપની અંદર કરોડો રૂપિયાના કાળા નાણાંના કારણે બહુ મોટા પાયે ખરીદ કેન્દ્રો ચાલુ કર્યા છે અને આ ખરીદ કેન્દ્રોમાં દર વખતે કોંગ્રેસના ઉમેદવાર હોય કોંગ્રેસના ધારાસભ્યો હોય આગેવાન હોય તેને યેનકેન પ્રકારે દબાણ લાવવામાં આવે અને તેમને લોભ લાલચ આપીને નાણાંની લાલચ આપવામાં આવે.છે તેવું અમે સ્પષ્ટપણે કીધું પણ આ ઓડિયો જે રીતે સામે આવ્યો છે અને તે ઓડિયોની ખરાઈ કરવી જોઈએ અને તે હકીકત સ્પષ્ટ છે કે, અમે જે કહેતા હતા વારંવાર કે ભારતીય જનતા પાર્ટી કરોડો રૂપિયાના કાળા નાણાંથી ખરીદ વેચાણ સંઘ ચલાવે છે અને લોકતંત્રની હત્યા કરે છે. ગાંધીના ગુજરાત અને લોકતંત્ર માટે પણ ચિંતા નો વિષય છે હવે જ્યારે આ ઓડિયો સામે આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની કરની અને કથની સામે આવી ગઈ છે અને આ કથની પછી તેમણે ગુજરાતને સત્ય હકીકત જણાવવી જોઈએ.’

