- Politics
- ગુજરાતમાં ભાજપને 309 કરોડ રૂપિયા દાન મળ્યું, AAP-કોંગ્રેસને માત્ર આટલા રૂપિયા જ મળ્યા
ગુજરાતમાં ભાજપને 309 કરોડ રૂપિયા દાન મળ્યું, AAP-કોંગ્રેસને માત્ર આટલા રૂપિયા જ મળ્યા
વર્ષ 2024-25 દરમિયાન રાષ્ટ્રીય રાજકીય પક્ષોને મળેલા કુલ 6648.56 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ દાનમાં ગુજરાતનો 309.18 કરોડ રૂપિયાનો હિસ્સો સામે આવ્યો છે. તેમાંથી 308 કરોડ માત્ર ભાજપને મળ્યા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે (ADR) દ્વારા જાહેર કરેલા રિપોર્ટ મુજબ, ગુજરાતમાંથી કોંગ્રેસને માત્ર 13 લોકોએ 69 લાખ રૂપિયા દાન કર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ને 11 દાતાઓએ 10 લાખ આપ્યા હતા.
ટોપ-3 રાજ્યોની વાત કરીએ તો દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજા સ્થાને આવે છે, પરંતુ પાર્ટી વાઇઝ વિતરણમાં ભારે તફાવત જોવા મળે છે. ગુજરાતમાંથી ભાજપને 308.38 કરોડ રૂપિયાનું જંગી દાન મળ્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર 0.696 કરોડ રૂપિયા અને આમ આદમી પાર્ટીને ₹0.101 કરોડ મળ્યા છે. આ એકતરફી દાનનો પ્રવાહ રાજકીય સ્પર્ધાની સમાનતા પર સવાલ ઊભા કરે છે.
ભાજપને મળેલા દાનમાંથી 50% એટલે કે 154 કરોડથી વધુ દાન બિલ્ડર-કન્સ્ટ્રક્શન-ઇન્ફ્રા કંપનીઓ તરફથી મળ્યું છે. કુલ 1562 દાતાઓમાંથી 98% એટલે કે 1538 દાતા માત્ર ભાજપના છે. ભાજપને 81% દાન કોર્પોરેટ કંપનીઓ તરફથી મળ્યું છે. કોંગ્રેસને સૌથી વધુ સંજયકુમાર સિંહ નામના વ્યક્તિ 25 લાખ દાન આપ્યા હતા. જ્યારે AAPને દિપાન્નીતા સેનગુપ્તા નામની વ્યક્તિએ 6 લાખ દાન કર્યા હતા.
ભાજપના ટોપ-10 દાતાનું 52% દાન
મુખ્ય દાતાઓ અને દાનની રકમની વિગત
સફલ-ગોયલ રિઅલ્ટી- 45 કરોડ
દિનેશચંદ્ર અગ્રવાલ- 21 કરોડ
હાર્દિક અગ્રવાલ- 20 કરોડ
શ્રી કેદાર એગ્રો- 15 કરોડ
નિરમા- 13 કરોડ
જિગર ટ્રાન્સપોર્ટ- 11 કરોડ
પીસી પટેલ ઇન્ફ્રા- 11 કરોડ
ફ્રેન્ડ ઇમ્પેક્સ- 10 કરોડ
સૌરાષ્ટ્ર- 10 કરોડ
હિમગિરી કોર્પો- 5 કરોડ.
ભાજપને સૌથી વધુ દાન બિલ્ડર-કન્સ્ટ્રક્શન-ઇન્ફ્રા કંપનીઓમાંથી મળ્યું છે. ત્યારબાદ સૌથી વધુ 40 કરોડ કેમિકલ-માઇનિંગ, 30 કરોડ ખેતી ક્ષેત્રની કંપનીમાંથી, 25 કરોડ સિમેન્ટ-મેન્યુફેક્ચરિંગ, 15 કરોડ લોજિસ્ટિક, 10 કરોડ હેલ્થ, 35 કરોડ દાન અન્ય ક્ષેત્રની કંપનીઓમાંથી મળ્યું છે. ભાજપને કંપની સિવાય 200 લોકોએ (19%) દાન આપ્યું. કોર્પોરેટ દબદબો, સામાન્ય દાતાઓ ગાયબ ગુજરાતમાંથી મળેલા કુલ દાનમાં 250.44 કરોડ રૂપિયા (લગભગ 81%) ફાળો કોર્પોરેટ/બિઝનેસ હાઉસિસનો છે, જ્યારે વ્યક્તિગત દાતાઓનો ફાળો માત્ર ₹57.55 કરોડ (19%) રહ્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે રાજકીય દાનમાં સામાન્ય નાગરિકોની ભાગીદારી ખૂબ ઓછી રહી છે અને મોટા ઉદ્યોગગૃહોનું પ્રભુત્વ વધી રહ્યું છે.
આ પરિસ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે, શું મોટા દાતાઓના હિતોને ધ્યાનમાં રાખીને નીતિ નિર્ણયો લેવામાં આવશે? શું આર્થિક શક્તિ રાજકીય દિશા નક્કી કરી રહી છે? કોંગ્રેસ અને AAPને મળેલા નગણ્ય દાન દર્શાવે છે કે, રાજ્યમાં વિરોધ પક્ષો માટે જરૂરી આર્થિક સપોર્ટ ઉપલબ્ધ નથી. લોકશાહી માટે મજબૂત વિરોધ પક્ષ જરૂરી હોય છે, પરંતુ દાનના અભાવે તેમની અસરકારકતા ઘટી શકે છે.
ટોચના દાતાઓની યાદીમાં મોટા ઉદ્યોગપતિઓ અને કંપનીઓનો જ દબદબો છે. થોડા જ દાતાઓ દ્વારા કરોડો રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે, જે રાજકીય ફંડિંગના કેન્દ્રિકરણ તરફ ઈશારો કરે છે. નાના દાતાઓની ભૂમિકા અહીં લગભગ ગાયબ દેખાય છે. કેટલાક દાતાઓએ એકથી વધુ વખત દાન આપ્યું છે અને ટ્રસ્ટ તથા સંસ્થાઓ માર્ફતે પણ ફંડિંગ થયું છે. આ પ્રકારની વ્યવસ્થા પારદર્શિતા પર પ્રશ્નો ઊભા કરે છે, કારણ કે દાનના મૂળ સ્ત્રોત વિશે સંપૂર્ણ સ્પષ્ટતા રહેતી નથી. ગુજરાતના આ આંકડાઓ દર્શાવે છે કે રાજકીય દાનમાં અસંતુલન વધી રહ્યું છે. ભાજપને મળતો વિશાળ ફાળો તેની મજબૂત સ્થિતિ દર્શાવે છે, પરંતુ વિરોધ પક્ષોને મળતો નગણ્ય ફાળો લોકશાહીના સ્વસ્થ માળખા માટે ચિંતાજનક છે.
કોર્પોરેટ દાતાઓનો વધતો પ્રભાવ રાજકીય અને નીતિગત નિર્ણયો પર અસર કરી શકે છે. આવી પરિસ્થિતિમાં પારદર્શિતા, જવાબદારી અને સમાન તક આ ત્રણેય મુદ્દા હવે કેન્દ્રસ્થાને આવી રહ્યા છે.આગામી સમયમાં સવાલ એ રહેશે કે, શું રાજકીય દાનમાં સંતુલન લાવવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવશે કે નહીં.

