- National
- 35 કરોડની ઓફર અને 15 MLAના રાજીનામા..., વિજય સરકાર તોડી પાડવાના કાવતરાનું રહસ્ય ખુલ્યું! 3 પકડાયા
35 કરોડની ઓફર અને 15 MLAના રાજીનામા..., વિજય સરકાર તોડી પાડવાના કાવતરાનું રહસ્ય ખુલ્યું! 3 પકડાયા
તામિલનાડુના રાજકારણમાં અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે, અભિનેતામાંથી રાજકારણી બનેલા CM વિજયની આગેવાની હેઠળના TVK ધારાસભ્યએ દાવો કર્યો છે કે, સ્પીકર વિરુદ્ધ પ્રસ્તાવિત વિધાનસભા ઠરાવ પર તેમના મતને પ્રભાવિત કરવા માટે તેમને 35 કરોડની ઓફર કરવામાં આવી હતી.
TVK ધારાસભ્ય N. ઇલૈયારાજાની ફરિયાદ પર કાર્યવાહી કરતા, પોલીસે એક કન્સલ્ટન્સી ફર્મના કર્મચારી સહિત 3 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમના DMK નેતા સેન્થિલ બાલાજી અને તેમના ભાઈ V. અશોક કુમાર સાથે સંબંધો હોવાનું કહેવાય છે.
મીડિયા સૂત્રોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, સરકાર તોડી પાડવા માટે 15 TVK ધારાસભ્યોના એક સાથે રાજીનામાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
TVK ધારાસભ્યની ફરિયાદ પર કાર્યવાહી કરતા, અધિકારીઓએ તપાસ શરૂ કરી અને એક કન્સલ્ટન્સી ફર્મના કર્મચારીની ધરપકડ કરી. તપાસ દરમિયાન, અધિકારીઓએ DMK ધારાસભ્ય સેન્થિલ બાલાજી સાથે સંબંધો શોધી કાઢ્યા. ત્યારપછી, વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
N. ઇલૈયારાજાએ ચેન્નાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, IPDS નામની કન્સલ્ટિંગ ફર્મના એક વ્યક્તિએ તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષ JCD પ્રભાકર (એક TVK નેતા) વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપવા માટે તેમને રૂ. 35 કરોડની ઓફર કરી હતી.
ધારાસભ્ય ઇલૈયારાજાએ 29 જૂને ચેન્નાઈ પોલીસ કમિશનરને નોંધાવેલી ફરિયાદ મુજબ, તિરુનાવુક્કરાસુ નામના એક વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો અને ઇન્ડિયન પોલિટિકલ ડેમોક્રેટિક સ્ટ્રેટેજીસ (IPDS) નામના એક ઓપિનિયન પોલીંગ ઓર્ગેનાઇઝેશનના વડા હોવાનો દાવો કર્યો હતો અને એક મુખ્ય રાજકીય પક્ષના સભ્યો વતી લોકોનો સંપર્ક કરી રહ્યો હતો.
ફોન કરનાર વ્યક્તિએ TVK ધારાસભ્ય ઇલૈયારાજાને જાણ કરી હતી કે, તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષ વિરુદ્ધ એક પ્રસ્તાવ લાવવામાં આવશે અને શાસક પક્ષના સભ્ય હોવા છતાં તેમને ચોક્કસ રીતે મતદાન કરવા કહ્યું. બદલામાં, તેમણે ઇલૈયારાજાને રૂ. 35 કરોડ સુધીની ઓફર કરી.
ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે, તેમણે ઓફર નકારી કાઢી અને કોલ કરનારને ફરીથી તેમનો સંપર્ક ન કરવા કહ્યું. જોકે, તિરુનાવુક્કરાસુએ તેમને ધમકી આપી અને ચેતવણી આપી કે, જો તેઓ વાતચીત જાહેર કરશે તો તેમને અને તેમના પરિવારને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.
તમિલનાડુના મંત્રી CT નિર્મલ કુમારે આ ષડયંત્ર અંગે DMK પર પ્રહાર કરતા કહ્યું કે, 'સેન્થિલ બાલાજી સાથે સીધા સંકળાયેલા લોકો તેમજ કહેવાતા 'કરુર ગેંગ'ના સભ્યો આ મામલામાં સીધા સંડોવાયેલા છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને તેમાં સામેલ તમામ લોકોની ધરપકડ કરવી જોઈએ. તેમણે આવી નાપાક પ્રવૃત્તિઓનો અંત લાવવો જોઈએ.'
મંત્રીએ DMK પર CM વિજયની આગેવાની હેઠળની સરકારને તોડી પાડવા માટે AIADMKના વડા એડપ્પડી K. પલાનીસ્વામી સાથે કાવતરું ઘડવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, TVKના ઘણા ધારાસભ્યોને પક્ષપલટો કરવા માટે પૈસાની ઓફર કરવામાં આવી હતી.
મંત્રી CT નિર્મલ કુમારે દાવો કર્યો કે, 'એડાપ્પડી પલાનીસ્વામી અને અન્ય લોકો ચુપચાપ સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આજે આપણે તેના પરિણામો જોઈ રહ્યા છીએ. MK સ્ટાલિન અને ઉદયનિધિના ઇશારે કામ કરીને, સેન્થિલ બાલાજી જેવા મુખ્ય DMK નેતાઓ અમારા ઘણા ધારાસભ્યોનો સંપર્ક કરી રહ્યા છે.
તેઓ તેમને 10 કરોડ, 20 કરોડ અથવા તો 50 કરોડ રૂપિયા સુધીની રકમ ઓફર કરી રહ્યા છે. એવો કોઈ ધારાસભ્ય નથી જેનો તેમણે સંપર્ક ન કર્યો હોય.'
જ્યારે, DMKએ TVK પર ચાલી રહેલી તપાસ સંબંધિત માહિતી લીક કરવાનો આરોપ લગાવ્યો છે. DMKના પ્રવક્તા A. સરવનને કહ્યું, 'TVK તપાસ સંબંધિત માહિતી લીક કરીને લોકોમાં માત્ર સનસનાટી ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ દર્શાવે છે કે તેઓ હકીકતોથી અજાણ છે અને ફક્ત વાર્તા ઘડવાનો પ્રયાસ કરી રહ્યા છે.'
તેમણે TVK સરકારને પડકાર ફેંક્યો કે, જો તેમની પાસે નક્કર પુરાવા હોય તો સેન્થિલ બાલાજીની ધરપકડ કરીને બતાવે.

