- Politics
- રાજ્યસભામાં ભાજપના કદમાં વધારો... AAPના 7 સાંસદોના વિલીનીકરણને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને...
રાજ્યસભામાં ભાજપના કદમાં વધારો... AAPના 7 સાંસદોના વિલીનીકરણને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આપી મંજૂરી
રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આમ આદમી પાર્ટી (AAP)માંથી અલગ થયેલા એક જૂથના વિલીનીકરણને મંજૂરી આપી છે. AAPના 7 સાંસદોના એક જૂથે ગયા અઠવાડિયે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવા માટે પાર્ટી છોડી દીધી હતી. AAPએ આ બળવાખોર સાંસદોને ગેરલાયક ઠેરવવાની માંગ કરી હતી, પરંતુ અધ્યક્ષે આ જૂથના ભાજપમાં વિલીનીકરણને મંજૂરી આપી દીધી છે. રાજ્યસભા સચિવાલયે આ સંદર્ભમાં એક અધિસૂચના પણ જાહેર કરી છે.
બળવાખોર જૂથના વિલીનીકરણ સાથે જ ભાજપમાં રાજ્યસભામાં વધુ શક્તિશાળી બની ગઇ છે, અને તેની સભ્ય સંખ્યા પણ વધી ગઇ છે. રાજ્યસભામાં ભાજપના સાંસદોની સંખ્યા હવે 113 થઈ ગઈ છે. તેનાથી વિપરીત, ગયા અઠવાડિયા સુધી 7 સાંસદોવાળી AAP પાસે હવે ફક્ત 3 સાંસદો બાકી રહી ગયા છે. AAP છોડી ગયેલા 7 સાંસદોમાંથી 6 પંજાબથી રાજ્યસભાના સભ્ય છે.

ગયા શુક્રવારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે રાઘવ ચઢ્ઢા, હરભજન સિંહ, અશોક મિત્તલ, સંદીપ પાઠક, વિક્રમ સાહની, રાજેન્દ્ર ગુપ્તા અને સ્વાતિ માલીવાલ એકસાથે પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. પાર્ટી છોડતા આ સાંસદોએ આરોપ લગાવ્યો કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની પાર્ટી તેના મૂળ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોથી ભટકી ગઈ છે. તો, AAPના અન્ય એક સાંસદ બલબીર સિંહ સીચેવાલનો દાવો છે કે રાજ્યસભાના સાંસદ વિક્રમજીત સિંહ સાહનીએ તેમની સાથે આઝાદ જૂથમાં જોડાવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે ના પાડી દીધી હતી.
આ ઘટનાક્રમ અગાઉ, AAP સાંસદ સંજય સિંહે રવિવારે અધ્યક્ષ રાધાકૃષ્ણનને પત્ર લખીને ઉપલા ગૃહના 7 સાંસદોને ગેરલાયક ઠેરવવાનો અનુરોધ કર્યો હતો, જેમણે તાજેતરમાં AAP છોડીને ભાજપમાં વિલયની જાહેરાત કરી હતી. સંજય સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ 7 રાજ્યસભા સભ્યો દ્વારા લેવામાં આવેલું પગલું પક્ષપલટા સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જરૂરીયાત પડવા પર પાર્ટી આ મામલે કાનૂની કાર્યવાહી શરૂ કરશે.

AAPએ પાર્ટી છોડનારા સાત સાંસદોનું સભ્યપદ સમાપ્ત કરવા વિનંતી કરી છે, અને દાવો કર્યો છે કે આ સાંસદો AAP ટિકિટ પર ઉપલા ગૃહમાં ચૂંટાયા હતા પરંતુ ત્યારબાદ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. સંજય સિંહે દાવો કર્યો હતો કે ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશને લગતા કેસો સહિત સુપ્રીમ કોર્ટના અનેક ચૂકાદાઓમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પક્ષપલટાના આવા કિસ્સાઓમાં કયા પ્રકારે તેમના પદ પરથી ગેરલાયક ઠેરવી શકાય છે.

