- Politics
- 2019માં સરકારી અધિકારી પર કાદવ ફેકનારા BJP નેતા અને મંત્રી નિતેશ રાણેને 1 મહિનાની સજા, પણ જેલ નહીં જ...
2019માં સરકારી અધિકારી પર કાદવ ફેકનારા BJP નેતા અને મંત્રી નિતેશ રાણેને 1 મહિનાની સજા, પણ જેલ નહીં જાય
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણેને 2019ની 'કાદવ ઘટના'ના સંદર્ભમાં સિંધુદુર્ગની એક અદાલતે દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તેમને એક મહિનાની કેદની સજા ફટકારી છે અને કહ્યું કે કાયદો બનાવનારાઓએ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ. જોકે, કોર્ટે રાણેની સજાને સ્થગિત કરી દીધી અને તેમને ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરવા માટે સમય આપ્યો હતો, જ્યારે આ કેસમાં સંડોવાયેલા 29 અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
એક સમાચાર એજન્સી અનુસાર, આ ઘટના 4 જુલાઈ, 2019ની છે, જ્યારે નિતેશ રાણે કોંગ્રેસના ધારાસભ્ય હતા. મુંબઈ-ગોવા હાઇવે પહોળા કરવા માટે ચાલી રહેલા કામની નબળી ગુણવત્તા તેમજ રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાને કારણે રાણે ગુસ્સે હતા. તેમણે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના એન્જિનિયર પ્રકાશ શેડેકરને કણકાવલી નજીકના પુલ પર બોલાવ્યા અને તેમના સમર્થકો સાથે મળીને તેમના પર કાદવવાળું પાણી ફેંક્યું હતું. આટલું જ નહીં, એન્જિનિયરને બળજબરીથી કાદવમાંથી ચાલવાની ફરજ પાડવામાં આવી. ત્યારબાદ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણે સહિત 30 વ્યક્તિઓ સામે રમખાણ, સરકારી કર્મચારી પર હુમલો કરવા અને ગુનાહિત કાવતરું ઘડવા જેવા આરોપો દાખલ કરવામાં આવ્યા.
કોર્ટે નિતેશ રાણેને IPCની કલમ 504 (શાંતિનો ભંગ કરવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અપમાન) હેઠળ દોષિત ઠેરવ્યા અને તેમને એક મહિનાની જેલની સજા ફટકારી છે. આ કેસમાં અન્ય 29 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તો, રમખાણો અને સરકારી કર્મચારીને અવરોધવા જેવી વધુ ગંભીર કલમો હેઠળ પૂરતા પુરાવા મળ્યા નહીં, જેના કારણે રાણેને આ આરોપોમાંથી રાહત મળી.
એડિશનલ સેશન્સ જજ વી.એસ. દેશમુખે આ કેસની સુનાવણી કરતા રાજકારણીઓના વર્તન અંગે કડક ટિપ્પણી કરી. તેમણે ટિપ્પણી કરી કે, ‘જો રાણેનો હેતુ કામની નબળી ગુણવત્તા અને જનતાને પડી રહેલી મુશ્કેલીઓ સામે અવાજ ઉઠાવવાનો હોય, તો પણ તેમણે જાહેરમાં સરકારી કર્મચારીનું અપમાન કે બેઇજ્જતી ન કરવી જોઈએ.’ ન્યાયાધીશે કહ્યું કે, ‘જો આવી ઘટનાઓ ચાલુ રહેશે, તો સરકારી કર્મચારીઓ તેમની ફરજો ગૌરવ સાથે નિભાવી શકશે નહીં.’ આ કૃત્યને સત્તાનો દુરુપયોગ ગણાવતા કોર્ટે કહ્યું કે આવી પ્રવૃત્તિને રોકવી સમયની માંગ છે.
રેકોર્ડ પરના પુરાવાઓની તપાસ કર્યા પછી, કોર્ટે કહ્યું કે ફરિયાદી NHAIમાં ઉચ્ચ પદ પર હતા. તેમ છતા તેમની સામે કાદવવાળા પાણીમાં ચાલવાની ફરજ પડી હતી. આનાથી તેમને નિઃશંકપણે અપમાન અને બેઈજ્જતી થઈ હશે. જજે સ્વીકાર્યું કે એન્જિનિયર શેડેકરને કાદવવાળા પાણીમાં ચાલવા માટે મજબૂર કરવાથી ફરિયાદીનું ઇરાદાપૂર્વક અપમાન થયું અને તે એક એવી ઉશ્કેરણીજનક હરકત હતી, જેથી જાહેર શાંતિને ખલેલ પહોંચાડવાનું જોખમ હતું.

