- Politics
- જો ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરે તો તમારી સરકાર સાંભળતી નથી, તો હવે ખેડૂતોએ શું કરવું?
જો ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરે તો તમારી સરકાર સાંભળતી નથી, તો હવે ખેડૂતોએ શું કરવું?
વીજળીના થાંભલા મુદ્દે ચાલી રહેલા આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ CM ભૂપેન્દ્ર પટેલને લેટર લખીને ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરી છે.ગોપાલ ઈટાલિયાએ પોતાના લેટરમાં લખ્યું હતું કે ગુજરાતભરનાં અનેક ખેડૂતો હાલમાં પ્રાઇવેટ વીજળી કંપનીનાં થાંભલાઓ ખેતરમાં નાખવામાં આવે છે તે મુદ્દે પોતાના વિવિધ પ્રશ્નોને લઈને ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. મોરબીના જેતપર ગામે છેલ્લા 12 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે અને શાંતિપૂર્ણ રીતે માંગણીઓ મૂકી રહ્યા છે. આ સિવાય કોંઢમાં, સાણંદનાં દરેડમાં, વઢવાણનાં નગરામાં, કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જીલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતો આ વીજળીના થાંભલાનાં મુદ્દે સરકારની નીતિનો શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે.
ગોપાલે કહ્યું કે શાંતિપૂર્વક ઉપવાસ કરનારા મોરબીના ખેડૂતોને સરકારે મળવા બોલાવ્યા નથી કે ખેડૂતોની સાથે વાતચીત કરવાનો સરકારે પ્રયત્ન કર્યો નથી. જો ખેડૂતો પોતાની જમીન ગુમાવવાના દુઃખ સાથે આક્રોશમાં આવીને બોલે તો તમારી સરકાર એમ કહે છે કે, આંદોલન ઉગ્ર હોવું જોઈએ નહિ અને જો ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરે તો તમારી સરકાર સાંભળતી નથી, તો હવે ખેડૂતોએ શું કરવું?
તેમણે કહ્યું કે ચૂંટણી સમયે હિન્દુત્વનાં મુદ્દે મત મેળવ્યા પછી આપણા જ રાજ્યનાં અન્નદાતા હિન્દુ ખેડૂતોની વેદનાનો અવાજ ગાંધીનગર સુધી કેમ નથી પહોંચતો? મોરબીના કે ગુજરાતના હિન્દુ ખેડૂતોએ તમારી સરકારને મત નથી આપ્યા? તો પછી હવે જ્યારે હિન્દુ ખેડૂતોને સરકારની મદદની જરૂર છે ત્યારે સરકાર કંપનીની સાથે કેમ ઉભી છે? મારી આપને વિનંતી છે કે, આપે સામે ચાલીને મોરબી સહીત તમામ ખેડૂતોને મળવું જોઈએ અને શાંતિપૂર્વક આંદોલન કરતા ખેડૂતોના મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

