- Gujarat
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નીતિન પટેલ બોલ્યા- ‘મારો એ સારો નહીં, પરંતુ સારો એ મારો સાથે..’
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નીતિન પટેલ બોલ્યા- ‘મારો એ સારો નહીં, પરંતુ સારો એ મારો સાથે..’
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા છે. ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે ચૂંટણીઓની તૈયારીઓને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખરી ઓપ આપી દીધો છે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ત્યારે કડી APMC ખાતે તેમના સન્માન સમારોહમાં સંબોધન કરતા નીતિન પટેલે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
નીતિન પટેલે સ્પષ્ટ કર્યું હતું કે ભાજપમાં ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટના આધારે થશે. તેમણે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સૂત્ર ‘મારો એ સારો નહીં, પરંતુ સારો એ મારો’ સાથે ટિકિટ આપવામાં આવશે. આનો અર્થ એ છે કે ચૂંટણીમાં કોઈ નેતાની ભલામણ કે સગાવાદ ચાલશે નહીં, પરંતુ જે કાર્યકર સારો, જમીન સાથે જોડાયેલો અને પ્રજામાં લોકપ્રિય હશે તેને જ ટિકિટ મળશે.
નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યની લગભગ 80 ટકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ટર્મ પૂરી થઈ ગઈ છે. આગામી 45 દિવસમાં 10,000થી વધુ ઉમેદવારોની પસંદગી કરવાની એક મોટી અને ઐતિહાસિક જવાબદારી પ્રદેશ ચૂંટણી સમિતિ પર છે. નવી OBC અનામત વ્યવસ્થા મુજબ રોસ્ટર પણ જાહેર થઈ ગયા છે, જેને ધ્યાનમાં રાખીને દરેક બેઠક માટે સક્ષમ ઉમેદવાર શોધવાનું કાર્ય ચાલી રહ્યું છે. પટેલે કહ્યું કે, પક્ષ પ્રત્યે સંપૂર્ણ વફાદાર અને નિષ્ઠાવાન, સમાજ સેવામાં અગ્રેસર, લોકોની વચ્ચે રહીને કામ કરતો અને સ્વચ્છ છબી ધરાવતો ઉમેદવાર જ પ્રાધાન્ય મેળવશે.
મીડિયા સાથે વાત કરતાં નીતિન પટેલે કહ્યું હતું કે, ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકાની આવી બધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે. તેની લગભગ 10 હજારથી વધુ ઉમેદવારોની પસંદગી કરવાની મોટી જવાબદારી સમિતિ સામે છે. ત્યારે સ્વાભાવિક બધા જ કાર્યકરોની ઈચ્છા હોય કે હું ઉમેદવાર બનું.
તેમણે વધુમાં કહ્યું કે, સ્વાભાવિક છે કે લાખો કાર્યકરોની ઈચ્છા હોય અને 10 હજાર ઉમેદવાર પસંદ કરવાના હોય ત્યારે ગુજરાત પ્રમુખ જગદીશભાઈએ જે એક સૂત્ર આપ્યું છે સારામાં સારા કાર્યકરો, પ્રમાણિક કાર્યકરો અને સેવાભાવી કાર્યકરોને પસંદ કરવામાં આવે. એટલે જ મેં ગઇકાલે કહેલું સારા કાર્યકરોને પસંદ કરવા, મારા કાર્યકર નહીં સારા કાર્યકર. મારો ઓળખીતો હોય, પરંતુ પસંદ કરવા લાયક ન હોય તો પસંદ કરવાના, પરંતુ સારા હોય, પ્રજામાં પ્રિય હોય, કાર્યકર હોય, સેવાભાવી હોય, પ્રમાણિક હોય, દેશભક્ત હોય એવા કાર્યકરોને પસંદ કરવાનો અમારી ચૂંટણી સમિતિ પ્રયાસ કરશે.

