- Opinion
- પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
(ઉત્કર્ષ પટેલ)
પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર આધારિત બને છે ત્યારે તેની સ્વાયત્તતા અને સ્વાભિમાનને ફટકો પડે જ છે. આજે વિશ્વભરમાં યુદ્ધોના ભણકારા અને ભૂતકાળના કોરોના રોગચાળાના અનુભવો આપણને એક જ સંદેશ આપે છે કે આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ. આ માત્ર વ્યવહારિક અનિવાર્યતા નથી પણ રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ અને દરેક નાગરિકના સારા જીવનધોરણની આવશ્યકતા છે.

કોરોના મહામારીએ આપણને કડવો અનુભવતો કરાવ્યો જ છે. વિદેશી પુરવઠા પર આધારિત હોવાથી દવાઓ, વેક્સીન અને માસ્ક જેવી મૂળભૂત વસ્તુઓની અછત સર્જાઈ. અસંખ્ય જીવનો ગુમાવ્યા. પછી આપણે સ્વદેશી દવાઓ વેક્સીન માટે સફાળા જાગવું પડ્યું અને સરકારની સમયસુચકતા એ આપણને મહામારીમાંથી બહાર કાઢ્યા. આજે પણ યુક્રેન રશિયા યુદ્ધ, અમેરિકા ઇઝરાયલ - ઈરાન યુદ્ધ મધ્ય પૂર્વના કલેશ વિશ્વભરની સપ્લાય ચેઇનને તોડી રહ્યા છે. ક્રૂડ, ખાદ્યપદાર્થો અને ઔદ્યોગિક રો મટીરીયલના ભાવ આકાશે છે. આવી પરિસ્થિતિમાં પરાવલંબન દેશને નબળો બનાવે છે. તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના આહ્વાનને વ્યાપક સ્વરૂપે અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. સરકારે નીતિઓ બનાવી છે પરંતુ તેની સફળતા દેશના દરેક નાગરિકના હાથમાં છે.
સ્વદેશી વસ્તુઓ અપનાવવાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે. જ્યારે આપણે સ્થાનિક ઉત્પાદનો ખરીદીએ ત્યારે પૈસો દેશમાં જ રહે છે. તેનાથી લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળે છે. ખાસ કરીને યુવાનો માટે રોજગારીની તકો વધે છે. આજે ભારતના યુવાનો વિજ્ઞાન, AI ટેકનોલોજી અને નવીનતા વડે વિશ્વભરમાં દેશને પ્રથમ હરોળમાં લઈજઈ રહ્યા છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળે તો દેશના યુવાનો વિદેશમાં નોકરીની શોધમાં નહીં પરંતુ સ્વદેશમાં જ નવી સફળતાઓ આંબી શકે. ખેડૂતોના ઉત્પાદનોને બજાર મળે, હસ્તકલા કારીગરોનું માન વધે અને મધ્યમ વર્ગની આવક વધે. આવું કરવાથી દરેક નાગરિકનું જીવનધોરણ ઊંચું જશે. સારું આરોગ્ય હશે, શિક્ષણ અને આર્થિક સ્થિરતા હશે.
રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ એ માત્ર વાતોમાં અને નેતાઓના ભાષણોમાં નહીં પરંતુ રોજિંદા જીવનમાં સમાવિષ્ટ થવું જોઈએ. દરેક ભારતીયે વિચારવું જોઈએ કે મારી ખરીદી કેવી રીતે મારા દેશને મજબૂત કરે છે. ગામડાઓમાં સ્થાનિક ઉત્પાદનોને વેચવા માટે ‘વોકલ ફોર લોકલ’નું સૂત્ર અપનાવવું જોઈએ. સરકારે પણ ટેક્સ છૂટ, સબસિડી અને તાલીમ વડે સ્વદેશી ઉદ્યોગોને વેગ આપવો જોઈશે અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવો જોઈશે. આપણે યાદ રાખવું જોઈએ કે મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અને સ્વરાજના માર્ગે જ દેશને આઝાદી અપાવી હતી. આજે પણ તે જ માર્ગ આપણને આત્મનિર્ભરતા તરફ લઈ જશે.

દેશની યુવા પેઢી અને આવનારી પેઢીઓને સ્થિર જીવન અને સમૃદ્ધ અર્થવ્યવસ્થા આપવી હોય તો આજે જ સ્વદેશી અપનાવવું પડશે. દરેક નાગરિકના સારા જીવનધોરણ માટે રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ આવશ્યક છે. જ્યારે આપણે સ્વદેશી વસ્તુઓ પસંદ કરીશું ત્યારે આપણા યુવાનો બાળકોને બેરોજગારીનો ભય નહીં રહે તેઓ આત્મવિશ્વાસથી દેશનું વર્તમાન અને ભવિષ્ય નિર્માણ કરશે.
ભારત માતા પ્રત્યે સમર્પણ એ જ સાચી દેશભક્તિ છે. સ્વદેશી અપનાવીએ, આત્મનિર્ભર બનીએ અને દરેક ભારતીયને સ્વાભિમાની જીવનધોરણ આપીએ એજ આપણી આવનારી પેઢીઓને અપાયેલો સાચો વારસો હશે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

