- National
- CJPએ શા માટે કહ્યું- સરકાર સુપ્રીમ કોર્ટનો રાજકીય ઉપયોગ કરી રહી છે, ફરી આંદોલનની આપી ચીમકી
CJPએ શા માટે કહ્યું- સરકાર સુપ્રીમ કોર્ટનો રાજકીય ઉપયોગ કરી રહી છે, ફરી આંદોલનની આપી ચીમકી
કોકરોચ જનતા પાર્ટી (CJP)એ આરોપ લગાવ્યો કે, તેના આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને ધરપકડની ધમકી આપવામાં આવી રહી છે. પાર્ટીએ ચેતવણી આપી છે કે જો આવું ચાલુ રહેશે, તો તે મોદી સરકાર સામે વધુ એક મોટું આંદોલન શરૂ કરશે. સાથે જ પાર્ટીએ એમ પણ કહ્યું કે સરકારે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને માધ્યમ બનાવીને વિદ્યાર્થીઓ સામે નોંધાયેલી FIRને સક્રિય ન રાખે.
મંગળવારે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે દિલ્હીના જંતર-મંતર અને દેશભરના વિવિધ રાજ્યોમાં 'કોકરોચ જનતા પાર્ટી'ની આગેવાની હેઠળના તાજેતરના વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેનારાઓ સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં ન આવે; જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આ રાહત એ લોકોને નહીં મળે, જેમનો ગુનાહિત રેકોર્ડ છે.
આનો ઉલ્લેખ કરતા CJP પ્રવક્તા સૌરવ દાસે તેમના X હેન્ડલ પર લખ્યું કે, સુપ્રીમ કોર્ટનો રાજકીય ઉપયોગ સરકારના ફાયદા માટે નહીં કરી શકાય. તેના આદેશોને સરકારના હિત માટે હથિયાર તરીકે ઉપયોગ નહીં કરી શકાય. સમગ્ર દેશ સામે એક ગંભીર ખાતરી આપવામાં આવી હતી; તેનું સન્માન કરવું જોઈએ. બધી FIR પાછી ખેંચવી જોઈએ.
જો ગુનેગારો ખુલ્લામાં ફરી રહ્યા હતા, તો પોલીસે તેમના અગાઉના કેસોમાં જામીન રદ કરવા માટે કોર્ટનો સંપર્ક કરવો જોઈતો હતો. સાથે જ એ પણ જવાબ આપવો જોઇએ કે આ વ્યક્તિઓ સમાજમાં આટલી મુક્ત રીતે કેવી રીતે ફરી રહી હતી. જોકે, સરકાર આનો ઉપયોગ FIRને જીવંત રાખવા માટે નહીં કરી શકે. જેથી પાછળથી સાચા પ્રદર્શનકારીઓને નિશાન બનાવી શકાય.
સૌરવ દાસે કહ્યું કે, જો સરકારને આની છૂટ આપવામાં આવે, તો તે ચોક્કસપણે તેનો ઉપયોગ કરશે. યુવાનો આને કોઈપણ કિંમતે સ્વીકારશે નહીં! અમે ભવિષ્ય માટે અવાજ ઉઠાવનારા દરેક પ્રદર્શનકારીની સાથે ઉભા રહીશું.
કાનૂની સમાચાર અને વિશ્લેષણ વેબસાઇટ લાઈવ લો અનુસાર, ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બેન્ચે વિવિધ રાજ્યોમાં પોલીસ કસ્ટડીમાં લેવામાં આવેલા સગીરોને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ રાહત ગુનાહિત રેકોર્ડ ધરાવતા પ્રદર્શનકારીઓને લાગુ પડશે નહીં.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે પોલીસના કથિત અત્યાચારના પ્રથમ દૃષ્ટિએ નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસની માંગ કરીએ છીએ. કોર્ટે સંકેત આપ્યો કે તે આ ઘટનાઓની નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના પર વિચાર કરી રહી છે. જોકે, સમિતિની રચના કરતા પહેલા, કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને પોતાનો પક્ષ રેકોર્ડ પર રાખવાની તક આપી હતી. કોર્ટે જણાવ્યું હતું કે હિંસા થઈ હોય તેવા અન્ય રાજ્યો પણ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. આ મુજબ, કોર્ટે દિલ્હી, મહારાષ્ટ્ર, બિહાર, કેરળ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવોને નોટિસ જારી કરી હતી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે આ વિરોધ પ્રદર્શનો સાથે સંબંધિત તમામ CCTV ફૂટેજ, ડ્રોન રેકોર્ડિંગ, વાયરલેસ કોમ્યુનિકેશન લોગ અને અન્ય સંબંધિત રેકોર્ડ સાચવવામાં આવે.
