- Science
- ક્રૂઝ શિપ પર માણસથી માણસમાં સંક્રમણ ફેલાયું! હંટાવાયરસનું એક નવું સ્વરૂપ સામે આવ્યું
ક્રૂઝ શિપ પર માણસથી માણસમાં સંક્રમણ ફેલાયું! હંટાવાયરસનું એક નવું સ્વરૂપ સામે આવ્યું
ખાસ કરીને ઉંદરોથી ફેલાતો ખતરનાક હંટાવાયરસ હવે એક નવા અને ભયાનક સ્વરૂપમાં સામે આવ્યો છે. આર્જેન્ટિનાથી રવાના થયેલા ક્રુઝ શિપ MV હોન્ડિયસ પર આ વાયરસના પ્રકોપે વિશ્વભરના વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કર્યા છે. અત્યાર સુધીમાં, જહાજમાં સવાર 6 મુસાફરો ગંભીર રીતે બીમાર થયા છે, જેમાંથી 3ના મૃત્યુ થઇ ચુક્યા છે.
સૌથી ચિંતાજનક વાત એ છે કે, જહાજના ડૉક્ટર પણ ચેપગ્રસ્ત થયા છે, જેના કારણે એવી મજબૂત શક્યતા ઉભી થઈ છે કે, વાયરસ હવે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને વિશ્વભરના નિષ્ણાતો હવે બંધ જહાજ પર આ ચેપ કેવી રીતે ફેલાયો, તે શોધવા માટે કામ કરી રહ્યા છે.
વૈજ્ઞાનિકોનો પ્રારંભિક અંદાજ એ છે કે, તે હંટાવાયરસનો એન્ડીઝ (Andes) પેટાપ્રકાર હોઈ શકે છે. હંટાવાયરસ સામાન્ય રીતે ચેપગ્રસ્ત ઉંદરોના મળ, પેશાબ અથવા લાળના સંપર્ક દ્વારા ફેલાય છે, પરંતુ એન્ડીઝ વાયરસ વિશ્વનો એકમાત્ર હંટાવાયરસ છે જે વ્યક્તિથી વ્યક્તિમાં સંક્રમિત થતો જોવા મળ્યો છે.
આ વાયરસ હંટાવાયરસ પલ્મોનરી સિન્ડ્રોમ (HPS)નું કારણ બને છે, જેના લીધે ફેફસાંમાં પાણી જમા થઇ જાય છે અને માણસને શ્વાસ લેવામાં ખુબ તકલીફ થાય છે. તેનો મૃત્યુ દર ચિંતાજનક છે, ચેપગ્રસ્ત લોકોમાંથી 50 ટકા લોકો મૃત્યુ પામી શકે છે. જહાજ પર જે રીતે એક પછી એક લોકો બીમાર થઇ રહ્યા છે તેના કારણે નિષ્ણાતો 'માનવથી માનવ' સંક્રમણના સિદ્ધાંત પર કામ કરવા માટે મજબુર થયા છે.
આ કટોકટી 1 એપ્રિલે શરૂ થઈ હતી, જ્યારે જહાજ ઉશુઆયા, આર્જેન્ટિનાથી રવાના થયું હતું. 6 એપ્રિલે, 70 વર્ષીય ડચ મુસાફરને તાવ આવ્યો અને પાંચ દિવસ પછી તેનું મૃત્યુ થયું. ત્યારપછી તેની પત્ની પણ દક્ષિણ આફ્રિકામાં મૃત્યુ પામી. ત્યાર પછી થોડા જ સમયમાં, એક બ્રિટિશ મુસાફરને પણ આ વાયરસનો ચેપ લાગ્યો.
