- Politics
- દલિતો માટે અવાજ ઉઠાવનાર રાહુલ ગાંધી વિરુદ્ધ જ દલિત વિરોધી કેસ કરી હલ્દ્વાનીમાં FIR
દલિતો માટે અવાજ ઉઠાવનાર રાહુલ ગાંધી વિરુદ્ધ જ દલિત વિરોધી કેસ કરી હલ્દ્વાનીમાં FIR
ઉત્તરાખંડના હલ્દ્વાની પોલીસ સ્ટેશનમાં લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. અનુસૂચિત જાતિ સમુદાયના યુવક અમિત કુમારની ફરિયાદના આધારે દાખલ કરાયેલી FIRમાં રાહુલ ગાંધી પર અનુસૂચિત જાતિ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
રાહુલ ગાંધી સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 196 અને 299 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની કલમ 3(1) પણ FIRમાં દાખલ કરવામાં આવી છે.
આ મામલો હલ્દ્વાનીમાં કોંગ્રેસની રેલી પછી કરવામાં આવેલી શુદ્ધિકરણ યજ્ઞ અને આ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી સાથે જોડાયેલો છે. રાહુલ ગાંધીએ આ શુદ્ધિકરણ પર સવાલ ઉઠાવ્યા હતા, તેને દલિત વિરોધી ગણાવ્યું હતું. ફરિયાદીનો આરોપ છે કે રાહુલ ગાંધીની ટિપ્પણીઓથી અનુસૂચિત જાતિ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે, 8 ઓગસ્ટના રોજ હલ્દ્વાનીમાં કોંગ્રેસની રેલી યોજાઈ હતી. ત્યારબાદ, એક હિન્દુ સંગઠને રામલીલા મેદાનમાં 'શુદ્ધિકરણ વિધિ' યોજી હતી. આયોજકોએ દાવો કર્યો હતો કે રામલીલા મેદાનમાં ફેલાયેલી ગંદકી અને ત્યાં ઉઠાવવામાં આવેલા કથિત સાંપ્રદાયિક સૂત્રોચ્ચારના વિરોધમાં શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. તો, કોંગ્રેસ પાર્ટીએ આ શુદ્ધિકરણને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની દલિત ઓળખ સાથે જોડતા વિરોધ કર્યો હતો.
ત્યારબાદ આ મુદ્દાને લઈને રાજકીય નિવેદનબાજી વધુ તીવ્ર બની ગઇ હતી. રાહુલ ગાંધીએ પણ શુદ્ધિકરણ વિધિની ટીકા કરી અને તેને દલિત વિરોધી ગણાવી. આ જ ટિપ્પણીઓના આધારે હવે હલ્દ્વાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
ફરિયાદી અમિત કુમારે રાહુલ ગાંધી પર અનુસૂચિત જાતિ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદના આધારે, પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધી છે અને આ મામલાની તપાસ શરૂ કરી છે.

