- National
- આ રાજ્યમાં પ્રતિ લીટર રૂ. 5 સુધી મોંઘુ થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે 'અનાથ અને વિધવા સેસ'
આ રાજ્યમાં પ્રતિ લીટર રૂ. 5 સુધી મોંઘુ થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે 'અનાથ અને વિધવા સેસ'
હિમાચલ પ્રદેશના લોકોને મોંઘવારીનો એક મોટો ઝટકો લાગ્યો છે. નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી કોંગ્રેસ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે વિધાનસભામાં બિલ રજૂને પસાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર 'અનાથ બાળકો’ અને ‘વિધવા’ માટે રેગ્યુલર ઇનકમ એકત્ર કરવાના હેતુથી ઈંધણ પર ‘અનાથ અને વિધવા’ ઉપકરની વાત કહી રહી છે.
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂ દ્વારા વિધાનસભામાં હિમાચલ પ્રદેશ મૂલ્યવર્ધિત કર (સંશોધન) બિલ, 2026ને સફળતાપૂર્વક પસાર કરી દેવામાં આવ્યું. આ બિલ પર આજે (23 માર્ચ) ચર્ચા થઈ હતી અને વિરોધ પક્ષોના ભારે વિરોધ છતા તેને પસાર કરવામાં આવ્યું હતું. વિપક્ષ આ વધારાને જનતા પર બિનજરૂરી બોજ ગણાવ્યો છે, જે પહેલાથી જ મોંઘવારીએ સામે ઝઝૂમી રહી છે.
વિપક્ષનું કહેવું છે કે આ વધારાથી ડીઝલના ભાવ 90 રૂપિયાથી ઉપર અને પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી જશે, જે પડોશી રાજ્યો કરતા વધારે થઈ જશે. હિમાચલ પ્રદેશમાં પહેલાથી જ પેટ્રોલ પર 17% અને ડીઝલ પર 13.9% ટેક્સ છે. 5 રૂપિયાનો વધારો કરવાથી લોકોની કમર તૂટી જશે. વિપક્ષનું કહેવું છે કે, પ્રવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાની સંભાવના છે. એવામાં આ સમયે 5 રૂપિયાનો સેસ લગાવવો ગેરવાજબી છે. આ અગાઉ, સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો વધારો કરી ચૂકી છે. વિપક્ષે ‘અનાથ’ અને ‘વિધવા’ના નામવાળા શબ્દો પર પણ વાંધો વ્યક્ત કર્યો છે.
વિપક્ષનું કહેવું છે કે આ પગલાની અસર ન માત્ર સામાન્ય માણસ, પરંતુ દર વર્ષે ખેડૂતો અને હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળો પર આવનારા પ્રવાસીઓ પર પણ પડશે. ખાદ્ય વસ્તુઓના ખર્ચમાં વધારો અને પર્વતીય પ્રદેશોમાં ઘરો બનાવવાનો ખર્ચ પણ વધશે. એક સાથે પ્રતિ લીટર 5 રૂપિયાનો અચાનક વધારો થવાથી બાંધકામ સામગ્રી, સફરજન અને અન્ય કૃષિ પેદાશોના પરિવહનના ખર્ચમાં વધારો થઈ શકે છે, તેમજ બસ ભાડામાં સંભવિત વધારો કરી શકે છે. પડોશી રાજ્યોમાંથી કોઈ પણ હવે હિમાચલમાં તેલ ખરીદશે નહીં, જેથી રાજ્યને આર્થિક નુકસાન થશે.
મુખ્યમંત્રી સુક્ખૂએ જણાવ્યું હતું કે, સરકારનો ઉદ્દેશ્ય સમાજના નબળા વર્ગોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. અમે વિધવા અને અનાથ બાળકો માટે કંઈક કરી રહ્યા છે, ત્યારે ભાજપ વિરોધ કરી રહી છે. કેન્દ્ર સરકાર ડીઝલ અને પેટ્રોલ પર 27 રૂપિયાનો સેસ લે છે. આપણા પડોશી રાજ્યો પંજાબ અને હરિયાણામાં અત્યારે પણ 2 રૂપિયા પેટ્રોલ અને ડીઝલ મોંઘા છે. હિમાચલમાં અત્યારે પણ આ રાજયોથી સસ્તા હશે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહે વિપક્ષને સલાહ આપી કે, કેન્દ્રમાં જઈને RDGની પુનઃસ્થાપિત કરવા અને સેસમાં ઘટાડો કરવાની માંગ કરે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સેસ એ જ દિશામાં એક નક્કર પહેલ છે, જે જરૂરિયાતમંદોને સતત સહાય પૂરી પાડે છે. સરકારનો દાવો છે કે આ સેસમાંથી ઉત્પન્ન થતી સંપૂર્ણ આવક અનાથ અને વિધવા કલ્યાણ ભંડોળમાં જમા કરવામાં આવશે. આ ભંડોળનો ઉપયોગ સીધો જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના વિસ્તરણ માટે કરવામાં આવશે.
ગૃહમાં બિલ પસાર થયા બાદ, તેને મંજૂરી માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. રાજ્યપાલ મંજૂરી બાદ, આ બિલ સત્તાવાર રીતે કાયદો બની જશે અને અમલમાં આવશે. ત્યારબાદ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નક્કી છે. આ પગલાના વિરોધમાં, વિપક્ષી સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

