- Politics
- શિક્ષણ મંત્રી પદેથી કેમ રાજીનામું આપ્યું? ધર્મેન્દ્ર પ્રધાને આખરે તોડ્યું મૌન
શિક્ષણ મંત્રી પદેથી કેમ રાજીનામું આપ્યું? ધર્મેન્દ્ર પ્રધાને આખરે તોડ્યું મૌન
શિક્ષણ મંત્રી પદ છોડવા અંગે ધર્મેન્દ્ર પ્રધાને આખરે પોતાનું મૌન તોડ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને સંબલપુરના સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે જણાવ્યું હતું કે NEET પેપર લીક મુદ્દાને લઇને થઇ રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન 'Gen-Z'ને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદ છોડવું પડ્યું.
દિલ્હીના જંતર મંતર પર ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે રાજીનામું આપ્યાના લગભગ બે અઠવાડિયા પછી પ્રધાને GM યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધિત કરતા પોતાના રાજીનામા વિશે વાત કરી હતી. રાજીનામા બાદ આ તેમનું પહેલું જાહેર નિવેદન છે.
પ્રધાને કહ્યું કે, Gen-Z આપણાં બાળકો છે. કેટલાક લોકોએ તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. તે મારા માટે કોઇ વ્યક્તિગત મુદ્દો નહોતો. ભારતમાં દર વર્ષે ઓછામાં ઓછા બે કરોડ બાળકો જન્મે છે; છેલ્લા 10 વર્ષમાં 20 કરોડ બાળકોનો જન્મ થયો છે. તેમની પોતાની આકાંક્ષાઓ છે અને તેઓ ભારતને 'વિશ્વ ગુરુ' બનાવશે. આ પદ મારા માટે મહત્ત્વપૂર્ણ નહોતું. તેમણે કહ્યું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કર્યો હતો અને રાજીનામું આપવાની ઓફર કરી હતી.
નોંધનીય છે કે ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈના રોજ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. રાયરાખોલમાં બીજી એક સભામાં પ્રધાને ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને BJD પ્રમુખ નવીન પટનાયક પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ BJD કાર્યકરો દ્વારા કરવામાં આવેલા વિરોધ અને 'પાછા જાઓ'ના નારાઓથી પરેશાન નથી. એરપોર્ટ નજીક BJD યુવા અને વિદ્યાર્થી પાંખના કાર્યકરોના વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કરતા, જ્યાં ‘ધર્મેન્દ્ર પ્રધાન પાછા જાઓ’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે, હું ખેડૂતનો પુત્ર છું. ભલે તમે મને પાછા જવાનું કહો તો પણ હું પાછો આવીશ.’ BJD પ્રમુખ પર યુવાનોને તેમના વિરુદ્ધના વિરોધ પ્રદર્શનોમાં સામેલ કરવાનો આરોપ લગાવતા પ્રધાને કહ્યું કે, નવીન બાબુ મને ઓડિશાના લોકો માટે શરમની વાત અને ખરાબ વ્યક્તિ પણ કહે છે. તેમણે પૂછ્યું, શું મેં ક્યારેય એવું કંઈ કર્યું છે જેનાથી ઓડિશાના લોકોને શરમ આવે? જવાબમાં, સભાએ જોરદાર ‘ના’નો પોકાર કર્યો. તેમણે કહ્યું, હું એવા કાર્યો દ્વારા ક્યારેય નહીં કરું, જેનાથી રાજ્યની પ્રતિષ્ઠા ધૂમિલ થાય.’
પ્રધાને જણાવ્યું હતું કે તેઓ 12 વર્ષ પહેલાં ભગવાન જગન્નાથ અને સંબલપુરના પ્રમુખ દેવી મા સમલેશ્વરીના આશીર્વાદથી કેન્દ્રીય મંત્રી બન્યા હતા. પટનાયક વિરુદ્ધ તેમની ટિપ્પણી એક મંચ પર કરવામાં આવી હતી જ્યાં BJD ધારાસભ્ય અને ઓડિશા વિધાનસભામાં નાયબ નેતા પ્રસન્ના આચાર્ય પણ હાજર હતા. પ્રધાને કહ્યું તે, BJDના વિરોધને ધ્યાનમાં રાખીને, મેં પ્રસન્ના-ભાઈ પાસે સલાહ લીધી કે મારે હાજરી આપવી જોઈએ કે નહીં. પ્રસન્ના બાબુએ મને આવવા કહ્યું અને ખાતરી આપી કે મારું સ્વાગત કરવામાં આવશે. હું તેમની પરવાનગીથી જ અહીં આવ્યો છું.

