- National
- CJP ફાઉન્ડર અભિજીત દિપકે વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે આખો મામલો
CJP ફાઉન્ડર અભિજીત દિપકે વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે આખો મામલો
મહારાષ્ટ્રના લાતુર પોલીસે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સંસ્થાપક અભિજીત દિપકે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે લાતુર જિલ્લાના ઔસામાં એક શાળામાં કથિત રીતે વીડિયો રેકોર્ડ કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. દિપકે પર પરવાનગી વિના સરકારી શાળામાં ઘૂસવાનો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સત્તાવાર કાર્યમાં ખલેલ પહોંચાડવાનો અને શિક્ષકોને ધમકાવવાનો આરોપ છે.
જિલ્લા પરિષદ ઉર્દૂ શાળાના શિક્ષક સૈયદ શમશદબાનોની ફરિયાદના આધારે ઔસા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. જોકે, CJPના પદાધિકારી અજિંક્ય શિંદેએ જણાવ્યું હતું કે તેઓ ગ્રામીણ શાળાઓમાં સુધારો લાવવા માટે એવા અન્ય મુદ્દાઓ ઉઠાવવા તૈયાર છે. અભિજીત દિપકેએ અજિંક્ય શિંદેની સલાહ પર લાતુર જિલ્લાની શાળાઓની મુલાકાત લીધી હતી.
ફરિયાદમાં વધુમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે દિપકેએ શાળાની પ્રતિષ્ઠાને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કથિત રીતે દાવો કર્યો હતો કે તેમની મુલાકાત દરમિયાન બીજી શાળાના વિદ્યાર્થીઓને વર્ગખંડમાં લાવીને બેસાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમના પર શિક્ષકોને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપવાનો આરોપ છે.
ફરિયાદના આધારે, પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 132, 329(3), 351(2), અને 356(2) હેઠળ FIR નોંધી છે. આ કલમો સરકારી કર્મચારીને તેમની ફરજો બજાવતા અટકાવવા માટે હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવા, પરિસરમાં મંજૂરી વિના ઘૂસવા, ગુનાહિત ધાકધમકી આપવા અને બદનક્ષી સાથે સંબંધિત છે. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, દિપકે હાલમાં CJPના 'સ્કૂલ ઠીક કરો' અભિયાન ચલાવી રહ્યો છે અને લાતુર જિલ્લાની વિવિધ સરકારી શાળાઓની મુલાકાત લઈને ત્યાની સમસ્યાઓ ઉજાગર કરી રહ્યા છે. આવી જ એક મુલાકાત દરમિયાન આ કથિત ઘટના ઔસા નજીક જાવલીમાં આવેલી જિલ્લા પરિષદ ઉર્દૂ શાળામાં બની હતી.
ફરિયાદ મુજબ, દિપકેએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેથી શાળાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી, આ પોલીસ કાર્યવાહી અંગે અભિજીત દિપકે તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે, CJPના પ્રવક્તા અજિંક્ય શિંદેએ જણાવ્યું છે કે તેમનું અભિયાન ચાલુ રહેશે; તેઓ આવી કાર્યવાહીથી અટકશે નહીં.

