- Politics
- ખડગેના જન્મદિવસની કેક કાપવા ગયા હતા પણ રિટર્નમાં પહોંચી ગયા PMના ઘરની બહાર... જાણો કોંગ્રેસનો પ્લાન
ખડગેના જન્મદિવસની કેક કાપવા ગયા હતા પણ રિટર્નમાં પહોંચી ગયા PMના ઘરની બહાર... જાણો કોંગ્રેસનો પ્લાન કેમ કોઈને ખબર ન પડ્યો
મંગળવારે, કોંગ્રેસ પાર્ટીએ એક રાજકીય ચાલ ચાલી, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા; મીડિયા કે સુરક્ષા એજન્સીઓને તેનો કોઈ ખ્યાલ પણ નહોતો. આ પ્રસંગ તો કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેનો 84મો જન્મદિવસ હતો, પરંતુ આ બહાને પાર્ટીએ ટોચના નેતાઓની બેઠક બોલાવી અને પછી અચાનક સમગ્ર નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત સત્તાવાર નિવાસસ્થાન તરફ કૂચ કરી ગયું.
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસના સાંસદો અને વરિષ્ઠ નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી સાથે વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર ધરણા પ્રદર્શન કર્યા. હકીકતમાં, જ્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત અનેક વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ મંગળવારે બપોરે મલ્લિકાર્જૂન ખડગેના 10, રાજાજી માર્ગ સ્થિત નિવાસસ્થાન પર પહોંચ્યા, ત્યારે બધાને લાગ્યું કે તેઓ કોંગ્રેસ પ્રમુખના જન્મદિવસની ઉજવણી કરવા માટે ત્યાં આવ્યા છે.
મંગળવારે ખડગે 84 વર્ષના થયા, પરંતુ તેના થોડા સમય પછી કોંગ્રેસના નેતાઓનો કાફલો અચાનક વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ આગળ વધ્યો. ખડગેના નિવાસસ્થાનથી વડાપ્રધાનના નિવાસસ્થાન વચ્ચેનું અંતર આશરે 2.3 કિલોમીટર છે. આ અચાનક થયેલા ઘટનાક્રમથી મીડિયા અને સુરક્ષા એજન્સીઓ બંને સ્તબ્ધ થઈ ગઇ. વડાપ્રધાનના નિવાસસ્થાનની નજીક પહોંચ્યા પછી કોંગ્રેસના નેતાઓએ ધરણા શરૂ કર્યો અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સોમવારે સંસદ તરફ કૂચ દરમિયાન વિદ્યાર્થી સંગઠન કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શનકારીઓ સામે કરવામાં આવેલી પોલીસ કાર્યવાહી બદલ પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી. પક્ષે આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ અને યુવાનોના અવાજને દબાવવામાં આવી રહ્યો છે.
સરકાર વતી પરિસ્થિતિને સંભાળવા માટે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહને સ્થળ પર મોકલ્યા. તેમણે રાહુલ ગાંધીને વિરોધ પ્રદર્શન બંધ કરવા અપીલ કરી, પરંતુ કોંગ્રેસના નેતાઓએ તેમનું પ્રદર્શન ચાલુ રાખ્યું. બાદમાં, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન પણ ઘટનાસ્થળે પહોંચ્યા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શનનું આયોજન અત્યંત ગુપ્તતા સાથે કર્યું હતું. શરૂઆતમાં પાર્ટીએ સંસદીય કાર્યવાહી મુલતવી રાખ્યા પછી વિજય ચોક સુધી કૂચ કરવાની યોજના બનાવી હતી, પરંતુ યોજના પહેલાથી જ લીક થઈ ગઈ હતી. કોંગ્રેસને શંકા હતી કે પોલીસ નેતાઓને રોકવા માટે બેરિકેડ્સ ગોઠવશે. આ દરમિયાન પાર્ટી નેતૃત્વએ તેની રણનીતિ બદલી દીધી. નક્કી કરી દીધું કે મલ્લિકાર્જૂન ખડગેના જન્મદિવસના લંચના બહાને વરિષ્ઠ નેતાઓને મલ્લિકાર્જૂન ખડગેના નિવાસસ્થાને બોલાવવામાં આવશે, જેથી કોઇને શંકા ન જાય. બપોરે 3 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સાંસદો અને અન્ય વરિષ્ઠ નેતાઓ ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા. સુરક્ષા એજન્સીઓને લાગ્યું કે તે ફક્ત જન્મદિવસનો કાર્યક્રમ છે.