CJPએ દાવો કર્યો હતો કે મોદી સરકારે ચર્ચા દરમિયાન તેમને ખાતરી આપી હતી કે વિરોધ પ્રદર્શનોમાં સામેલ કોઈપણ વિદ્યાર્થી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં અને તમામ FIR પાછી ખેંચી લેવામાં આવશે. પશ્ચિમ બંગાળ, આસામ અને બિહાર જેવા રાજ્યોની સરકારોએ પણ કહ્યું છે કે આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. પરંતુ, સોશિયલ મીડિયા પર અસંખ્ય પોસ્ટ્સ અને વીડિયો ફરતા થઈ રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની અટકાયત કરી રહી છે અથવા તેમને પૂછપરછ માટે બળજબરીથી લઈ જઈ રહી છે. જો કે અમે આવા કોઈ વીડિયો કે દાવાઓની સ્વતંત્ર રીતે ચકાસણી કરી નથી, પરંતુ CJPએ તેમનો ઉલ્લેખ કરીને આરોપ લગાવ્યો છે કે સરકાર પોતાના વચનનું સંપૂર્ણપણે પાલન કરી રહી નથી.
CJPના સ્થાપક અભિજીત દીપકેએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે, પોલીસ અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓને હેરાન કરી રહી છે. સરકાર વિદ્યાર્થીઓને ડરાવવા-ધમકાવવાનું બંધ કરે. જો વિદ્યાર્થીઓ સામે ધાકધમકી, અટકાયત અને ધરપકડની ધમકીઓ ચાલુ રહેશે, તો કોકરોચ જનતા પાર્ટી ફરી એકવાર વિશાળ આંદોલન શરૂ કરશે. અમે ફરીથી પ્રદર્શન કરીશું.
તો, CJPના પ્રવક્તા આશુતોષ રંકાએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે 25 જુલાઈના રોજ કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથેની મુલાકાત દરમિયાન સ્પષ્ટ વચન આપવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કેન્દ્રીય મંત્રીઓની વાતનું કોઇ વેલ્યૂ નથી, તો મને ખબર નથી કે સરકારમાં કોની વેલ્યૂ છે.
તો, CJPએ મંગળવારે દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસે જંતર-મંતર વિરોધ સ્થળ નજીક મળી આવેલા પથ્થરોથી ભરેલા ટ્રકને ચાર દિવસ માટે પોતાની કસ્ટડીમાં રાખ્યો હતો. CJPએ ન્યૂઝલોન્ડ્રીના અહેવાલનો ઉલ્લેખ કરતા આ દાવો કર્યો હતો. સંગઠનનું કહેવું છે કે આ ટ્રક 20 જુલાઈ પહેલા ચાર દિવસ માટે દિલ્હી પોલીસે જપ્ત કરેલા વાહનોમાંનો એક હતો.
CJPએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, અમારા જંતર-મંતર વિરોધ સ્થળ નજીક મળી આવેલ પથ્થરોથી ભરેલો 'રહસ્યમય' ટ્રક મળ્યો હતો, તે 20 જુલાઈ પહેલા ચાર દિવસ સુધી દિલ્હી પોલીસે જપ્ત કરેલા વાહનોમાં સામેલ હતો. CJPએ આગળ લખ્યું હતું કે, આ ચોંકાવનારી તપાસે અમારા સૌથી મોટા ભયને સાચો સાબિત કર્યો. એવું લાગે છે કે શાંતિપૂર્ણ લોકશાહી વિરોધ પ્રદર્શનને વિક્ષેપિત કરવાનો, હિંસા ભડકાવવાનો અને નિર્દોષ લોકોને ફસાવવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોસ્ટમાં CJPએ પ્રશ્ન કર્યો હતો કે જપ્ત કરેલા પથ્થરોથી ભરેલા વાહનને શાંતિપૂર્ણ વિરોધ સ્થળ નજીક લાવવાનો આદેશ કોણે આપ્યો હતો.? CJPએ લખ્યું કે, દિલ્હી પોલીસે તાત્કાલિક આનો જવાબ આપવો જોઈએ અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની મોટી ભીડ વચ્ચે પથ્થરથી ભરેલા આ વાહનને મૂકવાનો નિર્ણય લેનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. નોંધનીય છે કે 20 જુલાઈના રોજ CJPના 'સંસદ માર્ચ'ના દિવસે અભિજીત દિપકેએ પણ દાવો કર્યો હતો કે પોલીસે ઇરાદાપૂર્વક આ ટ્રક પ્રદર્શન સ્થળની નજીક પાર્ક કરી હતી.