જ્યારે દક્ષિણ આફ્રિકાના ચેપી રોગ નિષ્ણાત લ્યુસીલ બ્લુમબર્ગે નમૂનાઓની તપાસ કરી, ત્યારે તે હંટાવાયરસ હોવાની પુષ્ટિ થઈ. અત્યાર સુધીમાં 2 સાબિત થયેલા કેસ અને 3 મૃત્યુ સાથે, જહાજ પરના 147 મુસાફરોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જહાજના ડૉક્ટરનું બીમાર થવું એ વાતનો સૌથી મહત્વપૂર્ણ પુરાવો માનવામાં આવી રહ્યો છે કે, દર્દીઓની સંભાળ રાખતી વખતે વાયરસ એક શરીરમાંથી બીજા શરીરમાં ફેલાય છે.
હંટાવાયરસના હુમલા ખૂબ જ શાંત અને ઝડપી હોય છે. શરૂઆતમાં, તે સામાન્ય ફ્લૂ જેવું લાગે છે, તાવ, શરીરમાં દુખાવો અને નબળાઈ. પરંતુ અચાનક, દર્દીની સ્થિતિ બગાડવા લાગે છે. આ વાયરસ બ્લડ વેસલ્સને નબળી બનાવી દે છે, જેના કારણે ફેફસામાં પ્રવાહી એકઠું થવા લાગે છે.
https://www.instagram.com/reel/DX6_5weEvlJ/
દર્દીને એવું લાગે છે કે તે હવામાં હોવા છતાં પણ ડૂબી રહ્યો છે. આવી પરિસ્થિતિઓમાં, ECMO મશીન (જે બાહ્ય રીતે ફેફસાં અને હૃદયના કાર્યો કરે છે)જ એકમાત્ર બચાવકર્તા હોઈ શકે છે. ચિલી અને આર્જેન્ટિના જેવા દેશોમાં, એવા નિયમો છે કે, હંટાવાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓને તાત્કાલિક ECMO સુવિધાઓ ધરાવતા કેન્દ્રમાં સ્થાનાંતરિત કરવા જોઈએ.
હાલમાં, WHO તેને 'પબ્લિક હેલ્થ ઇવેન્ટ' તરીકે ગણી રહ્યું છે, વ્યાપક રોગચાળા તરીકે નહીં. નિષ્ણાતો કહે છે કે, ખૂબ નજીકના સંપર્ક વિના માણસથી માણસ સુધી તેનું ફેલાવું દુર્લભ છે. જો કે, ક્રુઝ જહાજો જેવી બંધ જગ્યાઓ આવા ચેપ માટે આદર્શ સ્થાન બની જાય છે.
આ જહાજ હવે કેપ વર્ડેના દરિયાકાંઠે ડોક કરવામાં આવ્યું છે. તેને સ્પેનના કેનેરી ટાપુઓ પર લઈ જવાનું આયોજન છે, જ્યાં તેનું પુરી રીતે ડિસઇન્ફેકશન અને પરીક્ષણ કરવામાં આવશે. વૈજ્ઞાનિકો હવે વાયરસના જીનોમને ક્રમ આપી રહ્યા છે, જેથી તે નક્કી કરી શકાય કે, તે એન્ડીઝ વાયરસ છે કે કોઈ નવું સ્વરૂપ.
જહાજ પર હંટાવાયરસનો આ પ્રથમ રેકોર્ડ થયેલ કેસ છે. તેણે આરોગ્ય એજન્સીઓ માટે અનેક પડકારો ઉભા કર્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય પાણીમાં જહાજો પર કયા ક્વોરેન્ટાઇન નિયમો હોવા જોઈએ તે શામેલ છે. દક્ષિણ આફ્રિકા, બ્રિટન, નેધરલેન્ડ અને સેનેગલના વૈજ્ઞાનિકો આ મુદ્દા પર સાથે મળીને કામ કરી રહ્યા છે. હાલમાં એકમાત્ર રાહત એ છે કે, તે કોરોના વાયરસ જેટલી ઝડપથી હવામાં ફેલાતો નથી, પરંતુ તેના ઉચ્ચ મૃત્યુ દરને ધ્યાનમાં રાખીને, સાવચેતી રાખવી એ જ શ્રેષ્ઠ બચાવ છે.

