- Politics
- 'વિજય સરકાર ગમે ત્યારે પડી શકે છે', એમ.કે. સ્ટાલિનની ભવિષ્યવાણી, DMK કાર્યકર્તાઓને કહ્યું- 'ચૂંટણી મ...
'વિજય સરકાર ગમે ત્યારે પડી શકે છે', એમ.કે. સ્ટાલિનની ભવિષ્યવાણી, DMK કાર્યકર્તાઓને કહ્યું- 'ચૂંટણી માટે તૈયાર રહો'
DMKના વડા એમ.કે. સ્ટાલિનનું માનેવું છે કે અભિનેતા વિજયના નેતૃત્વ હેઠળની તમિલનાડુ સરકાર ગમે ત્યારે પડી શકે છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ DMK કાર્યકર્તાઓને વહેલી ચૂંટણી માટે તૈયાર રહેવાનો પણ આગ્રહ કર્યો છે. પોતાની 107 બેઠકો અને તેના સાથી પક્ષ કોંગ્રેસની 5 બેઠકો સાથે, TVKને હાલમાં ચાર DMK સાથી પક્ષોનો ટેકો છે, દરેક પાસે 2-2 બેઠકો છે. આમ, તેને બહુમતી મળી છે. મુખ્યમંત્રી જોસેફ વિજયને 25 બળવાખોર AIADMK ધારાસભ્યોનું સમર્થન પણ છે, જેમણે ગયા અઠવાડિયાના વિશ્વાસ મત દરમિયાન સરકારની તરફેણમાં મતદાન કર્યું હતું.
વિજયની સરકાર કેવી રીતે પડી શકે?
DMKના સૂત્રોનું કહેવું છે કે જો તેના સાથી પક્ષો VCK, CPI, CPM અને IUML તેમનો ટેકો પાછો ખેંચવાનો નિર્ણય લે, અથવા જો તમિલનાડુના સ્પીકર અથવા કોર્ટો બળવાખોર AIADMK ધારાસભ્યોને ગેરલાયક ઠેરવે તો રાજકીય અસ્થિરતા ઊભી થઈ શકે છે
સ્ટાલિને તેમના જિલ્લા સચિવોને કહ્યું કે, ‘વર્તમાન સરકાર ગમે ત્યારે પડી શકે છે, અને પાર્ટીએ ગમે ત્યારે ચૂંટણી માટે તૈયાર રહેવું જોઈએ.’ ભૂતકાળમાં ચૂંટણીમાં થયેલા પરાજયમાંથી DMK કેવી રીતે પાછી ફરી છે તેનો ઉલ્લેખ કરતા ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ તેમની પાર્ટીને ખાતરી આપી કે તેઓ ફરી એકવાર વિજયી બનશે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘આ હાર કામચલાઉ છે. વર્તમાન સરકાર ગમે ત્યારે પડી શકે છે. તૈયાર રહો. એવી શક્યતા છે કે 2029ની લોકસભા ચૂંટણી સાથે નવી વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાઈ શકે છે. આપણે વાપસી કરીશું અને ફરી જીતીશું.’
સોમવારે DMK કાર્યકરોને સંબોધતા સ્ટાલિને ભારપૂર્વક કહ્યું કે, ‘તમિલનાડુમાં સૂરજ (DMKનું ચૂંટણી ચિહ્ન) ક્યારેય આથમશે નહીં.’ હારની જવાબદારી સ્વીકારતા ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ આ નિષ્ફળતા માટે જવાબદારી સ્વીકારે છે.
તેમણે પાર્ટીને સોશિયલ મીડિયા પર તેની હાજરી વધારવા માટે પણ આગ્રહ કર્યો, અને ઇશારાઓમાં વિજયની TVK આ મામલે ખૂબ આગળ છે. સ્ટાલિને કહ્યું કે, ‘આપણે ચાની દુકાનો પર જે રાજકારણની ચર્ચા કરતા હતા તેની ચર્ચા હવે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર થવી જોઈએ.’
સ્ટાલિને ચૂંટણીમાં હારના કારણોનું વિશ્લેષણ કરવા અને જનતા પાસેથી સીધો પ્રતિસાદ એકત્રિત કરવા માટે 36 સભ્યોની સમિતિની રચના પણ કરી છે. આ પગલાને પાયાના સ્તરે વિશ્વાસ ફરીથી જાગૃત કરવાના અને પક્ષનો ટેકો ક્યાં ઓછો થયો છે તે ઓળખવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે.

