- Gujarat
- અંધશ્રદ્ધામાં કાચબાનું શાક બનાવીને ખાતા મજૂરોને ભાવનગર વનવિભાગે દબોચ્યા
અંધશ્રદ્ધામાં કાચબાનું શાક બનાવીને ખાતા મજૂરોને ભાવનગર વનવિભાગે દબોચ્યા
ભાવનગર વન વિભાગ દ્વારા અંધશ્રદ્ધા અને વન્યજીવ શિકારનો એક અત્યંત ચોંકાવનારો અને અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં લાવવામાં આવ્યો છે. ભાવનગર એરપોર્ટ પરિસરમાંથી વન વિભાગની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ચાર પરપ્રાંતીય શ્રમિકોને કાચબા સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, વાઈ (એપિલેપ્સી)ની બીમારી કાચબો ખાવાથી મટી જાય છે તેવી વ્યાપક અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાના કારણે આ શ્રમિકોએ ખાવા માટે કાચબાનું શાક બનાવ્યું હતું. આ ઘટનાને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ભારે આશ્ચર્ય અને રોષ વ્યાપી ગયો છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ભાવનગર એરપોર્ટમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા બાંધકામના કામોમાં બિહારના કેટલાક પરપ્રાંતીય શ્રમિકો કામ કરે છે. જેમાં એક શ્રમિક વાઈ (એપિલેપ્સી)ની બીમારીથી પીડાય છે. તે કાચબો મારીને ખાવાથી એપિલેપ્સી મટી જશે તેવી ગેરમાન્યતા સાથે 2 કાચબા લાવ્યો હતો. એપિલેપ્સીથી પીડિત શ્રમિકે 2 પૈકીનો જીવ લીધો અને શાક બનાવ્યું હતું. આ દરમિયાન ભાવનગર વન વિભાગના અધિકારીઓને આ અંગે બાતમી મળી ગઇ હતી.
ભાવનગર વન વિભાગને બાતમી મળી હતી કે, શહેરના એરપોર્ટ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન કામગીરીમાં જોડાયેલા કેટલાક મજૂરો દ્વારા વન્ય પ્રાણીનો શિકાર કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે વન વિભાગના સ્ટાફે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન, આરોપીઓ પાસેથી એક જીવંત કાચબો અને એક રાંધેલો કાચબો મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી FSL ટીમ, ફોરેસ્ટ વેટરનરી ઓફિસર અને સરકારી પંચોની હાજરીમાં સ્થળ તપાસ કરી તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ભાવનગર વન વિભાગના અધિકારીઓ ભાવનગર એરપોર્ટમાં પહોંચી મુખ્ય આરોપી શ્રમિક સહિત મદદગારીમાં સામેલ અન્ય ત્રણ શ્રમિકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ભાવનગર વન વિભાગની તપાસમાં ચારેય આરોપીના તાબામાંથી એક કાચબાને છોડાવી વન વિભાગની વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 (સુધારા અધિનિયમ 2022) અન્વયે નિયમો અનુસાર કડક કાર્યવાહી શરૂ કરી છે.
આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ઓળખ રવિન પાસવાન, રામ પુકાર પાસવાન, આનંદકુમાર મહંતો અને વિજયકુમાર મહંતો તરીકે થઈ છે, જેઓ મૂળ બિહારના વતની છે અને એરપોર્ટના કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં મજૂરી કામ કરતા હતા. વન વિભાગ દ્વારા આ ચારેય આરોપીઓ વિરુદ્ધ 'વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972' (સુધારા અધિનિયમ 2022) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા આરોપીઓના 3 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, જે અંગેનો નિર્ણય હવે કોર્ટ કરશે.
આ ઘટના બાદ વન વિભાગે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે, આવી અંધશ્રદ્ધા કે ખોટી વાતોમાં દોરવાઈ જવું નહીં. વન્ય પ્રાણીઓને હેરાન કરવા કે તેમનો શિકાર કરવો એ ગંભીર ગુનો છે. જો આસપાસ કોઈ વન્ય પ્રાણી જોવા મળે, તો તેને નુકસાન પહોંચાડવાને બદલે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવો. પ્રકૃતિ અને વન્ય પ્રાણીઓનો આ અમૂલ્ય વારસો જાળવી રાખવો એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. સહિયારા પ્રયાસોથી જ આપણે પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ કરી શકીશું.
આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી.જી.ગલાણીએ જણાવ્યું હતું કે, ભાવનગર વન વિભાગની બાતમીના આધારે વન વિભાગના સ્ટાફે રેડ કરતા રંગે હાથે એક જીવંત કાચબો અને એક બાફી રાંધેલો કાચબો મળ્યો હતો. બાદમાં ફોરેસ્ટ વેટેરનરી ઓફિસર, સરકારી પંચો દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને બાદમાં 4 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972, સુધારા અધિનિયમ 2022ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

