- Politics
- વિજયને સપોર્ટ કરી તમિલનાડુમાં કોંગ્રેસે DMK સાથેનો 55 વર્ષ જૂનો સંબંધ તોડ્યો
વિજયને સપોર્ટ કરી તમિલનાડુમાં કોંગ્રેસે DMK સાથેનો 55 વર્ષ જૂનો સંબંધ તોડ્યો
તમિલનાડુના રાજકારણમાં બુધવારે એક અત્યંત મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) સાથેનો પોતાનો 55 વર્ષ જૂનો લાંબો સંબંધ તોડી નાખ્યો છે. કોંગ્રેસે હવે રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે સુપરસ્ટાર વિજયની પાર્ટી તમિઝાગા વેત્રી કઝગમ (TVK) ને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.
કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે TVK સાથેનું આ ગઠબંધન માત્ર અત્યારે સરકાર બનાવવા પૂરતું સીમિત નથી. સત્તાવાર નિવેદનમાં જણાવ્યા અનુસાર, પરસ્પર સન્માન અને યોગ્ય ભાગીદારી પર આધારિત આ ગઠબંધન આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ માટે પણ અકબંધ રહેશે.

કોંગ્રેસે TVK ને ટેકો આપવા માટે એક કડક શરત પણ મૂકી છે. તમિલનાડુ કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ લેજિસ્લેટિવ પાર્ટી (CLP) એ જણાવ્યું છે કે, તેમનો ટેકો ત્યારે જ ચાલુ રહેશે જો TVK આ ગઠબંધનથી એવી કોઈ પણ કોમવાદી શક્તિઓને દૂર રાખશે જે ભારતના બંધારણમાં માનતી નથી.
DMK સાથે છેડો ફાડવા અંગે વાત કરતા કોંગ્રેસના સાંસદ જ્યોતિમણિએ ભૂતકાળની યાદ અપાવી હતી. તેમણે કહ્યું રાજકારણમાં ગઠબંધન બનવા અને તૂટવા એ સ્વાભાવિક પ્રક્રિયા છે. વર્ષ 2014 ની લોકસભા ચૂંટણીના માત્ર એક અઠવાડિયા પહેલા જ DMK એ કોંગ્રેસને ગઠબંધનમાંથી હાંકી કાઢી હતી અને અમારે એકલા લડવું પડ્યું હતું. તેમણે ઉમેર્યું કે હવે તમિલનાડુના ભવિષ્ય અને કલ્યાણ માટે કોંગ્રેસે TVK સાથે જવાનો નિર્ણય સર્વાનુમતે લીધો છે.
જ્યોતિમણિએ વધુમાં જણાવ્યું કે અત્યારે જ્યારે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પોતે ચૂંટણી હારી ગયા છે, ત્યારે તેમની ટીકા કરવી એ કોંગ્રેસની સંસ્કૃતિ નથી. અમે પરસ્પર સન્માન સાથે અલગ થવા માંગીએ છીએ અને તમિલનાડુના હિતમાં આગળ વધવા માંગીએ છીએ.

બીજી તરફ, DMK નેતા કનિમોઝીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસનો TVK ને ટેકો આપવાનો નિર્ણય એ તેમનો પક્ષગત નિર્ણય છે. અમે સાથે મળીને ચૂંટણી લડ્યા હતા, પરંતુ હવે તેઓ શું કરવા માંગે છે તેમાં અમારે કંઈ કહેવાનું નથી.
વિજયની પાર્ટી TVK ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ તે બહુમતીના આંકડાથી 10 બેઠકો દૂર હતી. વિજયે સત્તાવાર રીતે કોંગ્રેસ પાસે ટેકો માંગ્યો હતો, જે હવે સ્વીકારી લેવામાં આવ્યો છે. હવે જ્યારે બંને પક્ષો વચ્ચે ગઠબંધન પાકું થઈ ગયું છે, ત્યારે ચેન્નાઈમાં યોજાનારા વિજયના શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી હાજરી આપશે તેવી શક્યતા છે.

