- Politics
- પવન ખેરાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી આસામ પોલીસ; ઘરની કરી રહી છે તપાસ, જાણો શું છે આખો વિવાદ
પવન ખેરાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પહોંચી આસામ પોલીસ; ઘરની કરી રહી છે તપાસ, જાણો શું છે આખો વિવાદ
કોંગ્રેસ નેતા પવન ખેરાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આસામ પોલીસની એક ટીમ પહોંચી છે. દિલ્હી પોલીસની એક ટીમ પણ આસામ પોલીસ સાથે હાજર છે. આસામ પોલીસની ટીમ પવન ખેરાની પૂછપરછ કરવા પહોંચી છે, જેમણે આસામના મુખ્યમંત્રી હિમંત સરમાની પત્ની પર ત્રણ વિદેશી પાસપોર્ટ રાખવાનો આરોપ લગાવ્યો હતો. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ સોમવારે સંકેત આપી દીધા હતા કે પવન ખેડા સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, કોંગ્રેસ નેતા પવન ખેરાએ મુખ્યમંત્રી શર્મા અને તેમની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આસામમાં કોંગ્રેસના નેતા પવન ખેરા અને ગૌરવ ગોગોઈએ રવિવારે સાંજે, મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને આ સંબંધમાં 3 સવાલોના જવાબ આપવા કહ્યું હતું કે શું તેમના પરિવાર પાસે વિદેશમાં સંપત્તિ અને કંપનીઓ છે.
પવન ખેરાએ આ આરોપ આસામમાં 9 એપ્રિલે યોજાનારા મતદાનના બરાબર ચાર દિવસ પહેલા એટલે કે રવિવારે નવી દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદ દરમિયાન આ આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ, કોંગ્રેસ પક્ષ વતી સાંજે ગુવાહાટીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, મુખ્યમંત્રીને 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા: શું તેમની પત્ની અથવા પરિવાર પાસે દુબઈમાં મિલકત છે? શું તેમની પાસે અમેરિકાના વ્યોમિંગમાં કંપનીઓ છે? અથવા, તેમની પૂંજી શેલ કંપનીઓમાં છે?
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના પ્રવક્તા પવન ખેરાએ દિલ્હીમાં આરોપ લગાવ્યો હતો કે શર્માની પત્ની પાસે 3 પાસપોર્ટ છે- સંયુક્ત આરબ અમીરાત (UAE), એન્ટિગુઆ-બાર્બુડા અને ઇજિપ્તના 3 પાસપોર્ટ છે. જે અનુક્રમે માર્ચ 2027, ઓગસ્ટ 2031 અને ફેબ્રુઆરી 2029માં સમાપ્ત થઇ રહ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વિધાનસભા ચૂંટણીના ચાર દિવસ પહેલા જ આ આરોપો કેમ લગાવવામાં આવ્યા હતા, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, અમારી પાસે આ માહિતી અગાઉ પણ હતી, પરંતુ હકીકતોની ચકાસણી કરવી જરૂરી હતી.
સાથે જ, કોંગ્રેસના નેતાઓએ માંગ કરી હતી કે સરમા તેમની પત્નીની દુબઈમાં કથિત મિલકત, વ્યોમિંગ સ્થિત કંપની અને શેલ કંપનીઓમાં રોકાણ કરેલી સંપત્તિ અંગે ચૂંટણી પંચમાં સોગંદનામું દાખલ કરે.
મુખ્યમંત્રી શર્માએ આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેમણે કહ્યું, આ દુર્ભાવનાપૂર્ણ, બનાવટી અને રાજકીય રીતે પ્રેરિત જુઠ્ઠાણા છે જેનો હેતુ આસામના લોકોને ગેરમાર્ગે દોરવાનો છે. મારી પત્ની અને હું આગામી 48 કલાકમાં પવન ખેરા વિરુદ્ધ ફોજદારી અને નાગરિક માનહાનિનો દાવો દાખલ કરીશું. આ બેજવાબદાર અને માનહાનિભર્યા નિવેદનો માટે તેમને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવામાં આવશે. 48 કલાકમાં જ પવન ખેરાના નિવાસસ્થાને આસામ પોલીસ પહોંચી ગઈ. એવામાં પવન ખેરાની મુશ્કેલીઓ વધી શકે છે.

