- Gujarat
- એવું શું થયું કે ગુજરાતના 2 તાલુકાના આદિવાસી ખેડૂતો સામસામે આવી ગયા? 12 ગામોના ખેડૂતો ધરણા પર બેઠા
એવું શું થયું કે ગુજરાતના 2 તાલુકાના આદિવાસી ખેડૂતો સામસામે આવી ગયા? 12 ગામોના ખેડૂતો ધરણા પર બેઠા
છેલ્લા 19 દિવસથી નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતો વચ્ચે જંગલ જમીનનો વિવાદ જોવા મળી રહ્યો છે. સાગબારા બોર્ડર નજીક આવેલા લગભગ 12 ગામોના ખેડૂતો ઉમરપાડામાં જંગલ જમીન પર ખેતીની મંજૂરીની માંગ સાથે ઉપવાસ અને ધરણાં કરી રહ્યા છે. સામે વનવિભાગના અધિકારીઓ અને ઉમરપાડાના ખેડૂતો સાગબારાના ખેડૂતોને ખેતી કરતા અટકાવી રહ્યા છે.
સાગબારાના ખેડૂતો આ મામલે 8 ઓગસ્ટથી ઉપવાસ પર બેઠા છે. આ ખેડૂતો સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેખમુખે પ્રતિક ઉપવાસ કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓએ સાગબારાના ખેડૂતોને ટેકો જાહેર કર્યો છે. સાંસદ અને ધારાસભ્યની સરકારમાં રજૂઆતો બાદ આ મામલો ગાંધીનગર પહોંચ્યો છે. સાગબારામાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ હલ્લાબોલ સાથે જમીન ખેડવાની જાહેરાત કરી છે, એવામાં આજનો દિવસ ભારે રહેવાનો છે.
આ સમગ્ર મામલે ભરૂચ-નર્મદાના સાંસદ મનસુખ વસાવાએ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. ફર્સ્ટના અહેવાલ મુજબ, ગઈકાલે 26 ઓગસ્ટે ગુજરાત આ મામલે સાંસદ મનસુખ વસાવાની સરકાર સાથેની મહત્ત્વની બેઠક પૂર્ણ થઈ છે. બેઠકમાં ખાસ કરીને ઉમરપાડા વિસ્તારમાં ખેડૂતો સાથે થયેલા ઘર્ષણ અને સાગબારામાં ચાલી રહેલા ખેડૂતોના ધરણા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ બેઠક બાદ ખેડૂતોના જમીન હક્ક અંગે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા પુરાવાના આધારે ખેડૂતોને જમીન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત સાગબારામાં આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે સીધી ચર્ચા કરવા માટે સરકારના બે મંત્રીઓ અને અધિકારીઓ ત્યાં જશે. મંત્રી પ્રવીણ માળી અને ઈશ્વરસિંહ પટેલ ખેડૂતો સાથે બેઠક કરી તેમની રજૂઆતો સાંભળશે અને જમીન સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરશે. બેઠકમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા આશરે 80 હજાર જેટલા દાવાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ દાવાઓની સ્થિતિ અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી અંગે મંત્રીઓ તથા અધિકારીઓ ખેડૂતો સાથે ચર્ચા કરશે.
રક્ષાબંધન પર્વ પૂર્ણ થયા બાદ બંને મંત્રીઓ અને સંબંધિત અધિકારીઓ સાગબારા પહોંચશે. ત્યાં આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે સીધી વાતચીત કરીને તેમની સમસ્યાઓ અને જમીનના દાવાઓ અંગે માહિતી મેળવવામાં આવશે. આ સમગ્ર બેઠક નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે યોજાઈ હતી. બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ વન અને પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉમરપાડા અને સાગબારાના ખેડૂતોના જમીન પ્રશ્નને લઈને છેલ્લા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકાર દ્વારા ખેડૂતો સાથે સીધો સંવાદ કરવાનો નિર્ણય મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે રક્ષાબંધન બાદ મંત્રીઓની સાગબારા મુલાકાત અને ખેડૂતો સાથેની ચર્ચા બાદ આગામી કાર્યવાહી અંગે વધુ સ્પષ્ટતા થશે.
શું છે સમગ્ર મામલો ?
