- Politics
- 'માછલીની મિજબાની'ના મામલે અજય રાયે મુખ્યમંત્રી યોગી વિરુદ્ધ કર્યો માનહાનિનો કેસ
'માછલીની મિજબાની'ના મામલે અજય રાયે મુખ્યમંત્રી યોગી વિરુદ્ધ કર્યો માનહાનિનો કેસ
અયોધ્યામાં માછલી ખાવાના આરોપો અંગે શરૂ થયેલો વિવાદ હવે કોર્ટમાં પહોંચી ગયો છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજય રાયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ માનહાનિનો દાવો દાખલ કર્યો છે. અજય રાય મંગળવારે લખનૌ સિવિલ કોર્ટમાં પહોંચ્યાં હતા અને આ મામલે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
કોંગ્રેસના જણાવ્યા મુજબ, અજય રાય અયોધ્યામાં માછલી ખાવાના આરોપોથી નારાજ છે. તેમનું કહેવું છે કે તેમના પર માછલી ખાવાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે, જેનાથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. આને લઇને, તેમણે કાયદાકીય માર્ગ અપનાવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
આ મામલો અયોધ્યામાં અજય રાય માટે કથિત રીતે આયોજિત 'માછલીની મિજબાની' અંગેના આરોપો સાથે સંબંધિત છે. આ મુદ્દાને લઇને અગાઉ રાજકીય નિવેદનબાજી પણ થઇ હતકી. પરંતુ હવે અઝય રાય દ્વારા કોર્ટમાં જવાના પગલા બાદ હવે તે કાનૂની લડાઈમાં ફેરવાઈ ગયો છે. આ કેસ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અથવા ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાલમાં જવાબની રાહ જોવાઈ રહી છે.

શું છે અયોધ્યા માછલી મિજબાની વિવાદ?
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયના સ્વાગત માટે આયોજિત અયોધ્યામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન માછલી મિજબાની અંગે વિવાદ ઉભો થયો હતો. ભાજપે આ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી અને અજય રાય પર નિશાન સાધ્યું હતું. ભાજપે પવિત્ર શ્રાવણ મહિનામાં માછલીનો તહેવાર યોજવા પર સવાલ ઉઠાવ્યા અને તેને સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું હતું. જવાબમાં, અજય રાયે આરોપોને ફગાવતા ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વળતો પ્રહાર કર્યો.
અજય રાયે એક પડકાર ફેંકતા કહ્યું હતું કે જો માછલી ખાતા તેમનો એક પણ ફોટો સામે આવી જાય, તો તેઓ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દેશે. તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે જો ભાજપ આવો ફોટોગ્રાફ રજૂ નહીં કરી શકે તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજીનામું આપી દેવું જોઈએ.

તે સમયે પરિસ્થિતિ સ્પષ્ટ કરતા અજય રાયે જણાવ્યું હતું કે તેઓ નિષાદ સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. માછલી પકડવી અને ખાવી એ નિષાદ સમુદાયની પરંપરાનો એક ભાગ છે અને તેમને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા એટલે માટે હાજર રહ્યા હતા.
અજય રાયે કહ્યું હતું, નિષાદરાજે ભગવાન રામને મદદ કરી. જો સમુદાય મને આમંત્રણ આપશે તો હું જઈશ. તેમણે પોતાને બાબા વિશ્વનાથના ભક્ત ગણાવતા તેમણે માછલી ખાવાના આરોપોને નકારી કાઢ્યા. વિવાદ દરમિયાન, અજય રાયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ખુલ્લો પડકાર આપતા કહ્યું હતું કે, માછલી ખાતા દર્શાવતો કોઈપણ ફોટો જાહેર કરવામાં આવે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે જો આવી કોઈ તસવીર સામે આવશે, તો તેઓ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડી દેશે.