જેવા જ બધા મુખ્ય નેતાઓ ભેગા થયા, તેઓ એકસાથે વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ એકસાથે રવાના થયા. કોંગ્રેસનો હેતું વડાપ્રધાનના નિવાસસ્થાન સુધી પહોંચીને પ્રતીકાત્મક વિરોધ નોંધાવવાનો હતો. જોકે, સુરક્ષા દળોએ તેમને નિવાસસ્થાનથી થોડે દૂર અટકાવ્યા. કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આ અચાનક વિરોધ પ્રદર્શને પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પણ હેરાન કરી દીધી. સોમવારે સંસદ કૂચ દરમિયાન થયેલી હિંસા બાદ, મંગળવારે મધ્ય દિલ્હીમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું, અને સમગ્ર વિસ્તારને સુરક્ષાના હિસાબે કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યો હતો. આમ છતાં, સુરક્ષા એજન્સીઓને કોંગ્રેસના આ ગુપ્ત ઓપરેશન વિશે કોઈ પૂર્વ માહિતી નહોતી. જ્યારે નેતાઓનો કાફલો વડાપ્રધાનના નિવાસસ્થાન તરફ આગળ વધ્યો, ત્યારે પોલીસે વધારાની સુરક્ષા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવી પડી.
કોંગ્રેસે વડાપ્રધાન નિવાસસ્થાન કેમ પસંદ કર્યું?
પાર્ટીના સૂત્રો કહેવું છે કે કોંગ્રેસ આ વિરોધ પ્રદર્શન દ્વારા કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માંગતી હતી. કોંગ્રેસ સતત આરોપ લગાવી રહી છે કે સંસદમાં NEET-UG પેપર લીક સહિત વિદ્યાર્થીઓને લગતા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરાવવામાં આવી રહી નથી. વિપક્ષનો દાવો છે કે સરકાર આ મુદ્દાઓને ટાળી રહી છે.
પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે પાંચ મુખ્ય માંગણીઓ પણ રજૂ કરી. પક્ષે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરી. સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રી ગૃહના પટલ પર નિવેદન આપવા, સમગ્ર મામલા પર સંસદીય ચર્ચા કરાવવા, વિદ્યાર્થી સંબંધિત મુદ્દાઓને ગંભીરતાથી સાંભળવામાં આવે અને સોમવારના વિરોધ દરમિયાન થયેલી હિંસાની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી હતી.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસે વિદ્યાર્થીઓ અને યુવાનોને લગતા મુદ્દાઓ સાથે પોતાની સક્રિય જોડાણનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરના સમયમાં કાર્યકર્તા સોનમ વાંગચુક પરીક્ષાના પેપર લીકના મુદ્દા પર સતત આંદોલન કરી રહ્યા છે. કોંગ્રેસે તેમના આંદોલનને ટેકો તો આપ્યો હતો, પરંતુ પક્ષનું નેતૃત્વ તેમાં સીધી રીતે સક્રિય રીતે ભાગ લેતું જોવા મળ્યું નહોતું. એવામાં, કોંગ્રેસ ઇચ્છતી ન હતી કે વિદ્યાર્થીઓ અને યુવાનોને લગતા મુદ્દાઓ અંગે તેની છબી નબળી દેખાય.
આ વ્યૂહરચનાના ભાગ રૂપે, પાર્ટીએ વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર અચાનક ધરણા વિરોધ પ્રદર્શન કરીને સરકાર પર રાજકીય દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસનું માનવું છે કે આ પ્રદર્શન દ્વારા તે સંસદની અંદર અને બહાર વિદ્યાર્થી સંબંધિત મુદ્દાઓને વધુ મજબૂત રીતે ઉઠાવી શકશે. મંગળવારનો આ ઘટનાક્રમ કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવેલી સૌથી ગુપ્ત અને અચાનક કરવામાં આવેલી રાજકીય કાર્યવાહીમાં તરીકે જોવામાં આવી રહી છે.

