- Gujarat
- ભાજપના ધારાસભ્ય ભગવાન બારડની આહિર સમાજને ચીમકી- ‘તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બ...
ભાજપના ધારાસભ્ય ભગવાન બારડની આહિર સમાજને ચીમકી- ‘તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ’
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘમો હવે થવાના આરે છે. 24 એપ્રિલે આ ચૂંટણી પડઘમ શાંત થઈ જશે અને 26 તારીખે તમામ ઉમેદવારોના ભાવી EVMમાં સીલ થઈ જશે. ચૂંટણી પડઘમ શાંત થાય એ અગાઉ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં એક નિવેદનને કારણે ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
ધારાસભ્ય ભગવાન બારડે આહીર સમાજને સંબોધતા એક એવું નિવેદન આપ્યું છે, જેને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. VTV ગુજરાતીના અહેવાલ મુજબ, સુત્રાપાડા નજીક ગોરખમઢીમાં યોજાયેલી ભાજપની સભા દરમિયાન તેમણે મતદાતાઓને સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો કે, મતદાન સમયે વિશ્વાસ જાળવવો જરૂરી છે.
ધારાસભ્ય ભગવાન બારડે સભા દરમિયાન જણાવ્યું હતું કે, ‘સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્ત્વપૂર્ણ છે. જો આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે છે.’ તેમના નિવેદનનો સાર એવો હતો કે, મતદાન સમયે કોઈ ગેરસમજ અથવા ભૂલ ન થવી જોઈએ, કારણ કે તે વિશ્વાસને અસર કરી શકે છે. તેમણે એ પણ ઉમેર્યું કે, તેઓ સમાજના સમર્થન પર આધાર રાખીને રાજકીય નિર્ણય લે છે, એટલે આ સંબંધ મજબૂત રહેવું જરૂરી છે.
આ સાથે તેમણે આહીર સમાજના લોકોને મતદાનમાં ભૂલ ન કરવા કહ્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે, ‘તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઇ જશે. ભરોસો તોડનાર વ્યક્તિને હું નહીં સ્વીકારું, અમે તમારા વતી કોઈકને ભરોસો આપીને બેઠા છીએ એટલે તમારો અને મારો વિશ્વાસ ન તૂટે એનું ધ્યાન રાખજો.’ આ નિવેદનને કેટલાક લોકો કડક ચેતવણી તરીકે જોતા હોય છે, જ્યારે કેટલાક તેને રાજકીય ભાવનાત્મક અપીલ માને છે.
ભગવાન બારડનું આ નિવેદન સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. લોકોમાં અને રાજકીય વર્તુળોમાં આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. હવે એ જોવાનું રહેશે કે, આગામી આ નિવેદનની સમયમાં આહીર સમાજ અને સ્થાનિક રાજનીતિ પર શું અસર પડશે.

