- National
- બંગાળમાં બબાલ: મસ્જિદબાડી રોડનું નામ બદલીને 'નેતાજીપલ્લી રોડ' કરી દેવાયું! પાર્ટીની જીત બાદ ભાજપના ક...
બંગાળમાં બબાલ: મસ્જિદબાડી રોડનું નામ બદલીને 'નેતાજીપલ્લી રોડ' કરી દેવાયું! પાર્ટીની જીત બાદ ભાજપના કાર્યકરોએ સાઇનબોર્ડ હટાવ્યા, જુઓ વીડિયો
પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. આ વખતે પશ્ચિમ બંગાળમાં ખેલ થઈ ગયો અને શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ભાજપની બમ્પર જીત થઈ છે. ભાજપે બંગાળમાં 206 બેઠકો જીતી છે ત્યારે તૃણમૂલ કોંગ્રેસ 80 પર સમેટાઇ ગઈ છે. આ ઉપરાંત કોંગ્રેસને 2 અને AJUPને 2 બેઠકો મળી છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં, મમતા બેનર્જીની આગેવાની હેઠળની TMCના 63 ટકા મંત્રીઓએ તેમની વિધાનસભા બેઠકો ગુમાવી હતી. TMC સરકારના 35 મંત્રીઓમાંથી 22 મંત્રીઓ ચૂંટણીમાં હારી ગયા હતા. મમતા બેનર્જી પણ પોતાની બેઠક જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. ભાજપની બમ્પર જીત વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મતગણતરીના પરિણામ આવ્યા બાદ બંગાળના અન્ય વિસ્તારની જેમ બારાસાદ જિલ્લામાં પણ તણાવ જોવા મળી રહ્યો છે.
Zee ન્યૂઝના અહેવાલ મુજબ, અનેક સ્થળોએથી રાજકીય સમર્થકો વચ્ચે ઘર્ષણના અહેવાલો સામે આવ્યા છે. આ આ દરમિયાન બારાસત પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા નોઆપાડા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એવો આરોપ છે કે મસ્જિદબાડી રોડનું નામ બદલીને 'નેતાજીપલ્લી રોડ' કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે રસ્તાના સાઇનબોર્ડ પણ બદલવામાં આવ્યા છે.
સ્થાનિક રહેવાસીઓના એક વર્ગે આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે, જેના કારણે વિસ્તારમાં સતત તણાવ વધી રહ્યો છે. જોકે, વહીવટીતંત્રએ અત્યાર સુધી આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જગાવી છે. હાલમાં, વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને વિસ્તારમાં શાંતિ જાળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
તો બીજી તરફ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની શાનદાર જીત બાદ આસનસોલમાં વર્ષોથી બંધ એક મંદિર ફરી ખુલ્યું છે. જિલ્લાના તમામ 9 વિધાનસભા મતવિસ્તારોમાં વિજય મેળવ્યા બાદ, શહેરના બસ્તિન બજારમાં સ્થિત શ્રી દુર્ગામાતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દુર્ગા મંદિરના દરવાજા ઘણા વર્ષો બાદ સામાન્ય જનતા માટે ખોલવામાં આવ્યા છે.

