- Gujarat
- જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી..., સુરતમાં કરાયું નકલી ડિમોલિશન, તંત્રના નામે મકાનોમાં કોણે તોડ-ફોડ કરી...
જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી..., સુરતમાં કરાયું નકલી ડિમોલિશન, તંત્રના નામે મકાનોમાં કોણે તોડ-ફોડ કરી?
સુરતમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. સુરતના વેડ દરવાજા વિસ્તારમાં આવેલા નાસિર નગરમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના વર્ષો જૂના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, આ કાર્યવાહી સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા કરવામાં આવી હોવાનું કહીને મકાનો તોડી પડાયા હતા, પરંતુ હવે પાલિકાએ આ આખા મામલે પોતાના હાથ ખંખેરી લીધા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે તેમણે આવું કોઈ ડિમોલિશન કર્યું જ નથી, જેના કારણે સુરતમાં ‘નકલી ડિમોલિશન’નો આ મોટો સ્કેમ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, જ્યારે કોંગ્રેસના નેતાઓ અને અસરગ્રસ્તોએ આ મામલે પાલિકાના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી, ત્યારે પાલિકાએ જવાબ આપ્યો કે, ‘નાસિર નગરમાં અમે કોઈ ડિમોલિશન કર્યું જ નથી અને આ કાર્યવાહી સાથે અમારે કોઈ લેવાદેવા નથી.’ પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘ડિમોલિશન કરનાર ટીમમાં પાલિકાનો કોઈ પણ માણસ હાજર નહોતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટનાસ્થળે પોલીસ પ્રોટેક્શન પણ હાજર હતું. લોકોએ સ્પષ્ટ જોયું હતું કે ખાખી વર્દીમાં પોલીસ જવાનો અને વાદળી શર્ટ પહેરેલા અધિકારીઓ ઘટનાસ્થળે તૈનાત હતા. જો પાલિકાએ આ કાર્યવાહી નથી કરી, તો સવાલ એ થાય છે કે પોલીસ બંદોબસ્ત સાથે તંત્રના નામે આટલી મોટી કાર્યવાહી કરવાની હિંમત કોણે કરી?
જે જગ્યાએ ડિમોલિશન કરવામાં આવ્યું છે, ત્યાં બાજુમાં જ એક બિલ્ડરનો નિર્માણાધીન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આથી, એવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈને આર્થિક લાભ પહોંચાડવા માટે જ રોડ પહોળો કરવાના બહાને આ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. શું કોઈ ખાનગી વ્યક્તિ કે બિલ્ડરના ઇશારે તંત્રના નામે આ કૃત્ય કરવામાં આવ્યું? શું અધિકારીઓની મિલીભગત વિના આ શક્ય છે ખરું?
આ ગંભીર મામલે હવે કોંગ્રેસ અગ્રણીઓ અને અસરગ્રસ્તો પોલીસ કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરશે. પાલિકા અને પોલીસ બંનેની ભૂમિકા શંકાના દાયરામાં આવતા સુરતમાં હવે 'નકલી ડિમોલિશન'નો કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ મામલે પાલિકા ગોળ-ગોળ જવાબો આપી રહી છે, જે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટનાસ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત હાજર હતો અને લોકોએ સ્પષ્ટ જોયું હતું કે ખાખી વર્દીમાં પોલીસ જવાનો અને વાદળી શર્ટ પહેરેલા લાઈન દોરીના અધિકારીઓ ત્યાં તૈનાત રહીને મકાનો તોડાવી રહ્યા હતા. ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઓપરેશન નથી કર્યું, તો પછી પોલીસ પ્રોટેક્શન મેળવીને સરકારી તંત્રના નામે આટલી મોટી ગેરકાયદેસર કાર્યવાહી કરવાની હિંમત સુરતમાં કોણે કરી?

