સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ સુરતમાં પોસ્ટર વૉર, ભાજપ વિરોધી પોસ્ટર કોણે લગાવ્યા? AAPએ...
ગુજરાતમાં આગામી મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે, હજી ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત કરાઇ નથી, પરંતુ તેના પડઘમ અત્યારથી જ સંભળાવા લાગ્યા છે. ચૂંટણીનો ગરમાવો જેવો જ વધે કે રાજકીય પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દૌર શરૂ થઈ જાય. ઉનાળાના ગરમાવા વચ્ચે સુરતમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
રવિવારે વહેલી સવારે સુરતના ડિંડોલી અને કતારગામ દરવાજા જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટરો જોવા મળતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ પોસ્ટરોમાં જનતાને સ્પર્શતા પાયાના મુદ્દાઓ લખીને સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરતના જે વિસ્તારોમાં આ પોસ્ટરો લાગ્યા છે તેમાં ડિંડોલી અને કતારગામ મુખ્ય છે. આ વિસ્તારોના મુખ્ય રસ્તાઓ, ટ્રાફિક સર્કલ, બ્રિજના પીલર અને જાહેર દિવાલો પર રાતોરાત અજાણ્યા લોકો દ્વારા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે. સવારે જ્યારે લોકો નોકરી-ધંધા માટે નીકળ્યા ત્યારે આ પોસ્ટરો જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં પણ આ પોસ્ટરોની તસવીરો અને વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થઈ ગયું હતું.
આ પોસ્ટરોમાં કોઈ એક વ્યક્તિ કે પક્ષનું નામ લખ્યું નહોતું, પરંતુ કમળના નિશાન પર લાલ કલરથી ચોકડી મારવામાં આવી હતી. પોસ્ટરમાં ખાસ કરીને 5 મુદ્દાઓને હાઇલાઇટ કરવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘આ મોંઘવારીથી હવે તો થાક્યા’, ‘આ મોંઘા શિક્ષણથી હવે તો થાક્યા’, ‘આ ભ્રષ્ટાચારથી હવે તો થાક્યા’, ‘આ ટ્રાફિક જામથી હવે તો થાક્યા’. આ વાક્યો સીધી રીતે જનતાની વેદના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદ નીચે ભાજપના નિશાન પર લાલ રંગની ચોકડી મારવામાં આવી છે
પોસ્ટરોમાં આવા લખાણો લખીને ખાનગી શાળાઓની વધતી ફી અને મોંઘા શિક્ષણ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં ચાલતા કથિત ભ્રષ્ટાચારને મુદ્દો બનાવવામાં આવ્યો છે. સાથે-સાથે સુરતની વિકટ સમસ્યા બની ગયેલા ટ્રાફિક જામને કારણે લોકોની હાલાકીને પણ વણી લેવામાં આવી છે. શહેરમાં ચર્ચાઈ રહેલા દારૂ અને ડ્રગ્સના દૂષણ પર પણ કટાક્ષ કરવામાં આવ્યો છે.
આ પોસ્ટરમાં સૌથી ચર્ચાસ્પદ વાત એ છે કે, પોસ્ટરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નું ચૂંટણી નિશાન 'કમળ' પર લાલ રંગથી ચોકડી (X) મારવામાં આવી છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે આગામી ચૂંટણીમાં ભાજપને નકારવાની અપીલ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ રાજકીય પક્ષ કે સંગઠને આ પોસ્ટરો લગાવવાની જવાબદારી સ્વીકારી નથી. હવે સૌથી મોટો સવાલ તો એ છે આ પોસ્ટરો લગાવ્યા કોણે? આની પાછળ સામાન્ય જનતા તો હોય નહીં શકે કારણ કે તેને પોતાના સાંસારિક જીવન અને જરૂરિયાતો પૂર્ણ કરવા માટે દોડધામ કરવામાંથી સમય જ ક્યાં મળે છે? આ મુદ્દો ક્યાંક કે ક્યાંક કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો હોય શકે છે.
એક સ્થાનિકે જણાવ્યું હતું કે, સુરત શહેરની અંદર, સવારે હું રિંગરોડ ગયો મારા કામથી, મારા કામથી ઉધના ગયો, મારા કામથી કતારગામ વિસ્તારની અંદર મેં ઘણી જગ્યાએ આ પોસ્ટર જોયા છે અને ઘણી જગ્યાએ આ પોસ્ટરની સાથે આ સુરતની જનતાની સચ્ચાઈ દેખાઈ રહી છે. ઘણા લોકો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે, અત્યારે તમે હાલમાં જોઈ રહ્યા છો કે લોકો ગેસના બાટલાની લાઇનમાં ઉભા રહી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોની અંદર, આ 30 વર્ષના શાસનની અંદર ઘણા લોકો કોઈ ગેસની લાઈનમાં છે, કોઈ નોટબંધીની લાઈનમાં છે, કોઈ પેટ્રોલની લાઈનમાં છે એટલે આ દેશની જનતાને એક જાગૃત થવાની જરૂર છે.
તો સુરત AAPએ ફેસબુક પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, ‘સુરત શહેરમાં લાગ્યા ભાજપ વિરોધી પોસ્ટરો જનતા એ સ્વયંભૂ ભાજપ નો વિરોધ ચાલુ કરી દીધો છે.’ અન્ય એક પોસ્ટમાં લખ્યું કે, 'હવે તો થાક્યા આ ભાજપીઓએ ગુજરાતમાં ફેલાવેલા દૂષણ થી... ગુજરાત ની જનતા એ પોતાના બાળકો ને આ દૂષણ થી દૂર રાખવા માટે હવે ભાજપ ને સત્તા થી દૂર કરવી જ પડશે...' ત્રીજી પોસ્ટમાં AAP એ લખ્યું કે, 'ભાજપ થી થાકેલી સુરતની જનતા નો અવાજ જનતા ની વેદના..'

