- Politics
- અચાનક એવું શું થયું કે સંસદમાં કાગળ ફેકનારા 7 સાંસદોનું સસ્પેન્શન સ્પીકરે રદ્દ કરી દીધું
અચાનક એવું શું થયું કે સંસદમાં કાગળ ફેકનારા 7 સાંસદોનું સસ્પેન્શન સ્પીકરે રદ્દ કરી દીધું
લોકસભામાં કાગળો ફાડીને અધ્યક્ષ પર ફેંકવાની ઘટના બાદ, કોંગ્રેસના 7 સહિત આઠ વિપક્ષી સાંસદોને બજેટ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ સાંસદોનું ગૃહમાંથી વનવાસનો સમયગાળો સમાપ્ત થઈ ગયો છે. સંસદમાં શાસક અને વિપક્ષ, બંને પક્ષોમાં સીઝફાયર બાદ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ સસ્પેન્શન રદ કરવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો, જે ધ્વનિ મતથી પસાર થયો. અધ્યક્ષ ઓમ બિરલાએ અધ્યક્ષસ્થાનેથી જાહેરાત કરી કે સાંસદોનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે.

મંગળવારે લોકસભામાં પ્રશ્નકાળ બાદ અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂને ગૃહના કેટલાક નેતાઓ સાથે ગઈકાલે થયેલી ચર્ચાઓ અંગે પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું હતું. તેમણે કહ્યું તમારે ફક્ત પ્રસ્તાવ રજૂ કરવાનો બસ. ત્યારબાદ સ્પીકરે કોંગ્રેસના સાંસદ કે. સુરેશ તરફ ફરીને પૂછ્યું કે, ‘શું તમે આ અંગે કંઈક કહેવા માંગો છો? સુરેશ જી, તમે ગૃહને શું આગ્રહ કરવા માંગો છો? કોંગ્રેસના સાંસદ કે. સુરેશે સાંસદોના સસ્પેન્શન રદ કરવા માટે અપીલ કરી. ત્યારબાદ સ્પીકરે પૂછ્યું કે તેઓ ગૃહની અંદરની શિષ્ટાચાર જાળવવા અંગે શું કહેવા માંગે છે.
સ્પીકરની આ વાત પર કોંગ્રેસના સાંસદ સુરેશે કહ્યું કે, ‘ગઈકાલે સ્પીકરના ચેમ્બરમાં ચર્ચા થઈ હતી. અમે નક્કી કર્યું છે કે અમે આ પ્રસ્તાવ રજૂ કરીશું. અમે ગૃહ ચલાવવામાં સહયોગ આપીશું. સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે ભારપૂર્વક જણાવ્યું કે, ‘અમે ગૃહની મર્યાદા ઓળંગી નથી અને ઓળંગીશું પણ નહીં. તેમણે સાંસદોના સસ્પેન્શન રદ કરવા અંગે કે. સુરેશ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને ટેકો આપ્યો. NCP (SP)ના સાંસદ સુપ્રિયા સુલેએ ટિપ્પણી કરી કે ગઈકાલની બેઠક દરમિયાન એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ગૃહ સુવ્યવસ્થિત રીતે કાર્ય કરે અને આ સુનિશ્ચિત કરવાના પ્રયાસો બંને પક્ષો દ્વારા કરવામાં આવે. એક 'લક્ષ્મણ રેખા હોવી જોઇએ'.

જનતા દળ (યુનાઇટેડ)નું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે જણાવ્યું હતું કે સુપ્રિયા સુલેએ જે વાત કહી છે તેના પર સર્વસંમતિ થઈ છે, 'લક્ષ્મણ રેખા' કોઈ પાર નહીં કરે. તેમણે વધુમાં કહ્યું કે મહાસચિવના ટેબલ પર જે પ્રકારનું વર્તન જોવા મળ્યું તે ગૃહની ગરિમાની વિરુદ્ધ છે. લલન સિંહે જણાવ્યું હતું કે ગૃહની ગરિમાનું પાલન કરવા અંગે લેવાયેલો નિર્ણય સુરેશજીએ ન વાંચ્યો. ત્યારબાદ અધ્યક્ષ સ્થાનેથી લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂનું નામ લીધું હતું.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે, ‘અમે હંમેશાં વાતચીત માટે તૈયાર રહીએ છીએ. ગઈકાલની વાતચીતનો ખૂબ ઉલ્લેખ થયો છે. અમે ચોક્કસ મુદ્દાઓ પર સામૂહિક રીતે સર્વસંમતિ પર પહોંચ્યા હતા. આ ઠરાવ રજૂ કરતા પહેલા 'ગૃહની ભાવના' નક્કી થવી જોઈતી હતી; આ સુપ્રીમ હોય છે. તમે આ ગૃહના રક્ષક છો. ગૃહ સર્વોપરિ છે. કિરેન રિજિજૂએ આગળ કહ્યું કે, જો કોઈ સંમતિ હોય, તો હું બે કે ત્રણ મુદ્દા રજૂ કરવા માંગુ છું. સ્પષ્ટતા આવી જાય તો મને કોઈ વાંધો નથી. અમે ભૂતકાળમાં ક્યારેય ગૃહના નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી, અને ભવિષ્યમાં પણ કરીશું નહીં.’

