- Gujarat
- નીતિન પટેલ બોલ્યા- લઠ્ઠા બનાવનારને તેના કર્મોની સજા ભગવાને જ આપી દીધી છે, દારૂબંધી હટાવવાથી સરકારને
નીતિન પટેલ બોલ્યા- લઠ્ઠા બનાવનારને તેના કર્મોની સજા ભગવાને જ આપી દીધી છે, દારૂબંધી હટાવવાથી સરકારને હજારો કરોડોની આવક થઈ શકે છે પણ સરકાર...
આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. શિવાલયો ‘હર હર મહાદેવ’ ‘બમબમ ભોલે’ના નાદથી ગુંજી ઉઠ્યા. ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. દર્શન બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે વરસાદ ખેંચાવા, ગુજરાતની દારૂબંધી, ભાવનગર લઠ્ઠાકાંડ, ‘Gen-Z આંદોલન અને વરસાદની સ્થિતિ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. નીતિન પટેલે તમામ મુદ્દે જવાબમાં આપ્યા હતા.
ગુજરાતમાં વરસાદ ખેંચાયો હોવાની વાત કરતા નીતિન પટેલે કહ્યું કે, ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થાય અને ખેડૂતોને રાહત મળે તે માટે પણ તેમણે પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું.
લઠ્ઠાકાંડ અંગે નીતિન પટેલે જણાવ્યું કે, વ્યસન કરનારા લોકો ક્યાંક ને ક્યાંકથી આવું પીણું મેળવી લેતા હોય છે. સરકાર સતત કાર્યવાહી કરી રહી હોવાનું તેમણે કહ્યું. ગુજરાત સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ અને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડે છે. ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના દુર્ભાગ્યપૂર્ણ હોવાનું જણાવતાં તેમણે કહ્યું કે પોલીસે ઘટનાની જાણ થતા જ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ મુદ્દે સોમનાથ દાદાના દર્શને પહોંચેલા નીતિન પટેલે વ્યંગાત્મક ટિપ્પણી કરી હતી. તેમણે લઠ્ઠાકાંડ અંગે નિવેદન આપતા કહ્યું કે, લઠ્ઠા બનાવનારને તેના કર્મોની સજા ભગવાને જ આપી દીધી છે. આ ઉપરાંત, લઠ્ઠાકાંડ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે પણ નીતિન પટેલે સંતોષ વ્યક્ત કર્યો હતો.
નીતિન પટેલે દારૂબંધી અંગે વાત કરતા કહ્યું કે ‘ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત છે, તેથી ગુજરાતમાં દારૂબંધી ચાલુ રહેવી જોઈએ. ગુજરાતમાં મહિલાઓ નવરાત્રી, દિવાળી, લગ્ન પ્રસંગો સહિતના કાર્યક્રમોમાં રાત્રે પણ સોનાના દાગીના પહેરીને નિર્ભયતાથી ફરી શકે છે. તેમના મતે મોટાભાગના ગુજરાતીઓ આ સુરક્ષાને રાજ્યમાં અમલમાં રહેલી દારૂબંધી સાથે જોડે છે. તેમણે કહ્યું કે, દારૂબંધી હટાવવાથી સરકારને હજારો કરોડોની આવક થઈ શકે છે. પોતે ઘણા વર્ષો નાણામંત્રી રહ્યા હોવાથી દર વર્ષે દારૂબંધી હટાવવાની દરખાસ્તો આવતી હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, તેમણે કહ્યું કે, સરકાર માટે આવક કરતાં લોકોની સુરક્ષા અને યુવાધનને વ્યસનથી દૂર રાખવું વધુ મહત્વનું છે.
તેમણે કહ્યું કે ‘Gen-Z’ શબ્દ નવો છે, પરંતુ યુવાનો જ્યારે કોઈ વિચાર કે પ્રેરણાથી પ્રભાવિત થાય છે ત્યારે પોતાની રીતે આંદોલન કરતા આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે સરકાર કે નેતાગીરીએ પણ યુવાનોને પ્રેમથી સમજાવીને આવા આંદોલનનો સુખદ ઉકેલ લાવવો જોઈએ. દિલ્હી જંતર-મંતર ખાતે પણ સરકારે સમજદારીપૂર્વક આંદોલનનો ઉકેલ લાવ્યો.

