- Politics
- રાહુલે ઉઠાવ્યો દલિતોના અપમાનનો મુદ્દો, કહ્યું- ખડગેના મંચનું 'શુદ્ધિકરણ' કરનારાઓ સામે FIR નોંધો, આદે...
રાહુલે ઉઠાવ્યો દલિતોના અપમાનનો મુદ્દો, કહ્યું- ખડગેના મંચનું 'શુદ્ધિકરણ' કરનારાઓ સામે FIR નોંધો, આદેશ આપે PM મોદી
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દલિતો સામે હિંસાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે દલિતોને દરેક જગ્યાએ અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે. શનિવારે એક પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના નેતાએ હલ્દવાનીમાં મલ્લિકાર્જૂન ખડગેની રેલી પછી 'શુદ્ધિકરણ' કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ખડગે અમારા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને આ ઘટનામાં જે વર્તન કરવામાં આવ્યું છે તેના પર કાર્યવાહી જરૂર થવી જોઈએ. તેમણે ઉત્તરાખંડ સરકાર પાસેથી કાર્યવાહીની માંગ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા હાકલ કરી.
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે. એક તરફ ભારતનું બંધારણ છે, જે બી.આર. આંબેડકર, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલનું બંધારણ છે. બીજી બાજુ ભાજપ અને RSSની વિચારધારા છે. ભારતમાં હાલમાં જે રાજકારણ ચાલી રહ્યું છે તે આ બે વિચારધારાઓ વચ્ચે છે.
https://twitter.com/ANI/status/2093602877902295420?s=20
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દલિતો હજારો વર્ષોથી આ દેશમાં અત્યાચાર અને હિંસાનો સામનો કરી રહ્યા છે. બંધારણે આને ગેરકાયદેસર બનાવી દીધી છે, છતા દલિત બાળકોને હજુ પણ શાળાઓમાં શૌચાલય સાફ કરાવવામાં આવે છે અને ફર્શ પર ઝાડુ-પોતા મરાવવામાં આવે છે. જરા વિચારો કે આગામી પેઢીના મન પર શું અસર પડે છે. બાળકો તેમના કેટલાક સાથીદારોને ઝાડુ મારતા જુએ છે, જ્યારે સફાઈ કરનારા એ સાથીઓને જુએ છે જેમને આવું કરવું પડતું નથી. આ જ ભારતની વાસ્તવિકતા છે.
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે આજે પણ, દલિતોને ઘણીવાર ગામડાના કૂવામાંથી પાણી પીવાની પરવાનગી નથી. તેમને પોતાના ખાનગી કૂવા ખોદવા પડ્યા છે કારણ કે તેમને સામાન્ય ગામડાના કૂવાનો ઉપયોગ કરવાની મનાઈ હતી. ચાની દુકાનો પર તમે બે પ્રકારના કપ જુઓ છો. એક ફરીથી વાપરી શકાય તેવો કાચનો કપ, જેને ધોઈ શકાય છે, અને કાગળ અથવા પ્લાસ્ટિકનો કપ જેને ઉપયોગ કર્યા પછી ફેંકી દેવામાં આવે છે. પ્લાસ્ટિક અથવા કાગળના કપ દલિતો માટે છે, જ્યારે કાચના કપ અન્ય લોકો માટે છે, આ જ ભારતની વાસ્તવિકતા છે. આ જ ઉત્તર પ્રદેશની વાસ્તવિકતા છે અને આ જ ઉત્તર ભારતની વાસ્તવિકતા છે, અને તમે તેને શહેરો અને ગામડા બંનેમાં જોઈ શકો છો.
કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે લગ્ન સમારોહ દરમિયાન જ્યારે ખુશીનો સમય હોય છે, ત્યારે જો દલિત વરરાજા ઘોડા પર ચઢે છે તો તેમના પર હુમલો કરવામાં આવે છે અને પથ્થર ફેંકવામાં આવે છે. તેમણે આ મુદ્દા પર કેન્દ્રની ભાજપ સરકાર અને RSS પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ ખડગેવના કાર્યક્રમ બાદ એ સ્ટેજ પર શુદ્ધિકરણને મુદ્દો બનાવતા કહ્યું કે- આ એક ગુનો છે અને અમે આ મામલે કાર્યવાહીની માંગ કરીએ છીએ. તેમણે SC/ST કાયદાની જોગવાઈઓ હેઠળ શુદ્ધિકરણ કરનારાઓ સામે FIR નોંધવાની માંગ કરી.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જ્યારે રાજસ્થાનમાં અમારા CLP નેતા મંદિરમાં જાય છે, ત્યારે ભાજપના નેતા શુદ્ધિકરણની વિધિ કરે છે. તેવી જ રીતે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે, જેમણે પોતાનું આખું જીવન દેશ અને બંધારણને સમર્પિત કર્યું છે, હલ્દવાનીના રામલીલા મેદાનમાં ભાષણ આપવા જાય છે, અને ત્યાં પણ શુદ્ધિકરણ વિધિ કરવામાં આવે છે. આ કોણ કરે છે? તે ભાજપ અને RSSના લોકો છે. ફક્ત ભાજપ અને RSSના સભ્યો જ આવું કરે છે, અને તે એક ગુનો છે. ભારતના બંધારણ હેઠળ એક ગુનો છે. એક ગુનાહિત ગતિવિધિ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે શુદ્ધિકરણ એ અસ્પૃશ્યતાનું બીજું નામ છે. અસ્પૃશ્યતાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હોવા છતાં, ભાજપ સાથે સંકળાયેલા લોકો ખુલ્લેઆમ તેને માને છે. જ્યારે તેઓ શુદ્ધિકરણ કરે છે, ત્યારે તેઓ વાસ્તવમાં એવું કહી રહ્યા હોય છે કે દલિતોને સ્પર્શ ન કરવો જોઈએ અને દલિત અશુદ્ધ છે અને ભારતીય બંધારણ હેઠળ આ એક ગુનો છે.
રાહુલ ગાંધીને ભાજપના તાજેતરના સંગઠનાત્મક ફેરફારો વિશે પણ પૂછવામાં આવ્યું હતું. તેમણે જવાબ આપ્યો કે મને આ બાબતમાં કોઈ રસ નથી. તેમના માટે, ભાજપનું નવું સંગઠન અને તેનું જૂનું સંગઠન એક જ છે; તેનાથી મને કોઈ ફરક પડતો નથી. તેઓ જેને ઈચ્છે તેને લાવી શકે છે; આનાથી અમને કોઇ ફરક પડતો નથી. અમારી લડાઇ વિચારધારાઓની લડાઈ છે; બંધારણને બચાવવાની લડાઈ છે. એટલે, તેમણે જે કરવું હોય તે કરવા દો. અમને તેમાં કોઈ રસ નથી.

