- Politics
- નવજોત કૌર સિદ્ધુએ બનાવી નવી પાર્ટી; ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ
નવજોત કૌર સિદ્ધુએ બનાવી નવી પાર્ટી; ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ
કોંગ્રેસ પાર્ટીમાંથી હકાલપટ્ટી બાદ ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે, ડૉ. નવજોત કૌર સિદ્ધુએ પોતાની નવી પાર્ટીની રચનાની જાહેરાત કરીને એક મોટું રાજકીય પગલું ભર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને 'ભારતીય રાષ્ટ્રવાદી પાર્ટી'ની સ્થાપનાની જાહેરાત કરી છે. તેમના નિવેદનમાં નવજોત કૌર સિદ્ધુએ જણાવ્યું હતું કે, ‘વર્તમાન રાજકીય નેતૃત્વના કામકાજનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા બાદ, રાષ્ટ્રીય સ્તરે એક નવો વિકલ્પ તૈયાર કરવાની દિશામાં કામ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય દેશ અને લોકોની સેવા કરવાનો અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો છે. તેમણે પોતાના સંદેશમાં આધ્યાત્મિક દૃષ્ટિકોણ અને 'સત્ય અને પ્રેમ'ના માર્ગ પર ચાલવાની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓ સાથે મળીને રાજયમાં ન્યાય, શાંતિ અને સેવાના લક્ષ્યો સાથે દરેક રાજ્યમાં કાર્ય કરવામાં આવશે.
https://twitter.com/NavjotSidh42212/status/2041191974347194474?s=20
ખાસ કરીને તેમણે પંજાબને લઈને કહ્યું હતું કે, ‘તેમનો પક્ષ રાજ્યની જૂની ઓળખ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરશે. જ્યાં પ્રેમ, સહિયારી સંસ્કૃતિ, ન્યાય અને સ્વતંત્રતાની ભાવના હોય. તેમણે 'લોકોની, લોકો માટે અને લોકો દ્વારા' સરકાર આપવાની વાતનો પણ પુનરોચ્ચાર કર્યો.
નોંધનીય છે કે 2026ની શરૂઆતમાં કોંગ્રેસ પાર્ટીમાંથી તેમને સસ્પેન્ડ કરાયા બાદ, તેઓ ભાજપમાં સામેલ થશે તેવી અટકળો સતત ચાલી રહી હતી; જોકે, તેમના નવા પક્ષની જાહેરાત સાથે જ, આ અટકળો પર હાલ પૂરતો વિરામ લાગી ગયો છે.