તેમણે કહ્યું કે, બેઠક દરમિયાન, લક્ષ્મણ રેખા ખેંચવાની વાત નક્કી થઈ હતી. કોઈ નહીં ઈચ્છે કે કોઈ સસ્પેન્ડ થઈને ગૃહમાંથી બાકાત રહે. રિજિજૂએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જનતાએ દરેક સભ્યને ચૂંટ્યા છે અને અહીં મોકલ્યા છે. અહી કાગળો ફાડીને ફેંકવા, મારામારી કરવા ટેબલ પર ચઢવા માટે મોકલ્યા નથી. કિરેન રિજિજૂએ કહ્યું કે શરૂઆતમાં કે. સુરેશ દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવમાં ‘અફસોસ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ માફી માંગી નથી. તેમ છતા અમે તેને સ્વીકારીએ છીએ. અમે કેટલીક હદ સુધી તેને માણવા માટે તૈયાર છીએ. જોકે, ગૃહને ચલાવવા માટે નિયમોનું પાલન કરવા માટે સ્પીકરના રૂલિંગ અને સંસદીય પરંપરાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે કયા પગલાં લેવામાં આવશે તે અંગે અમે સ્પષ્ટતા માંગીએ છીએ.’
સંસદીય બાબતોના મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘અમે ગઈકાલે જ કહી દીધું હતું કે જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને સ્વીકાર્ય રહેશે. અમે ડિટેલમાં નહીં જઇએ; અમે ફક્ત ગૃહના કામકાજ ચલાવવામાં તમારો સહયોગ માંગીએ છીએ, અને અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે ક્યારેય સ્પીકરની રૂલિંગ અને તમારા કોઈ સભ્યને ડિસ્ટર્બ નહીં કરીએ. તેમણે કહ્યું કે, અહી સુધી કે સહયોગ કરીશું અને લક્ષણ રેખા ક્યાં ખેંચવાની છે થોડી સ્પષ્ટતા આપી દો. તેના પર વિપક્ષ તરફથી કમિટમેન્ટ આવવી જોઈએ. રિજિજૂએ કહ્યું કે, તમારી તરફથી નિયમોનું પાલન અને ગૃહના સંચાલનમાં તેમના સહકાર અંગે સ્પષ્ટતા આપે.
કોંગ્રેસના સાંસદ કે. સુરેશે જણાવ્યું હતું કે તેઓ ગૃહમાં પ્લેકાર્ડ લઈને નહીં આવે. મકરદ્વાર પર વિરોધ પ્રદર્શન નહીં કરે; તેના બદલે, તેઓ ગૃહની સુગમ કામગીરીમાં સહયોગ કરશે. જ્યારે કે. સુરેશ આ ટિપ્પણી કરી રહ્યા હતા, ત્યારે તેમની પાછળ બેઠેલા સુપ્રિયા સુલેએ કાનમાં કંઇક કહ્યું ત્યારબાદ સુરેશે કહ્યું કે, તમને નિવેદન છે કે, સાંસદોના સસ્પેન્શન રદ કરવામાં આવે. કે. સુરેશ દ્વારા આમ કહ્યા બાદ ઓમ બિરલાએ અધ્યક્ષ સ્થાનેથી ગૃહને સંબોધન કર્યું.
અધ્યક્ષ સ્થાનેથી બોલતા અધ્યક્ષે કહ્યુંકે ગઈકાલની બેઠક દરમિયાન, તમામ રાજકીય પક્ષોએ ગૃહની ગરિમા, પ્રતિષ્ઠા અને ભવ્ય પરંપરાઓને જાળવી રાખવામાં સહયોગ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમણે આગ્રહ કર્યો કે, સંસદ સંકુલની અંદર કે બહાર નકલી ફોટોગ્રાફ્સ, AI-જનરેટેડ ફોટો, બેનરો અથવા પોસ્ટરો પ્રદર્શિત ન કરે. આ આગ્રહ સત્તાવાર બુલેટિનમાં પણ કર્યો છે. સ્પીકરે કહ્યું કે સંસદ વિશ્વમાં લોકશાહીનું સર્વોચ્ચ મંદિર છે, અને આપણે બધાએ મળીને સરળ સહયોગ કરીએ. સ્પીકરના આ નિવેદનો પછી, કિરેન રિજિજૂએ સભ્યોના સસ્પેન્શનને રદ કરવા માટે ગૃહમાં પ્રસ્તાવ રજૂ કર્યો.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ નિયમ 374(2) હેઠળ 8 સભ્યોના સસ્પેન્શનને રદ કરવા માટે ગૃહમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો. આ સાંસદોને 3 ફેબ્રુઆરીના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં આ પ્રસ્તાવ પર મતદાન કરાવ્યું. આ પ્રસ્તાવ સર્વાનુમતે ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ, સ્પીકરે જાહેરાત કરી કે વિપક્ષી સાંસદોનું સસ્પેન્શન તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના સભ્યો મણિકમ ટાગોર, અમરિંદર સિંહ રાજા વારિંગ, ગુરજીત સિંહ ઔજલા, હિબી એડન, ડીન કુરિયાકોસ, પ્રશાંત પડોલે અને કિરણ કુમાર રેડ્ડી તેમજ લેફ્ટના એસ. વેંકટેશનનો સમાવેશ થાય છે.

