- Politics
- જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષનું અભિયાન નિષ્ફળ; ઓમ બિરલા અને રાધાકૃષ્ણને CECને હટાવવાનો પ્રસ્તાવ ફગાવ...
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિપક્ષનું અભિયાન નિષ્ફળ; ઓમ બિરલા અને રાધાકૃષ્ણને CECને હટાવવાનો પ્રસ્તાવ ફગાવી દીધો
રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણન અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને હટાવવા માટે પ્રસ્તાવ લાવવાની માંગ કરતી વિપક્ષની નોટિસને ફગાવી દીધી. આ માહિતી લોકસભા અને રાજ્યસભાના સચિવાલયો દ્વારા આપવામાં આવી હતી. 12 માર્ચે લોકસભાના 130 વિપક્ષી સભ્યો અને રાજ્યસભાના 63 વિપક્ષી સભ્યોએ બંને ગૃહોમાં કુમાર વિરુદ્ધ નોટિસ રજૂ કરી હતી.
લોકસભા સચિવાલયે જણાવ્યું હતું કે, ભારતના બંધારણ (અનુચ્છેદ 324(5) અને 124(4), મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023ની કલમ 11(2) અને ન્યાયાધીશો (તપાસ) અધિનિયમ, 1968 અનુસાર, 12 માર્ચ, 2026ના રોજ લોકસભાના 130 સભ્યો દ્વારા સહી કરાયેલી દરખાસ્ત અંગેની નોટિસ લોકસભા અધ્યક્ષને સુપરત કરવામાં આવી હતી, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.
સચિવાલયે કહ્યું હતું કે, ‘પ્રસ્તાવની નોટિસ પર યોગ્ય ચર્ચા-વિચારણા કર્યા બાદ, અને તેમાં સામેલ તમામ સંબંધિત પાસાઓ અને મુદ્દાઓનું કાળજીપૂર્વક અને વસ્તુનિષ્ઠ મૂલ્યાંકન કર્યા બાદ લોકસભા અધ્યક્ષે ન્યાયાધીશો (તપાસ) અધિનિયમ, 1968ની કલમ 3 હેઠળ તેમને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને ઉપરોક્ત દરખાસ્તની નોટિસ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.’
રાજ્યસભાના અધ્યક્ષ રાધાકૃષ્ણને પણ વિપક્ષની નોટિસને ફગાવી દીધી હતી. રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલા બુલેટિનમાં આ માહિતી આપવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, પ્રસ્તાવની સૂચના પર યોગ્ય ચર્ચા-વિચારણા અને કાળજીપૂર્વક અને વસ્તુનિષ્ઠ મૂલ્યાંકન બાદ, અધ્યક્ષે ન્યાયાધીશો (તપાસ) અધિનિયમ, 1968 હેઠળ તેમને મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને ઉપરોક્ત સૂચના સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
નોટિસમાં લોકસભાના 130 વિપક્ષી સભ્યો અને રાજ્યસભાના 63 વિપક્ષી સભ્યોમાં મુખ્ય ચૂંટણી કમિશનર કુમાર પર ‘કાર્યપાલિકાના ઇશારે કાર્ય કરવાનો’ આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત, તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દ્વારા લોકોને 'મોટા પાયે મતાધિકારથી વંચિત' રાખવામાં આવી રહ્યા છે.