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આદિવાસીઓ અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સ્થાનિક આદિવાસીઓ વચ્ચે જંગલની જમીન પર ખેડાણ અને કબજાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સાગબારા તાલુકાના 12 જેટલા ગામોના ઉકાઈ ડેમ અસરગ્રસ્ત ખેડૂતોને ઉમરપાડામાં ખેતી માટે જમીન ફાળવવામાં આવી હતી. છેલ્લાં 20 વર્ષથી સાગબારાના ખેડૂતો ઉમરપાડામાં પોતાને મળેલી આ જમીન પર ખેતી કરી રહ્યાં હતા. પરંતુ છેલ્લાં 2 વર્ષથી સાગબારા-ઉમરપાડાના ખેડૂતો વચ્ચે જંગલ જમીન પર ખેડાણ મામલે ઘર્ષણ ચાલી રહ્યું છે. સાથે વન વિભાગના અધિકારીઓ પણ ગ્રામસભાના ઠરાવની માંગ કરીને સાગબારાના ખેડૂતોને ખેતી કરતા અટકાવી રહ્યા છે. આ કારણે સાગબારાના 300 જેટલા ખેડૂતો છેલ્લા 18 દિવસથી ઉમરપાડા તાલુકા વડપાડા રેન્જના હરિપુરા રાઉન્ડ ફોરેસ્ટ વિસ્તારમાં ઉપવાસ પર બેઠા છે.
બીજી તરફ ઉમરપાડા તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે સાગબારા તાલુકાના લોકો તેમના વિસ્તારમાં આવીને જમીન પર ખેડાણ કરે છે. ઉમરપાડાના વડપાડા ગામમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ નિર્મમ હત્યાની ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક ઉમરપાડાના ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. તેમનું કહેવું છે કે આ ઘટના બાદ તેઓ સાગબારાના ખેડૂતોને આ વિસ્તારમાં જમીન ખેડવા નહીં દે.
10 ઓગસ્ટે ઉમરાપાડા-સાગબારાની બોર્ડર પર સુરત વન વિભાગના ACF ગૌરાંગ લોઢીએ જણાવ્યું હતું કે વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ 13-12-2005 પહેલા જે લોકોનું ખેડાણ છે અને વર્ષોથી ખેતી કરી રહ્યા છે, એમને રેવન્યૂ વિભાગ અને વનવિભાગથી દાવા મળશે. વનવિભાગના ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે ગામની જમીન હોય તે ગામની ગ્રામસભાનો ઠરાવ ખેતી કરવા માટે જરૂરી છે. આ કેસમાં આ જમીન ઉમરપાડામાં આવે છે અને સાગબારાના ખેડૂતો દાવા કરે છે. સાગબારાને ખેડૂતોએ જે ગ્રામસભાના ઠરાવો રજૂ કર્યા છે એ પણ ખોટા છે.
સાગબારાના ખેડૂતો છેલ્લા 19 દિવસથી ઉપવાસ પર બેઠા છે. ખેડૂત આગેવાન તેમજ ભાજપના પૂર્વ નેતા લીલાબેન વસાવાએ કહ્યું કે અમને લાગતું હતું કે સરકાર કોઈ સકારાત્મક નિર્ણય લેશે. સાગબારાના ખેડૂતો રોજ આવીને પૂછે છે કે કોઈ નિર્ણય આવ્યો કે નહીં. હું વનવિભાગના અધિકારીઓને કહેવા માંગુ છું કે આ જમીન અમારી છે, અમારા બાપની છે. અમે જીવ આપી દઈશું પણ જમીન નહીં આપીએ. 27 ઓગસ્ટે સગબારાના ખેડૂતો હળ વગેરે ખેતીના ઓજારો લઈને આવશે અને અહીં ખેડાણ શરૂ કરશે.
ઉમરપાડા અને સાગબારાના ખેડૂતોના જમીન પ્રશ્નને લઈને છેલ્લા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકાર દ્વારા ખેડૂતો સાથે સીધો સંવાદ કરવાનો નિર્ણય મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે રક્ષાબંધન બાદ મંત્રીઓની સાગબારા મુલાકાત અને ખેડૂતો સાથેની ચર્ચા બાદ આગામી કાર્યવાહી અંગે વધુ સ્પષ્ટતા થશે.

